અધ્યાય-૧૮૮-શિખંડીની ઉત્પત્તિ
II दुर्योधन उवाच II कथं शिखण्डी गान्गेय कन्या भूत्वा पुरा तदा I पुरुषोभुद्युधिश्रेष्ठ तन्मे ब्रुहि पितामह II १ II
દુર્યોધને પૂછ્યું-હે ગંગાપુત્ર પિતામહ,શિખંડી પ્રથમ કન્યારૂપે ઉત્પન્ન થઈને પુરુષરૂપે કેવી રીતે થયો?તે કહો
ભીષ્મે કહ્યું-દ્રુપદ રાજાની પ્રિય પટરાણી પુત્ર વિનાની હતી.ઉપરોક્ત અંબાનું પ્રકરણ ચાલતું હતું તે સમયે જ દ્રુપદ રાજાએ (મારા વધનો નિશ્ચય કરીને) પુત્રપ્રાપ્તિને માટે તપ કરીને શંકરને પ્રસન્ન કર્યા હતા.શંકરે વર આપતાં કહ્યું કે-'પ્રથમ સ્ત્રીરૂપ પણ પછી પુરુષરૂપ એવું એક સંતાન તને પ્રાપ્ત થશે.તારા નસીબમાં આ જ પ્રમાણે છે,મારું કહેવું મિથ્યા થશે નહિ' આ પ્રમાણે વર મેળવીને દ્રુપદ પોતાના નગરમાં ગયો ને પોતાની ભાર્યાને શંકરના વર ની સર્વ વાત કહી.
પછી,યોગ્ય સમયે,દ્રુપદની પટરાણીએ એક કન્યાનો જન્મ આપ્યો.પણ મનસ્વિની તે રાણીએ 'મને પુત્ર થયો છે'એવું લોકોમાં જાહેર કર્યું.દ્રુપદે પણ ગુપ્ત રાખેલી તે પુત્રીના પુત્રની જેમ સર્વ સંસ્કારો કરાવ્યા,ને આ વાત દ્રુપદ સિવાય બીજા કોઈએ નગરમાં જાણી નહિ.અને સર્વ લોકો તેને શિખંડી એવા પુરુષવાચક નામથી ઓળખવા લાગ્યા.હે દુર્યોધન,પણ હું એકલો જ નારદના વચનથી,શંકરના વરદાન અને અંબાની તપશ્ચર્યાને લીધે 'શિખંડી સ્ત્રી છે' એમ જાણતો હતો (20)
અધ્યાય-188-સમાપ્ત