અધ્યાય-૧૯૧-શિખંડીને સ્થૂણાકર્ણ યક્ષનો સમાગમ
II भीष्म उवाच II ततः शिखण्डिनो माता यथातत्वं नराधिप I आचचक्षे महाबाहो भर्त्रे कन्यां शिखण्डिनिं II १ II
ભીષ્મે કહ્યું-હે મહાબાહો,પછી,રાણીએ શિખંડીની ખરી વાત,પોતાના ભર્તાને જાહેરમાં કહી કે-'હે રાજા,મને પુત્ર ન હોવાથી,શોક્યોના ભયને લીધે આ શિખંડીની કન્યા હતી તો પણ તે પુરુષ છે એમ મેં જણાવ્યું હતું.હે રાજા તમે પણ મારા પર પ્રીતિને લીધે તે વાતને અનુમોદન આપ્યું હતું.'કન્યા અવતરીને તે પુરુષ થશે' એવા શંકરનાં વચન તરફ નજર રાખીને મેં આ સાહસ કર્યું હતું ને અનર્થની દરકાર કરી નહોતી પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.ને આ વાત દુઃખરૂપ થઇ છે.
હે રાજા,દુઃખી મનુષ્યે,નિત્ય દેવોનું ને સત્પુરુષોનું પૂજન કરવું એમ શાસ્ત્રમાં કહ્યું છે.માટે દેવોનું પૂજન કરો,પુષ્કળ દક્ષિણાઓ આપો ને અગ્નિઓમાં હોમ આપો.તમે મનમાં એવું ચિંતન કરો કે દશાર્ણ દેશનો રાજા યુદ્ધ કર્યા વિના જ પાછો જાય,દેવોની કૃપાથી એ સર્વ સિદ્ધ થશે.દૈવની સાથે પુરુષાર્થ મળવાથી કાર્ય ઉત્તમ રીતે સિદ્ધ થાય છે.સાથે સાથે તમે પ્રધાનો સાથે નગરના રક્ષણની યોજના કરીને,ઈચ્છા પ્રમાણે દેવોનું પૂજન અર્ચન કરો.'
પોતાના માતપિતાને શોકપરાયણ થયેલાં જોઈને શિખંડીની લજ્જિત થઇ ને 'પોતાના કારણે આ બંને દુઃખી થયાં છે'એમ વિચાર કરીને તેણે પોતાના પ્રાણત્યાગનો નિશ્ચય કર્યો,ને ઘર છોડીને નિર્જન વનમાં ચાલી ગઈ.તે વનનું કુબેરનો અનુચર,સ્થૂણાકર્ણ નામનો યક્ષ રક્ષણ કરતો હતો.શિખંડીનીએ તે વનમાં ભોજન ન કરીને શરીર સૂકવવા માંડ્યું,ત્યારે તે યક્ષે દયાયુક્ત થઈને કહ્યું કે-
'હે રાજપુત્રી,હું કુબેરનો અનુચર છું,અને વર આપવા સમર્થ છું,તારે જે કહેવાની ઈચ્છા હોય તે મને કહે'
શિખંડીનીએ પોતાના સર્વ દુઃખની વાત કરીને કહ્યું કે-'હિરણ્યવર્મા રાજા ક્રોધ પામીને મારા પિતા પર ચડી આવે છે,એટલે મારા પિતાના વંશનો નાશ થશે.તમે મારા માતપિતાને બચાવો.તમે મારું દુઃખ મટાડવાની પ્રતિજ્ઞા કરી છે તો હું તમારી કૃપાથી ઉત્તમ પુરુષ થાઉં તેમ કરો.હિરણ્યવર્મા અમારા નગર પર ચડી આવે તે પહેલાં જ આ કૃપા કરો'(30)
અધ્યાય-191-સમાપ્ત