Jun 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-843

 

અધ્યાય-૧૮૯-હિરણ્યવર્માનો દૂત દ્રુપદની પાસે આવ્યો


II भीष्म उवाच II चकार यत्नं द्रुपदः सुतायाः सर्वकर्मसु I ततो लेख्यादिषु तथा शिल्पेषु च परंतप II १ II

ભીષ્મે કહ્યું-'પછી,દ્રુપદરાજાએ પોતાની પુત્રીને લેખન,શિલ્પકળા વગેરે સર્વ કર્મો શીખવાડવાનો યત્ન કર્યો.તે શિખંડી ધનુર્વિદ્યા શીખવામાં દ્રોણનો શિષ્ય થયો હતો.ત્યારબાદ,શિખંડીની માતાએ,તે શિખંડીને પુત્રની જેમ,લગ્ન કરીને સ્ત્રી લાવી આપવા દ્રુપદને પ્રેરણા કરી.ત્યારે કન્યાને યૌવન આવેલું જોઈને,દ્રુપદ પોતાની રાણી સાથે ચિંતા કરવા લાગ્યો કે 'હવે શું થશે?'

રાણીએ કહ્યું-'ત્રણેલોકના કર્તા મહાદેવનું વચન કોઈ રીતે મિથ્યા થશે નહિ.હું કહું છું તે જો તમારી બુદ્ધિ કબુલ કરે,તો તેમ કરો.આ શિખંડીનાં યત્નથી તમે વિધિ પ્રમાણે લગ્ન કરો,કારણકે શંકરનું વચન સત્ય જ થશે એવો મારી બુદ્ધિનો નિશ્ચય છે.'

તે પછી,પતિપત્નીએ શિખંડીનાં લગ્ન કરવાનો નિશ્ચય કર્યો અને દશાર્ણરાજ હિરણ્યવર્માની કન્યાનું માગું કર્યું.હિરણ્યવર્માએ પોતાની કન્યા વિધિ પ્રમાણે શિખંડીને આપી.કેટલોક સમય ગયા પછી,હિરણ્યવર્માની કન્યાએ 'શિખંડી પોતાની જેમ જ સ્ત્રી છે'એમ જાણ્યું એટલે તેણે પોતાની સખીઓ મારફત હિરણ્યવર્માને આ ઠગાઈની જાણ કરી કે જેથી તે રાજાને ક્રોધ થયો.

ને તીવ્ર ક્રોધ પામેલા તે રાજાએ દ્રુપદને ઘેર એક દૂતને મોકલ્યો,કે જે દ્રુપદની પાસે જઈને તેમને એકાંતમાં કહેવા લાગ્યો કે-'હે રાજા,તમે દશાર્ણ દેશના રાજાને ઠગ્યા છે,ને તેમણે કહાવ્યું છે કે-'તેં મારુ અપમાન કર્યું છે,તારો વિચાર દુષ્ટ હતો ને પોતાની કન્યાને માટે મારી કન્યાનું માગું કર્યું હતું.હવે તારી ઠગાઈનું ફળ તું ભોગવ.હું તારા સ્વજન અને અમાત્યોની સાથે તને ઉખેડી નાખવા આવું છું,તું તૈયાર થઇ જા'(23)

અધ્યાય-189-સમાપ્ત 


અધ્યાય-૧૯૦-દ્રુપદની ચિંતા 


II भीष्म उवाच II एवमुक्तस्य दूतेन द्रुपदस्य तदा नृप I चोरस्येव गृहतस्य न प्रावर्तत भारती II १ II

ભીષ્મે કહ્યું-'હે રાજા,દૂતે એ પ્રમાણે દ્રુપદને કહ્યું,તે વખતે પકડેલા ચોરની જેમ દ્રુપદ કંઈ બોલી શક્યો નહિ,પછી મધુર ભાષણ કરનારા તે દૂતો સાથે 'તમે માનો છો તેમ નથી' એવો સંદેશો મોકલીને વેવાઈને મનાવવા પ્રયત્ન કર્યો.પણ,હિરણ્યવર્માએ ફરીથી તપાસ કરીને 'શિખંડી કન્યા છે' એમ માહિતી મેળવીને,પોતાના મિત્ર રાજાઓની સાથે મળીને,સૈન્ય એકઠું કરીને દ્રુપદ પર ચડાઈ કરવાનો નિશ્ચય કર્યો.ને એલાન કર્યું કે-આપણે પાંચાલરાજ અને શિખંડીને મારીને,તે દેશમાં બીજો રાજા બેસાડીશું.


દ્રુપદરાજા મૂળથી જ અપરાધી હતો એટલે વેવાઈના સંદેશથી તે ડરી ગયો,તેણે હિરણ્યવર્માને સમજાવવા દૂતો મોકલ્યા અને પોતે એકાંતમાં રાણીને મળીને તેને કહેવા લાગ્યો કે-'આપણો વેવાઈ ક્રોધથી મોટી સેનાએ લઈને આવે છે તો આ કન્યા સંબંધી હવે શું કરવું? મેં તેને,શિખંડી સંબંધી ઠગ્યો છે -એમ માનીને તે મોટી સેના લઈને આવે છે.આપણે સર્વે મહાદુઃખમાં આવી પડ્યા છીએ તો આ સંબંધી શું કરવું?'પછી,દ્રુપદે શિખંડીની આ સર્વ વાત બીજા સર્વેને જાહેરમાં જણાવવા માટે,જાહેરમાં જ રાણીને 'હવે શું કરવું?' એવો પ્રશ્ન કર્યો-ત્યારે રાણીએ કહેવા લાગી (22)

અધ્યાય-190-સમાપ્ત