અધ્યાય-૧૮૭-અંબાનો અગ્નિમાં પ્રવેશ
II भीष्म उवाच II ततस्ते तापसाः सर्वे तपसे धृतनिश्चयां I द्रष्ट्वा न्य्वर्त्ययंस्तात् किं कार्यमिति चाब्रुवन् II १ II
ભીષ્મે કહ્યું-'તે પછી,સર્વ તપસ્વીઓ,તપને માટે નિશ્ચયવાળી તે કન્યાને જોઈને તેને તપથી અટકાવતા પૂછવા લાગ્યા કે-'તારે કયું કાર્ય સિદ્ધ કરવું છે?' અંબાએ કહ્યું-'ભીષ્મે મને પતિધર્મથી ભ્રષ્ટ કરીને રઝળતી કરી છે.માટે તે ભીષ્મના વધ માટે મેં આ તપની દીક્ષા ધારણ કરી છે.હું સ્ત્રીપણાથી બહુ કંટાળી ગઈ છું ને પુરુષ જન્મ મેળવવાના નિશ્ચયપૂર્વક ભીષ્મનો બદલો લેવાની ઈચ્છા રાખું છું.માટે તમારે મને આ કાર્યમાં મને અટકાવવી નહિ' ત્યારે,તે મહર્ષિઓની વચ્ચે પાર્વતીપતિ શંકરે પોતાના સ્વરૂપથી દર્શન આપી વર આપતાં કહ્યું કે-'તું ભીષ્મનો વધ કરીશ'
અંબાએ પૂછ્યું-હે દેવ,હું સ્ત્રી છું,મારો યુદ્ધમાં જય કેવી રીતે ઘટી શકે? સ્ત્રીપણાને લીધે મારું મન બહુ નરમ છે.તમે મને વચન આપ્યું કે ભીષ્મનો મારે હાથે પરાજય થશે,તો તમારો આ વર જે રીતે સત્ય થાય તે પ્રમાણે તમે કરો'
મહાદેવે કહ્યું-'હે ભદ્રે,મારી વાણી મિથ્યા બોલતી નથી,માટે તે સત્ય જ થશે.તું બીજા જન્મમાં તું પુરુષપણાને પામીશ ને રણમાં ભીષ્મનો નાશ કરીશ.તારા બીજા જન્મમાં પણ તને આ જન્મનું સ્મરણ રહેશે.તું દ્રુપદના કુળમાં પ્રથમ કન્યારૂપે ઉત્પન્ન થઈશ,પણ કેટલોક સમય ગયા પછી તું પુરુષપણાને પામીશ.'
આ પ્રમાણે કહીને મહાદેવ ત્યાંથી અંતર્ધાન થયા,પછી તે અંબાએ સર્વ મહર્ષિઓની સમક્ષ જ વનમાંથી કાષ્ઠો લાવીને મોટી ચિતા ખડકી અને તેમાં અગ્નિ મુક્યો,ને 'ભીષ્મના વધને માટે હું દેહ છોડું છું' એમ કહીને યમુનાના તીરે પ્રદીપ્ત કરેલી તે ચિતામાં,તે અંબાએ,અત્યંત રોષથી ને બળતા ચિત્ત વડે,પ્રવેશ કર્યો (19)
અધ્યાય-187-સમાપ્ત