Feb 11, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-77



(૧૦) બ્રહ્મ ના લક્ષણમાં શંકા અને તેનું સમાધાન

રામ કહે છે કે-મહાપ્રલય થતાં જે તત્વ બાકી રહે છે,તે નિરાકાર જ રહેવું જોઈએ,એમાં કશો સંશય નથી,
પરંતુ તે તત્વ શૂન્ય શા માટે નહિ?પ્રકાશવાળું શા માટે નહિ?
તે જીવ-રૂપ,મન-રૂપ બુદ્ધિ-રૂપ કે બીજા કોઈ રૂપ કેમ નથી? અને તમે તેને જો "સર્વ-રૂપ" કહો છો
તો તે કેવી રીતે? આ તમારા વિચિત્ર વચનોથી મારા મનમાં ગૂંચવાડો ઉભો થયો છે,તે તમે દૂર કરો.

વશિષ્ઠ કહે છે-કે-તમે જે આ પ્રશ્ન પૂછો છો- તે મારા અભિપ્રાય ને ઓળંગીને પૂછો છો.
આ પ્રશ્ન ઘણો વિષમ છે,પણ જેમ સૂર્ય,રાત્રિ ના અંધકાર ને ભેદી નાખે છે
તેમ.હું પણ કશા પણ મહા-પ્રયત્ન કર્યા વિના જ તમારા સંશય ને ભેદી નાખીશ.
હે,રામ,મહા-પ્રલય ના સમયમાં જે વસ્તુ શેષ રહે છે તે અધિષ્ઠાન રૂપી બ્રહ્મ -એ -શૂન્ય નથી.
જેમ કોતર્યા વિનાની પૂતળી થાંભલા માં રહેલી છે-તેમ આ જગત પણ તે સમયે બ્રહ્મ માં રહેલું હોય છે.

હે,રામ,જેમ જળમાં તરંગ નથી અને છે પણ ખરા,તેમ બ્રહ્મ આ જગતમાં નથી અને છે પણ ખરું .
જગત ની ઉત્પત્તિ ની સત્તા,બ્રહ્મ ની સત્તા થી જુદી નથી,અને
તે જગતના પ્રલયની સત્તા પણ એ બ્રહ્મની સત્તાથી જુદી નથી.-તો એવા સત્ અને સ્વરૂપ-સ્થિત
"બ્રહ્મ" ની અંદર જગતની ઉત્પત્તિ થવામાં -બીજી કોઈ સામગ્રી ની જરૂર નથી.

અશૂન્ય પદાર્થ ને લઈને શૂન્ય શબ્દ નો અર્થ કલ્પી શકાય છે,અને
શૂન્ય પદાર્થ ને લઈને અશૂન્ય શબ્દનો અર્થ કલ્પી શકાય છે.પણ,
"બ્રહ્મ" થી જુદો કોઈ પદાર્થ જ નથી,માટે-તે "બ્રહ્મ" ને શૂન્ય કે અશૂન્ય કેવી રીતે કહી શકાય?

જે "પ્રકાશ" છે તે સૂર્ય-અગ્નિ-વગેરે નો ધર્મ છે,માટે "બ્રહ્મ" ને "પ્રકાશ" કહી શકાય નહિ.
તેમજ -સૂર્ય-વગેરે કોઈ પણ "યથાર્થ બ્રહ્મ" માં નથી,માટે તે "બ્રહ્મ" પ્રકાશવાળું નથી.
સામાન્ય રીતે-સૂર્ય-વગેરે આદિ મહાભૂતો નો જે અભાવ છે તે "તમ" (તમસ) કહેવાય છે.
પણ "બ્રહ્મ" એ કંઈ તેવા પ્રકાશ ના અભાવ-રૂપ નથી એટલે તે "તમ-રૂપ" નથી.
"આકાશ " ની પેઠે સ્વચ્છ એવા બ્રહ્મ નો જે પ્રકાશ કહેવાય છે તે,પોતાના "અનુભવ-રૂપ" છે,
તે પ્રકાશ નો તે પોતે જ અનુભવ કરે છે,પણ બીજા કોઈ ને તે પ્રકાશનો અનુભવ થતો નથી.
આ પ્રમાણે તે બ્રહ્મ "જ્ઞાતા" (જ્ઞાન ને જાણનાર) થી રહિત છે.

આમ જે બ્રહ્મ -એ તમ થી અને પ્રકાશ થી રહિત છે,તે અવિનાશી પદ છે,અને આકાશની પેઠે નિર્મળ છે,
પણ "ભ્રાંતિ" થી તેનામાં સઘળું જગત કલ્પાયેલું છે.
માટે તે બ્રહ્મ ને "જીવ-રૂપ,બુદ્ધિ-રૂપ, કે મન-રૂપ" કહી શકાતું નથી.
જેમ,જળ ની અંદર તરંગ છે અને માટી ની અંદર ઘડો છે
તેમ જેની અંદર જગત છે તે-બ્રહ્મ -શૂન્ય કેવી રીતે હોઈ શકે?

"જેમ,પૃથ્વી ની અંદર રહેલું જળ -એ પૃથ્વીરૂપ નથી,
તેમ બ્રહ્મ ની અંદર રહેલું જગત બ્રહ્મ-રૂપ ના હોવું જોઈએ"
એવી શંકા કરવી જોઈએ નહિ,કારણકે-
પૃથ્વી-વગેરે "સાકાર પદાર્થો" ની ઉપમા "નિરાકાર બ્રહ્મ" ને લાગુ પડી શકે નહિ.
બ્રહ્મ આકાશ ની પેઠે નિર્મળ છે અને તેમાં રહેલું જગત પણ આકાશની પેઠે નિર્મળ જ છે.

એટલે કે જેવું બ્રહ્મ છે તેવું જ જગત છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE