Feb 18, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1050

 

અધ્યાય-૪૪-રાજા વસાતીય રણમાં પડ્યો 


II संजय उवाच II सैन्धवेन निरुद्वेषु जयगृद्विपु पांडुपु I सुघोरमभवद् युद्धं त्वदीयानां परैः सह II १ II

સંજય બોલ્યો-એ પ્રમાણે સિંધુરાજ જયદ્રથે,જયની ઈચ્છાવાળા પાંડવોને અટકાવી રાખ્યા હતા.જયારે,તમારા યોદ્ધાઓ અને પાંડવો વચ્ચે અતિઘોર યુદ્ધ થઇ રહ્યું હતું,ત્યારે બીજી બાજુ,જેમ,મગરમચ્છ સાગરને ખળભળાવી દે તેમ સત્ય પ્રતિજ્ઞાવાળો ને ગાંજ્યો ન જાય તેવો તેજસ્વી અભિમન્યુ સેનામાં પ્રવેશ કરીને તેને ખળભળાવી દેતો હતો.અભિમન્યુ અને કૌરવ સેનાના મહારથીઓ વચ્ચે દારુણ રસાકસી થઇ રહી હતી.શત્રુ પક્ષે અભિમન્યુને ઘેરી લીધો હતો છતાં,તેણે વૃષસેનના સારથિને મારી તેનું ધનુષ્ય કાપી નાખ્યું.ત્યારે તેના ઘોડાઓ તેને રણમાંથી દૂર લઇ ગયા.

એ સંધિનો લાભ લઈને અભિમન્યુના સારથિએ તેના રથને મહારથીઓને ઘેરામાંથી તારવી લીધો.અભિમન્યુ હવે શત્રુઓનો સંહાર કરતો વસાતીય રાજાની સમીપ જઈ પહોંચ્યો ને તેને તીક્ષ્ણ બાણ મારીને હૃદયમાં વીંધી નાખ્યો.તેથી તે પ્રાણહીન થઈને પૃથ્વી પર ઢળી પડ્યો.તેને મરણ પામેલો જોઈને મોટા મોટા ક્ષત્રિયો તેને ઘેરી વળ્યા.અભિમન્યુનું તેમની સામે યુદ્ધ શરુ થયું.ક્રોધાયમાન થયેલો અભિમન્યુ તે ક્ષત્રિયોના ધનુષ્ય ને મસ્તકોને કાપવા લાગ્યો.આખી રણભૂમિ તૂટેલા રથો,મરેલા યોદ્ધાઓ,સારથિઓ,હાથીઓ,ઘોડાઓથી છવાઈ ગઈ હતી.રણમાં તીવ્ર ગતિથી ફરતા તે અભિમન્યુનું સ્વરૂપ તે સમયે દેખાતું નહોતું.માત્ર તેના સુવર્ણ કવચ,તેણે ધારણ કરેલા અલંકારો ને તેના ધનુષ્યમાંથી છૂટેલા બાણો જ જોવા મળતા હતા.(21)

અધ્યાય-44-સમાપ્ત

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE