Jul 28, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-871

વસિષ્ઠ કહે છે કે-એ "જીવ-ચૈતન્ય" ના ચિદાભાસ-પણાને
(એટલે કે લિંગ-દેહ-વગેરે દૃશ્યમાં પડેલા તે ચૈતન્યના પ્રતિબિંબ-ભાવને)
મિથ્યા સમજી મૂકી દેવામાં (ત્યાગી દેવામાં) આવે તો,તે ચૈતન્યનું જે શુદ્ધ-રૂપ અવશેષ રહે છે,
તે ચિદાભાસ-રૂપે કે કર્મ-રૂપ નથી પણ શાંત બ્રહ્મ-રૂપ છે.
(એટલે કે જે ચિદાભાસ-રૂપ,જીવ-ચૈતન્ય છે-તે કર્મ-રૂપ કહેવાય છે) કેમ કે,જળમાં પડેલા
આકાશના પ્રતિબિંબની જેમ,એ ચિદાભાસ (જીવ-ચૈતન્ય) જ બુદ્ધિ-આદિમાં પ્રતિબિંબ-વાળો
થઈને કર્મોને વિસ્તારી રહેલો છે,માટે,અનુભવી પુરુષો,એ ચિદાભાસ-રહિત દશાને મોક્ષ-રૂપ સમજે છે.

કર્મનો સાવ (બિલકુલ) ત્યાગ,દેહ રહે ત્યાં સુધી (જ્ઞાન વિના બીજી કોઈ રીતે) સંભવતો નથી.
જે લોકોને (જ્ઞાન ના હોવાથી) કર્મમાર્ગ જ માફક આવે છે-તેઓ તે કર્મોના મૂળને છોડતા નથી.
(નોંધ-વાસના-રૂપે રહેલા ચિત્તમાં જીવ-ચૈતન્યની ચિદાભાસ-રૂપે સ્થિતિ થવી તે કર્મોનું મૂળ છે-
અને તે દેહ રહે ત્યાં સુધી જ્ઞાન વિના બીજી કોઈ રીતે તે સ્થિતિની નિવૃત્તિ કરી શકાતી નથી)

હે રામચંદ્રજી,એ ચિદાભાસ-રૂપ-જીવ-ચૈતન્ય,અંદર બીજાં પણ (કામ-વાસના-આદિ) અનેક મૂળોને ઉત્પન્ન કરે છે,
છતાં,જ્ઞાન-વડે મોક્ષાધિકારી બનેલો હોય-તે શ્રેષ્ઠ છે.એટલે જે પુરુષ (પુરુષાર્થ કરી) જ્ઞાનથી,ચિદાભાસથી પ્રતીતિમાં આવતી,દૃશ્ય (જગત) રૂપ ભ્રાન્તિને છેદી નાખે છે,તે પુરુષ જ આ સંસાર-રૂપી-વૃક્ષને મૂળમાંથી
ઉખેડી દૂર કરી શકે છે.ચિદાભાસ વિનાનું અદ્વિતીય,એક અને સર્વ દૃશ્ય-પદાર્થથી રહિત,પરમ-આકાશ-રૂપ,
એ બ્રહ્મ-ચૈતન્ય છે કે જે આકાશની પેઠે નિઃસંગ હોવાથી નિર્વિકાર છે,
તેથી જ એ બ્રહ્મ-ચૈતન્યને બ્રહ્મવેત્તા પુરુષો,સર્વ "જીવ-ચૈતન્યો"નું "આખરનું ચેતન-સ્વ-રૂપ" કહે છે.

(૩) શુદ્ધ તત્વ જાણવાનો ઉપાય

રામ કહે છે કે-હે મહારાજ,જો વાસ્તવિક રીતે "ચિદાભાસ" એવી જો કોઈ વસ્તુ હોય ,તો પછી તેનો અભાવ
શી રીતે કરી શકાય? કેમ કે અસત્ય પદાર્થની સત્તા અને સત્ય પદાર્થનો અભાવ કદી પણ હોઈ શકતાં નથી.

વસિષ્ઠ કહે છે કે-જયારે અસત પદાર્થની સત્તા અને સત પદાર્થનો અભાવ હોતો નથી,ત્યારે ચિદાભાસ કે મિથ્યા-રૂપે દેખાય છે-તેનો અભાવ સહેલાઈથી અને પોતાની મેળે જ સિદ્ધ થાય છે.
ચિદાભાસનાં "નામ-રૂપ" રજ્જુમાં સર્પની જેમ માત્ર ભ્રાંતિ-રૂપ જ છે,એટલે તે મિથ્યા-રૂપ જ પ્રતીતિમાં આવે છે
તેમ તમે સમજો.એ ચિદાભાસનાં નામ-રૂપની પ્રતીતિ ના થવી-એ જ અતિ-શ્રેષ્ઠ (સુખ-કારક) છે.
અને  તે ચિદાભાસની પ્રતીતિ થવી એ મહા-દુઃખ-કારક છે.

હે રામચંદ્રજી,પરબ્રહ્મ કે જે સત્ય-રૂપ છે,તેને જ તમે આત્મા-રૂપે સમજો.
બાકી દૃષ્ટા-દૃશ્ય-દર્શન-એ ત્રિપુટીમાં એક થઇ રહેલો ચિદાભાસ,મિથ્યા છે અને તેને પોતાના અહંકાર વડે
(હું શરીર છું-કે હું અને મારું-એમ સમજીને) તે (ચિદાભાસ) ને આત્મા-રૂપ ના સમજો.
વ્યવહાર-કાળ કે જેમાં  દૃષ્ટા-દૃશ્ય-દર્શન-એ ત્રિપુટીની પ્રતીતિ થાય છે,તેમાં પણ વ્યવહારમાં દેખાતા
એ ચિદાભાસના "નામ-રૂપ" થી જુદું જ તે  સર્વના સાક્ષી-રૂપ-ચૈતન્ય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE