Oct 8, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-305



તે મન,મોટી વાસનાથી મોટું થાય છે અને ક્ષુદ્ર  વાસનાથી ક્ષુદ્ર થાય છે.
મનુષ્યે -જો ઇન્દ્રના રાજ્ય સંબંધી મનોરાજ્ય કર્યું હોય તો-તેને ઇન્દ્ર-પણાનું સ્વપ્ન આવે છે, અને-
જો પિશાચો-સંબંધી મનોરાજ્ય કર્યું હોય તો તેને સ્વપ્નમાં પિશાચો જોવામાં આવે છે.
જેમ,તળાવમાં અત્યંત નિર્મળતા હોય તો,તેમાં મલિન-પણું સ્થિતિ પામતું નથી,અને
જો તેમાં અત્યંત મલિનતા હોય તો  -તેમાં સ્વચ્છ-પણું સ્થિતિ પામતું નથી.
તેમ,જો મનમાં અત્યંત નિર્મળતા હોય તો તેમાં "દ્વૈત" (શરીર-અને આત્મા) સ્થિતિ પામતું નથી અને
જો તેમાં અત્યંત મલીનતા હોય તો "અદ્વૈત" (એટલે કે માત્ર આત્મા)  સ્થિતિ પામતું નથી.

ઉત્તમ પુરુષ,દરિદ્રતા-વગેરે થી હેરાન થવા છતાં,પણ સર્વદા ઉદ્યોગી (ક્રિયાશીલ) રહીને,
ચિત્તને નિર્મળ રાખવાની પદ્ધતિને છોડતો નથી,
એટલે કે,તત્વ-બોધ થી બોધિત હોવાને લીધે,હજારો ઉપદ્રવો થવા છતાં,
વિદ્વાન (જ્ઞાની) નું મન સંસાર ની વાસનાઓ થી મલિન થતું નથી.

કારણકે,વાસ્તવિક (સત્ય) રીતે જોવા જતા, બંધન-મોક્ષ કશું નથી,તે બંધાયેલો કે મુક્ત છે જ નહિ.
બંધન-મુક્તિ એ તો માયા જ છે જે મિથ્યા ઉઠેલી છે.
જગતની જે આ સત્તા દેખાય છે તે બ્રહ્મ ની જ સતા છે.અને તેમાં બે-પણું કે એક-પણું એવું કશું છે જ નહિ.

આ સંસાર નિઃસારછે,તે ખોટો જ છે,તે છતાં તે સ્ફૂરે છે."હું વ્યાપક નથી પણ ક્ષુદ્ર છું" એવા દુષ્ટ નિશ્ચય થી તે ઉઠયો છે.અને "હું વ્યાપક છું અને હું ઈશ્વર છું"એવા નિશ્ચય થી સંસાર લય પામે છે.
આત્મા-સર્વ-વ્યાપક અને સ્વચ્છ છે,તેમાં "હું દેહ છું" એવી જે ભાવના છે -તે-જ -બંધન છે.
અને તે બંધન પોતાના વિકલ્પો થી જ કલ્પાયેલું છે.

મન,જો નિર્મળ-પણાને લીધે,નાશ પામવામાં ઉન્મુખ (પ્રવૃત્ત) થયેલું હોય,અને
સઘળાં દ્રશ્યોમાં (જગત અને પદાર્થોમાં)લાગણી વગરનું થઇ,"નહિ-જેવા-પણા" ને પામેલું હોય,
તો જ "બ્રહ્મ" જોવામાં (અનુભવવામાં) આવે છે.
તેમ થયા વિના બ્રહ્મ જોવામાં આવતું જ નથી.સમાધિ થી નિર્મળ થયેલું મન "સર્વમાં બ્રહ્મ-દૃષ્ટિ" ગ્રહણ કરે છે.
હે,રામ,"જે સઘળું દૃશ્ય (જગત) છે તે મારું જ સ્વ-રૂપ છે" એવી ભાવનાથી,
"આ લેવા યોગ્ય છે અને આ છોડવા યોગ્ય છે" એવી વાસના ના બળ ને ક્ષીણ કરી નાખો,અને
એમ,બંધન ને પણ છોડી દો અને મોક્ષ ને પણ છોડી દો.

સત્સંગ,સત્કર્મો,શાસ્ત્ર શ્રવણ,વૈરાગ્ય અને બોધ (જ્ઞાન) થી જો મન શુદ્ધ થાય છે તો એવો નિશ્ચય થાય છે કે-
સ્વ-રૂપ માં જગતનો મિથ્યા જ પ્રતિભાસ થયો છે.દ્વૈત દેખાય એટલે તરત જ બંધન ની પ્રાપ્તિ થાય છે.
અને આત્મ-દર્શન થાય એટલે તરત જ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
બહારની તથા અંદરની સઘળી "દ્વૈત-દૃષ્ટિ"ને છોડી દઈને મન,જયારે બોધ (અદ્વૈત કે જ્ઞાન) માં
લીન રહે ત્યારે,બ્રહ્મ-પદ પ્રાપ્ત થઇ ચૂક્યું છે તેમ સમજવું.

જગત તો-આદિમાં પણ નથી અને અંતમાં પણ નથી,માટે મધ્યમાં પણ ખોટું જ છે.
જે આદિમાં કે અંતમાં ના હોય તેનું મધ્યમા હોવું સંભવતું જ નથી-
અને એ રીતે જગતને જેણે જાણ્યું ના હોય -તેને દુખિયા-પણું તેના હાથમાં જ છે તેમ સમજવું.
વળી,આ જે જગત છે તે આત્મા જ છે -એમ પણ,જેણે જાણ્યું નથી,તેને જગતની લીલા દુઃખદાયી થાય છે,
અને જેણે, એ (જગત એ આત્મા જ છે-એમ) જાણ્યું છે તેને તે જગતની લીલા ભોગ અને મોક્ષ-સુખ-બંને આપે છે.
(નોંધ-જ્ઞાનીને મિથ્યા જાણેલા પદાર્થો (જગત-વગેરે) દુઃખદાયી થતા નથી તેથી  તે
મિથ્યા જાણેલા પદાર્થો પ્રત્યે અનાસક્ત રહીને પ્રારબ્ધ-કર્મ ને લીધે તે ભોગ ભોગવે છે,
પણ તે ભોગ તેમના પ્રારબ્ધ-કર્મ  નો નાશ કરનાર હોવાને લીધે મોક્ષમાં પણ ઉપયોગી બને છે)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE