અધ્યાય-૭૨-પાંચમો દિવસ (ચાલુ)-સંકુલ યુદ્ધ
॥ संजय उवाच ॥ शिखंडी सहमत्स्येन विराटेन विशांपते I भीष्ममशु महेष्वासममसद सुदुर्जयम् ॥१॥
સંજયે કહ્યું-હે રાજા,મત્સ્યરાજા અને વિરાટરાજાને સાથે લઈને શિખંડી,અતિ દુર્જય મોટા ધનુર્ધારી ભીષ્મ પાસે આવી પહોંચ્યો.અને અર્જુન,દ્રોણાચાર્ય,કૃપાચાર્ય,વિકર્ણ અને બીજા શૂરા રાજાઓની સામો યુદ્ધ કરવા આવ્યો.જયદ્રથ અને દુર્યોધન સામે ભીમસેન ચડી આવ્યો.પિતાપુત્ર શકુનિ અને ઉલૂક સામે સહદેવ ધસી આવ્યો.હાથીસેના સામે યુધિષ્ઠિર અને નકુલ ત્રિગર્તો સામે ધસ્યા.ક્રોધાયમાન થયેલા સાત્યકિ,ચેકિતાન અને મહારથી અભિમન્યુ,શાલ્વ અને કેકેયોની સામ આવી યુદ્ધમાં ઉભા રહ્યા.
અતિ દુર્જય એવા ધૃષ્ટકેતુ અને ઘટોત્કચ એ બંને કૌરવોના રથી યોદ્ધાઓની સેના સામે યુદ્ધ કરવા તૈયાર થયા. સેનાપતિ ધૃષ્ટધુમ્ન,ઉગ્ર પરાક્રમવાળા દ્રોણાચાર્યની સામે યુદ્ધ કરવા આવી ઉભો રહ્યો.આવી રીતે મહાધનુર્ધર એવા શૂરા ધનુર્ધરો સામસામા આવી જઈને પરસ્પર પ્રહાર કરવા મંડ્યા.
તે વેળાએ સૂર્યનારાયણ મધ્યાહ્ને આવી પહોંચ્યા હતા તથા આકાશ પણ ચારે બાજુ પ્રખર તાપને લીધે વ્યાપ્ત હતું.
એકત્ર થયેલ પરસ્પર જીતવાની ઈચ્છાવાળા યોદ્ધાઓની ગર્જનાઓનો તુમુલ શબ્દ થઇ રહ્યો હતો.ચારે બાજુથી છુટેલાં તેઓના બાણોથી આકાશ,દિશાઓ તથા સૂર્ય,એમાંનું કંઈ પણ જોવામાં આવતું ન હતું.અનેક મૃત રાજાઓનાં શરીરો જ્યાંત્યાં પડેલાં હતાં.તે વખતે ક્રોધાયમાન ભીષ્મે,ભીમસેનને સર્વ સૈન્યના દેખતાં રોકી રાખ્યો અને તેમનાં તીક્ષ્ણ બાણો ભીમસેનને ભોંકાવા લાગ્યા.ભીમસેને સામે સર્પસમાન સુસવાટા કરતી મહાવેગવાળી શક્તિને છોડી કે જેને ભીષ્મે બાણોથી વચ્ચે જ છેદી નાખી ને એક બાણ છોડીને ભીમસેનના ધનુષ્યના બે કકડા કરી દીધા.
તે જોઈને સાત્યકિ ત્યાં દોડી આવ્યો ને તીક્ષ્ણ બાણો વડે ભીષ્મ પર પ્રહાર કરવા લાગ્યો.ત્યારે ભીષ્મે દારુણ બાણ છોડીને સાત્યકિના સારથિને હણી નાખ્યો.સારથિ માર્યો ગયો એટલે ઘોડાઓ ભડક્યા ને આમતેમ દોડવા લાગ્યા.તે જોઈને સર્વ સૈન્યમાં મોટો તુમુલ શબ્દ થઇ રહ્યો.એ સમયનો લાભ લઈને ભીષ્મ,જેમ ઇન્દ્ર અસુરોની સેનાનો નાશ કરે તેમ પાંડવોની સેનાનો નાશ કરવા લાગ્યા.આવી રીતે સેનાનો નાશ થતો જોઈને પાંચાલો ને સોમકો,યુદ્ધ કરવાનો દૃઢ નિશ્ચય કરીને ભીષ્મની સામે ધસી આવ્યા.તે જ રીતે ધૃષ્ટદ્યુમ્ન આદિ પણ ભીષ્મની સામે ધસ્યા.તો સામે કૌરવો પણ દ્રોણને આગળ કરીને ભીષ્મની મદદે પહોંચી ગયા અને પછીથી તેઓનું ઘોર યુદ્ધ ચાલુ થયું.(34)
અધ્યાય-72-સમાપ્ત