Feb 15, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-81


"અજ્ઞાન"  જ જગત-રૂપે પરિણામ પામ્યું  છે.એમ કહેવામાં આવે છે.તો,પણ,
અજ્ઞાન નું પરિણામ એ સંભવિત (જ્ઞાન)નું વિવર્ત (મૂળ વસ્તુ માં ફેરફાર ન થતાં તેમાં બીજા નું ભાન થવું)
જ છે,અને સ્વપ્ન માં જે જગત જોવામાં આવે છે તે-સંભવિત નું વિવર્ત જ છે,એ વાત જગ-પ્રસિદ્ધ છે.

એટલે કે સ્વપ્ન માં જે ભ્રમ-રૂપી જગત જોવામાં આવે છે તે-સંભવિત (જ્ઞાન-સત્ય) નો જ દેખાવ છે,
તેમ સૃષ્ટિ ના આરંભમાં જે જગત જોવામાં આવે છે-તે બ્રહ્મ નો જ દેખાવ છે.
આ જે કંઈ જગત જોવામાં આવે છે-તે સર્વદા બ્રહ્મ-રૂપ જ છે-
જગતનો કોઈ પણ સમયે અને કંઈ પણ-પ્રલય થયો નથી કે ઉદય પણ થયો નથી.
જેવી રીતે,સ્વપ્ન ને જોનારા પુરુષ નું જે "જ્ઞાન" છે તે જ સ્વપ્ન ના નગર જેવું દેખાય છે,
તેવી રીતે,પરમાત્મા જ પોતાના સ્વરૂપ માં જગતની પેઠે પ્રતીત થાય છે.

શ્રીરામ પૂછે છે કે-હે,બ્રહ્મન, દૃશ્ય-રૂપી ઝેર (જગત) એ સ્વપ્ન ના અનુભવ ની પેઠે-અસત્ હોય તો-
તે અત્યંત દૃઢ રીતે કેમ પ્રતીત થાય છે? સ્વપ્ન નો પદાર્થ તો દૃઢ-રૂપે પ્રતીત થતો નથી.
જ્યાં સુધી દૃશ્ય (જગત) ની સ્થિતિ હશે ત્યાં સુધી દ્રષ્ટા નું વારણ થવાનું નથી,અને
જ્યાં સુધી દ્રષ્ટાની(બ્રહ્મની)  સ્થિતિ હશે,ત્યાં સુધી દૃશ્ય નું વારણ થવાનું નથી.
તેમજ એમાંનું એક હશે ત્યાં સુધી બંને બંધ રહેશે,અને એમાંથી એક નો ક્ષય થશે ત્યારે બંનેનો મોક્ષ થશે.

પણ જ્યાં સુધી દૃશ્ય નો -અત્યંત બાધ-રૂપ-ક્ષય સમજાયો નથી ત્યાં સુધી-
દ્રષ્ટા અને દૃશ્યનો સંબંધ ટળવાનો નથી.
એટલે-જ્યાં સુધી એ સંબંધ ટળ્યો નથી ત્યાં સુધી મોક્ષ ની આશા રાખવી વ્યર્થ છે.
જો પ્રથમ દૃશ્ય પદાર્થ હોય અને પછીથી તેનો ક્ષય થતો હોય,તો-તેના
"સંસ્કાર-રૂપ" રહેલા "દૃશ્ય" ની ઉત્પત્તિ નું બંધન પણ શાંત થતું નથી,
કારણકે ચૈતન્ય-રૂપી અરીસા ઓ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં તેમાં દૃશ્યનું "સ્મરણ-રૂપ" પ્રતિબિંબ
પડ્યા વગર રહેતું નથી.

પણ,જો દૃશ્ય ઉત્પન્ન જ થયું ન હોય અને અસ્તિત્વ વિનાનું જ હોય -તો દ્રષ્ટા -એ -દૃશ્યમાંથી મુક્ત થઇ શકે છે. માટે મારા મનમાં મુક્તિના અસંભવ ની જે શંકા છે તેને તમે યુક્તિઓ થી દૂર કરો.અને
જ્યાં સુધી દૃશ્ય ના અત્યંત અસંભવ ને બરાબર સમજુ નહિ,ત્યાં સુધી તમે વિસ્તારથી કહ્યા કરો.

વશિષ્ઠ કહે છે કે-હે,રામ,જગત (દૃશ્ય) જે દૃઢ રીતે પ્રતીત થાય છે,છતાં તે મિથ્યા જ છે.
અને એ વિષે હવે હું લાંબી આખ્યાયિકઓથી કહું છું તે તમે સાંભળો.
જ્યાં સુધી તમારા હૃદયમાં "દૃશ્ય-એ અસંભવ છે" એમ નહિ સમજાય ત્યાં સુધી,હું પૂર્વના
મહાત્માઓ ની કથાઓ ના વાક્યોથી તમને સમજાવ્યા કરીશ.
અને જયારે તમે "તત્વ" માં વિશ્રાંતિ પામી ને-વ્યવહાર કર્યા કરશો-ત્યારે મન ની વૃત્તિઓ તમને
વીંધી શકશે નહિ. એ આત્મા એ એક અને અદ્વિતીય જ છે,તેમાં બીજી કોઈ કલ્પના છે જ નહિ,
તે છતાં એ આત્મામાં જે રીતે જગત ઉત્પન્ન થયું છે તે-રીત -હું તમને કહી સંભળાવીશ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE