May 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1155

મુનિ કહે છે કે-ત્યાં (સંસારમાં) રહેવાથી હું આત્માના ચમત્કારને ભૂલી ગયો હતો.હું આત્મજ્ઞાનથી રહિત હતો
અને પત્નીમાં આસક્ત ચિત્તવાળો થઇ ગયો હતો.મારાં સોળ વર્ષ આમ વીતી ગયાં.પછી એક દિવસ મારે ઘેર
એક મહાજ્ઞાનવાળા એક મુનિ આવ્યા.મેં તેમની સારી રીતે પૂજા કરી ભોજન કરાવ્યું.થોડોક આરામ કરી રહ્યા બાદ,
મનુષ્યોને પ્રાપ્ત થતાં સુખ-દુઃખના ક્રમનો વિચાર કરી,તે વિષે મેં તેમને પ્રશ્ન કર્યો.

મુનિ (બીજા મુનિને) પૂછે છે કે-હે મહારાજ,આપ તો ઘણા જ્ઞાની છો ને જગતની સર્વ ગતિને જાણો છો,તો મને
કહો કે-જો કર્મ કરનારા જીવોને શુભ-અશુભ કર્મો વડે સુખ-દુઃખોની પ્રાપ્તિ થતી હોય તો શું આ સકળ પ્રજાઓ
શું એક સાથેજ કંઇક અશુભ કર્મો કરે છે કે જેથી દુકાળ-આદિમાં આવતા દુઃખો તેમને એક સાથે જ  ભોગવવા
પડે છે? દુકાળ વખતે આવતો અનાવૃષ્ટિ-આદિ ઉત્પાત,સર્વ ભક્ષ્ય-અભક્ષ્યને ભક્ષણ કરાવનાર છે,તે કેમ સર્વેને
એક સાથે જ પ્રાપ્ત થાય છે?અને કયા મનુષ્ય-સમુદાયનાં સરખાં કર્મો તેવું (દુકાળનું) ફળ આપે છે?

બીજા મુનિ કહે છે કે-આ જગત,એ નામરૂપથી રહિત,અનાદિ અને નિર્વિકલ્પ બ્રહ્મરૂપ છે,
કેમ કે ચિન્માત્ર-તત્વ-રૂપી-કાચનો તે (જગત) એક ચળકાટ માત્ર જ છે,આ સર્વ-વ્યાપી ચિન્માત્ર તત્વનું આવું જ
સ્વાભાવિક રૂપ છે,અને તે તત્વ જ્યાં જેવું (સંકલ્પથી) સમજે છે ત્યાં તેવું જ થયેલું અનુભવમાં આવે છે.
સર્વ પ્રાણીઓમાં રહેલા તે ચિદાત્માની,આપણા ચિદાત્માએ કરેલ કલ્પનાથી જ તે વિરાટભાવને પ્રાપ્ત થઇ રહેલું છે.
દેહમાં દેખાતા સુખ-દુઃખ -આદિના કારણ અને ભોક્તારૂપ તે જ થાય છે.

તે વિરાટ (ચિદાત્મા) સર્વના આધાર-રૂપ છે.તે વિરાટની ધાતુમાં (કલ્પિત રીતે)કંઇક વિકાર થાય છે,કે જેથી,
તે વિરાટના અવયવ-રૂપ આ સર્વ મનુષ્યોને એક સાથે અને એક સમયે દુકાળ-આદિ આપત્તિઓ એક સાથે પ્રાપ્ત થાય છે
અને એક સાથે શાંત પણ થઇ જાય છે.તો કેટલાંક દુષ્ટ કર્મોથી,કાકતાલીય ન્યાય મુજબ સર્વ જન-સમુદાય પર
અકસ્માત જ દુઃખ-આદિ આવી પડે છે.જો પોતાનો ચિદાત્મા,કર્મની કલ્પના કરી લે,તો જ તેને કર્મફળ ભોગવવું પડે છે,
પણ જો તે કર્મની કલ્પનાથી રહિત હોય તો તેને કર્મફળ ભોગવવું પડતું નથી.  

જ્યાં જ્યાં,જેવા જેવા પ્રકારે,'થોડા કે વિશાળ' રૂપમાં જે જે કલ્પના ઉદય પામે છે,તે તે ત્યાં ત્યાં તેવા જ પ્રકારે
'થોડા કે વિશાળ'-રૂપમાં અનુભવાય છે.જો તેમાં કશો હેતુ કલ્પાયેલો હોય કે ના કલ્પાયેલ હોય -તો તે
તેવા હેતુ મુજબનું કે હેતુ વગરનું ભાસે છે.સ્વપ્નમાં દેખાતા નગરમાં,તેનું ઉપાદાન કે સહકારી કારણ-આદિ કશું હોતું નથી
માટે તે અનાદિ-નિર્વિકાર પરબ્રહ્મ જ છે.સ્વપ્ન-ભ્રમમાં કશુંક કારણ વિના જ ભાસ્યા કરે છે તો કશુંક કારણ-વાળું પણ
ભાસે છે.આમ સ્વપ્ન સદ-રૂપ અને અસદ-રૂપ છે કે જેથી તે શૂન્ય અને મિથ્યા-રૂપ જ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE