Jun 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-846

 

અધ્યાય-૧૯૩-ભીષ્મ વગેરેની શક્તિનું વર્ણન 


II संजय उवाच II प्रभातायां तु शर्वर्यां पुनरेव सुतस्तव I मध्ये सर्वस्य सैन्यस्य पितामहमप्रुच्छत II १ II

સંજયે કહ્યું-હે ધૃતરાષ્ટ્ર,તે રાત્રિ વીતીને પ્રભાત થતાં જ દુર્યોધને સર્વ સૈન્યની વચ્ચે ભીષ્મપિતામહને પૂછ્યું કે-

'હે ગંગાપુત્ર,યુધિષ્ઠિરનું આ સૈન્ય કે જે અનેક મહારથીઓથી સજ્જ છે ને ખાળી ન શકાય તેવા આ સૈન્યનો તમે કેટલા દિવસે નાશ કરી શકશો? વળી આપણી સેનાના દ્રોણ,કૃપ,કર્ણ,અશ્વસ્થામા આદિમાંનો એક એક જણ કેટલે દિવસે પાંડવોની સેનાનો ક્ષય કરી શકશે? આ જાણવાની મારા મનમાં ઈચ્છા છે તો તે તમારે મને કહેવું જોઈએ.'

ભીષ્મે કહ્યું-'હે દુર્યોધન મારી શક્તિ વિષે તું સાંભળ.યુદ્ધધર્મનો એવો નિશ્ચય છે કે-સરળ યુદ્ધ કરનારા સામે સરળ અને કપટીની સામે કપટથી યુદ્ધ કરવું.એ નિયમ પ્રમાણે,હું એકલો,પાંડવોની સેનાના ભાગ પાડીને રોજ રોજ દિવસના દશ હજાર યોદ્ધાઓનો અને એક હજાર રથીઓનો સંહાર વાળું.આ રીતે સૈન્યના પ્રમાણમાં જેટલા દિવસ જોઈએ તેટલા દિવસમાં આ મોટા સૈન્યનો નાશ કરું.પરંતુ જો હું લાખોનો સંહાર વાળે તેવા અસ્ત્રો મુકવા માંડું તો એક માસમાં સૈન્યનો નાશ થાય.'


પછી દુર્યોધને દ્રોણની તરફ જોઈને તેમને પૂછ્યું કે-'આપ કેટલે દિવસે પાંડવોના સૈનિકોને મારી શકો?'

દ્રોણે હસતાં હસતાં કહ્યું કે-હું પણ ભીષ્મની જેમ એક માસમાં પાંડવોની સેના બાળી નાખી શકું,એમ મારુ માનવું છે'

પછી,કૃપાચાર્યે પોતાને આ કૃત્ય કરતાં બે મહિના લાગે એમ કહ્યું.અશ્વસ્થામાએ દશ દિવસમાં જ સેનાનો સંહાર કરવાની પ્રતિજ્ઞા કરી અને કર્ણે તો માત્ર પાંચ દિવસમાં જ તે કાર્ય કરવાની પ્રતિજ્ઞા કરી.ત્યારે કર્ણનું તે વચન સાંભળીને ભીષ્મ ખડખડાટ હસવા લાગ્યા અને બોલ્યા કે-'હે કર્ણ,શ્રીકૃષ્ણની સાથે રથમાં બેસીને,સંગ્રામમાં બાણ,શંખ અને ધનુષ્ય ધારણ કરીને આવતા અર્જુનનો જ્યાં સુધી તને ભેટો થયો નથી,ત્યાં સુધી જ તું આમ માને છે,પણ તેના સમાગમમાં આવ્યા પછી તું આમ બોલી શકીશ કે?(22)

અધ્યાય-193-સમાપ્ત 


અધ્યાય-૧૯૪-અર્જુનનાં વાક્યો 


II वैशंपायन उवाच II एतच्छ्रुत्वा तु कौन्तेय सर्वान्भ्रातृनुपह्वरे I आहूय भरत श्रेष्ठ इदं वचन ब्रवीत II १ II

વૈશંપાયને કહ્યું-'હે જન્મેજય,દુર્યોધન તરફની એ સર્વ વાત દૂતો મારફત સાંભળીને યુધિષ્ઠિરે સર્વ ભાઈઓને એકાંતમાં બોલાવીને કહ્યું કે-'દુર્યોધનની સેનામાંના આપણા છુપા દૂતોએ સમાચાર મોકલ્યા છે કે-દુર્યોધને ભીષ્મને પ્રશ્ન કર્યો કે-તમે કેટલા સમયમાં પાંડવ સેનાનો નાશ કરી શકો?ત્યારે તેમણે 'એક મહિનામાં નાશ પમાડું' એમ કહ્યું.દ્રોણને પુછતાં,તેમણે પણ ભીષ્મ જેટલો જ સમય કહ્યો,કૃપે ભીષ્મથી બમણો સમય કહ્યો,અશ્વસ્થામાએ દશ દિવસમાં જ ને કર્ણે પાંચ દિવસમાં જ પાંડવ સૈન્યનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરી.તો હે અર્જુન હું સાંભળવા ઈચ્છું છું કે-તું કેટલા દિવસમાં શત્રુઓનો સંહાર કરી શકે?' 


અર્જુને કહ્યું-હે મહારાજ,તે સર્વ મહાત્માઓ,તેમણે કહેલી મુદતમાં સંહાર કરે તેમાં સંદેહ નથી,પરંતુ તેને લીધે તમારે મનમાં સંતાપ કરવાનું કારણ નથી.હું માત્ર શ્રીકૃષ્ણની સહાયતાથી,દેવો સહિત ત્રણે લોકમાં રહેલા સર્વ સ્થાવર જંગમ પ્રાણીઓનો માત્ર એક આંખના પલકારામાં જ સંહાર કરવા સમર્થ છું,એમ મારું માનવું છે.મહાદેવનું પાશુપતાસ્ત્ર,કે જે અસ્ત્રનો,તે શ્રીશંકર,પ્રલય સમયે સર્વ પ્રાણીઓનો સંહાર કરવા કરે છે,તે અસ્ત્ર તેમણે મને આપેલું છે.તે અસ્ત્રને ભીષ્મ,દ્રોણ,કૃપ,અશ્વસ્થામા કે કર્ણ જાણતા નથી.પરંતુ આ દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ સામાન્ય મનુષ્ય સામે કરવો યોગ્ય નથી,માટે હું સરળ યુદ્ધથી જ શત્રુઓનો શીઘ્ર પરાજય કરીશ તેમાં શંકા નથી.


વળી,આપણી પાસે,ધૃષ્ટદ્યુમ્ન,ભીમ,નકુલ,સહદેવ,શિખંડી,યુયુધાન,યુધામન્યુ,ઉત્તમૌજા,વિરાટ,દ્રુપદ,ઘટોત્કચ,તેનો પુત્ર અંજનપર્વા,સાત્યકિ,અભિમન્યુ,દ્રૌપદીના પાંચ પુત્રો એ સર્વે અને તમે પોતે ત્રણે લોકનો સંહાર કરવા સમર્થ છો.હે મહારાજ,આપ ક્રોધથી જે પુરુષના સામે જુઓ તે તત્કાળ નાશ અમે તેવો આપનો પ્રભાવ છે,એ હું જાણું છું (22)

અધ્યાય-194-સમાપ્ત