અધ્યાય-૧૯૨-શિખંડીને પુરુષપણાની પ્રાપ્તિ
II भीष्म उवाच II शिखंडीवाक्यं श्रुत्वाथ यक्षो भरतर्षंम I प्रोवाच मनसा चिंत्य दैवेनोपनिपीडित II १ II
ભીષ્મે કહ્યું-હે રાજા,શિખંડીનું કહેવું સાંભળીને,દૈવના સપાટામાં સપડાયેલા તે યક્ષે મનમાં વિચાર કરીને તેને કહ્યું કે-
'હે કલ્યાણી,તું મારો ઠરાવ સાંભળ,હું મારું પુરુષપણું તને થોડા સમય માટે આપું છું,પરંતુ સમય પૂરો થતાં તારે અહીં પાછા આવવું,એને માટે તું સત્યના સોગન લે.મારી કૃપાથી તું તારા માતપિતા ને નગરનું રક્ષણ કર.હું તારું પ્રિય કરીશ'
શિખંડીએ કહ્યું-'હે સદાચારી નિશાચર,હું તમારું પુરુષપણું સમય પૂરો થતાં પાછું આપીશ.હિરણ્યવર્મા પાછો જશે
ત્યારે હું ફરીથી કન્યા થઇ જઈશ અને તમે પુનઃ પુરુષ થજો'
આ પ્રમાણે બંનેએ ઠરાવ કર્યો અને એકબીજાનાં જાતિસૂચક ચિહ્નનો બદલો કર્યો.શિખંડી પુરુષપણું મેળવીને આનંદ પામ્યો ને નગરમાં પાછા આવીને પિતાને મળીને તેમને સર્વ વૃતાંત કહ્યો.તે સાંભળી દ્રુપદને હર્ષ થયો,તે વખતે તેણે તથા રાણીએ મહાદેવનાં વચન સંભાર્યા.તે વખતે જ હિરણ્યવર્મા,દ્રુપદના નગર પર ચડી આવ્યો અને તેણે દૂતના મારફત સંદેશો મોકલ્યો કે-
'ઓ દુર્બુદ્ધિવાળા,તેં મને છેતર્યો છે,તો તે પાપ કરવાનું તું ફળ ભોગવ,આજે મારી સાથે તારું યુદ્ધ થશે,તેમાં હું તને,તારા અમાત્યો અને બાંધવો આદિની સહિત તને તુરત જ ઉખેડી નાખીશ'
ત્યારે દ્રુપદે પોતાના દૂત દ્વારા હિરણ્યવર્માને સંદેશો મોકલ્યો કે-'હે રાજન,તમે ખુશીથી નગરમાં આવો અને તપાસ કરો.મારો પુત્ર ખરેખર પુરુષ જ છે તમને કોઈએ એને વિષે ખોટી વાત કહી છે,તેના પર વિશ્વાસ રાખો નહિ'
દ્રુપદના સંદેશાથી હિરણ્યવર્મા વિચારમાં પડ્યો અને તેણે 'શિખંડી પુરુષ છે કે સ્ત્રી?' તે જાણવા માટે સુંદર રૂપવાળી ઉત્તમ તરુણ સ્ત્રીઓ તેની પાસે મોકલી.કે જે સ્ત્રીઓ શિખંડીનું ખરું સ્વરૂપ જાણીને રાજા પાસે પછી આવી અને તેઓએ કહ્યું કે-'શિખંડી પુરુષ જ છે' તે સાંભળી રાજા બહુ ખુશ થયો અને નગરમાં જઈને દ્રુપદને ભેટીને ત્યાં આનંદથી રહ્યો.
તે રાજાએ પ્રસન્ન થઈને શિખંડીને ધન,હાથી,ઘોડા,ગાયો ને પુષ્કળ દાસીઓ આપી અને પોતાને ઘેર ગયો.
આ અરસામાં કુબેર વિમાનમાં બેસીને સ્થૂણાકર્ણ યક્ષના ભવન આગળ આવી પહોંચ્યા.તેમણે પોતાના અનુયાયી યક્ષોને તે સ્થૂણાકર્ણ યક્ષને બોલાવી લાવવા કહ્યું.ત્યારે યક્ષોએ કહ્યું કે-સ્થૂણાકર્ણે પોતાનું પુરુષપણું શિખંડીને આપ્યું છે ને પોતે સ્ત્રીરૂપ ધા ધારણ કરેલું હોવાથી તે શરમાતો હોવાથી તમારી પાસે આવતો નથી' ત્યારે ક્રોધે ભરાયેલ કુબેરે સ્થૂણાકર્ણને શાપ આપતાં કહ્યું કે-'ઓ પાપકર્મ કરનારા,તેં આલોકમાં યક્ષોનું અપમાન કરીને શિખંડીને પોતાનું પુરુષપણું આપ્યું છે,આવું કામ કોઈ વખત થયેલું નથી,તેથી તું હંમેશ સ્ત્રીસ્વરૂપમાં જ રહેશે ને શિખંડી કાયમ પુરુષરૂપે જ રહેશે.'
ત્યારે યક્ષોએ,સ્થૂણાકર્ણ પર કૃપા કરીને શાપનો છેડો લાવવાની પ્રાર્થના કરી,ત્યારે કુબેરે કહ્યું કે-શિખંડી મરણ પામશે ત્યારે આ સ્થૂણાકર્ણ યક્ષને પુનઃ પોતાનું પુરુષપણું પ્રાપ્ત થશે' આમ કહી તે ત્યાંથી અંતર્ધાન થયા.
પછી,ઠરાવ મુજબ,શિખંડી સ્થૂણાકર્ણ પાસે પાછો આવ્યો ત્યારે તેણે શિખંડીને શાપની સર્વ વાત કહી અને કહ્યું કે-'હવે તું તારી ઇચ્છામાં આવે ત્યાં જા અને સુખથી આ લોકમાં વિહાર કર.આ સર્વ ઘટનાને હું પૂર્વજન્મનું ભાગ્ય માનું છું'
ભીષ્મે કહ્યું-'હે ભારત,પછી,શિખંડી આનંદ પામીને પોતાના નગરમાં પાછો આવ્યો.દ્રુપદે તેને શિષ્ય તરીકે દ્રોણાચાર્યને સોંપ્યો.કે જ્યાં તે ચારપાદવાળો ધનુર્વેદ શીખ્યો.આમ,કાશીરાજની કન્યા કે જે અંબા તરીકે પ્રખ્યાત હતી,તે જ શિખંડી રૂપે પ્રથમ સ્ત્રીરૂપે ઉત્પન્ન થઇ હતી ને પાછળથી પુરુષપણાને પામી હતી.એટલે તે જો યુદ્ધમાં મારી સામે આવશે તો હું તેની સામે જોઇશ પણ નહિ અને તેની પર પ્રહાર પણ કરીશ નહિ.હું સ્ત્રી,પ્રથમ સ્ત્રી પણ પછી પુરુષ થયેલા પર,સ્ત્રીનામધારી ઉપર બાણ મુકતો નથી એ મારુ નિત્યનું વ્રત છે.આ કારણને લીધે હું તે શિખંડીને મારીશ નહિ.હું જો સ્ત્રીને મારું તો સત્પુરુષો મારી નિંદા કરે'
ભીષ્મનાં વચન સાંભળી દુર્યોધન વિચારમાં પડ્યો અને 'તેમનું વર્તન યોગ્ય જ છે' એમ તેણે માન્યું. (70)
અધ્યાય-192-સમાપ્ત