Sep 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-288-Mahabharat-Book-Part-1-End

 
અધ્યાય-૮૧-ધૃતરાષ્ટ્ર ને સંજયનો સંવાદ 

II वैशंपायन उवाच II वनं गतेषु पार्थेषु निजितेपु दुरोदरे I धृतराष्ट्रं महाराज तदाचिन्ता समाविशत् II १ II

વૈશંપાયન બોલ્યા-દ્યુતમાં હારીને જયારે પૃથાપુત્રો વનમાં ગયા ત્યારે ધૃતરાષ્ટ્રને ચિંતાએ ઘેરી લીધો.વિચારમાં 

બેસી રહેલા,નિસાસા નાખતા અને વ્યગ્ર થયેલા તે રાજાને સંજયે કહ્યું કે-હે રાજન,તમે ધનથી ભરેલી 

વસુંધરાને પામ્યા છો,ને પાંડવોને રાજ્યબહાર કાઢયા છે,છતાં પણ તમે શાનો શોક કરો છો?

ધૃતરાષ્ટ્ર બોલ્યો-જેમને યુદ્ધવિશારદ,બળવાન અને મહારથી એવા પાંડવો સાથે વેર ઉભું થવાનું છે 

તેમને શોક ન કરવા જેવું ક્યાંથી હોય? (એટલે કે મને ભવિષ્યનો ડર લાગે છે) (4)

સંજય બોલ્યો-હે મહારાજ,તમારા કારણે જ (તમારી સંમતિથી) આ મહાન વેર ઉભું થયું છે,ને જેથી લોકોનો સપરિવાર વિનાશ થશે.ભીષ્મ,દ્રોણ અને વિદુરે વાર્યા છતાં,તમારા નિષ્ઠુર અને બુદ્ધિહીન પુત્રે,પ્રતિકામીને 

દ્રૌપદીને સભામાં લઇ આવવા મોકલ્યો હતો.દેવો જે મનુષ્યોને પરાભવ અપાવવા ઈચ્છે છે,તેની બુદ્ધિને તેઓ 

હરી લે છે અને તેથી તે મનુષ્ય બધું અવળું જ જુએ છે.જયારે બુદ્ધિ કલુષિત થાય છે અને વિનાશ સામે 

આવીને ઉભો રહે છે,ત્યારે અન્યાય,ન્યાય જેવો લાગે છે,ને તે હૈયામાંથી ખસતો નથી.વળી,તેને 

અનર્થો,અર્થરૂપે ને અર્થો અનર્થરૂપે ઉભા થાયે;આ લાગે છે,ને તે સાચે જ તેને ગમે છે (10)


કાળ,કંઈ દંડ ઉગામીને કોઈનું માથું ફોડતો નથી,આઈ વિપરીત સ્થિતિ કાળનું જ બળ છે.પાંચાલીને સભાની વચ્ચે 

ઘસડી લાવનારાઓએ આ ભયંકર વિનાશ લાવનારો પ્રસંગ ઉભો કર્યો હતો,યશસ્વિની,સર્વ ધર્મને જાણનારી,એ એકવસ્ત્રા દ્રૌપદીને અપમાન કરીને સભાની વચ્ચે ઘસડી લાવવાનું કામ એક ભૂંડા જુગારી સિવાય કોણ કરી શકે?

એ ઉપરાંત,દુર્યોધને ને કર્ણે,સભામાં દુઃખી ને ક્રોધમાં આવેલું તે કૃષ્ણાને કટુ વચનો કહ્યાં.

હે મહારાજ,આ બધું મને વિગ્રહને માટે પરિપૂર્ણ લાગે છે,ને વિગ્રહ થશે તેમાં શંકા નથી.


ધૃતરાષ્ટ્ર બોલ્યા-એ કૃષ્ણાની દીન આંખો,પૃથ્વીને પણ ખાખ કરી શકે તેમ છે.હે સંજય,હવે મારા પુત્રોમાંથી કોઈ શેષ રહેશે ખરો કે? કૃષ્ણાને સભામાં આયેલી જોઈને ભરતવંશીઓની સર્વ સ્ત્રીઓએ કલ્પાંત કર્યું હતું,

બ્રાહ્મણો કોપી ઉઠયા હતા,ને પ્રજાજનો સાથે મળીને શોક કરવા લાગ્યા હતા.તે વખતે વિનાશકારી પ્રચંડ પવન ચાલ્યો હતો,વીજળીઓના કડાકા થયા હતા ને આકાશમાંથી ઉલ્કાઓ ખરી હતી,વગર યોગે રાહુએ સૂર્યને 

પકડ્યો હતો અને તેથી સર્વને મહાભીષણ ભય પેદા થયો હતો.દુર્યોધનની અગ્નિશાળામાં શિયાળવીઓ 

ભયંકર ભૂંડી રીતે ભૂંકી ઉઠી હતી અને ગધેડાઓએ સર્વ દિશાઓ ગજવી મૂકી હતી.ને તે  વખતે 

ભીષ્મ,કૃપાચાર્ય,સોમદત્ત,બાહલીક ને દ્રોણ ત્યાંથી ચાલ્યા ગયા હતા.(26)


તે વખતે વિદુરની પ્રેરણાથી મેં,કૃષ્ણાને વરદાન આપ્યું ને તેણે પાંડવોને છોડાવ્યા.ને પછી,મેં તે પાંડવોને રથ,ધનુષ્યો સાથે જવાની રજા આપી હતી.ત્યારે વિદુર બોલ્યો હતો કે-'ભરતવંશીઓનો છેડો આવી ગયો છે કેમકે 

દ્રૌપદીને સભામાં ખેંચી લાવવામાં આવી છે,ને આ ઘોર અન્યાય પાંડવો કોઈ પણ રીતે સહન કરી લેશે નહિ.

પાંડવો,સત્યપ્રતિજ્ઞ કૃષ્ણથી રક્ષાયેલા છે,એટલે જયારે યુદ્ધ થશે ત્યારૅ,અર્જુન અને ભીમની સામે કોઈ 

ઉભો પણ રહી શકવાને સમર્થ થશે નહિ.એથી વધુ બળવાન પાંડવો સાથે સંધિ કરવી મને ગમે છે.

જરાસંઘ સહુથી બળવાન હતો પણ તેને ભીમે હાથરૂપી હથિયારથી મારી નાખ્યો હતો.માટે 

હે રાજન,તમે પાંડવો સાથે સંપીને રહો ને બે પક્ષે જે હિત હોય તે કરો તે જ પરમ કલ્યાણકારક છે'

હાય,હે સંજય,વિદુરનાં ધર્મવચનોને પણ,મેં,પુત્રહિત ઇચ્છનારાએ,તે વખતે કાને ધર્યા નહિ (39)

અધ્યાય-81-સમાપ્ત 

અનુદ્યુત પર્વ સમાપ્ત 

સભાપર્વ સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE

Mahabharat-Book-Part-1-End


પ્રસ્તૂતકર્તા-અનિલ પ્રવીણભાઈ શુક્લ-www.sivohm.com