Jul 20, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1180

 

અધ્યાય-૧૮૨-કર્ણે ઈંદ્રની શક્તિનો દુરુપયોગ કર્યો તેનું કારણ 


II धृतराष्ट्र उवाच II एकवीरवधे मोघा शक्तिः सुतात्मजे यदा I कस्मात्सर्वान समुत्सृज्य स तां पार्थेन मुक्तवान II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-કર્ણ પાસેની શક્તિ એક જ વીરનો વધ કરી નિષ્ફળ થનારી હતી,એમ પોતે તે જાણતો હતો છતાં તેણે બીજા બધાને છોડીને માત્ર અર્જુન પર જ તે શક્તિ કેમ ન ફેંકી? અર્જુનનું તો એવું મહાવ્રત છે કે-'મને કોઈ યુદ્ધ કરવા બોલાવે તો મારે પાછા ફરવું નહિ'તો એવા વ્રતવાળા અર્જુન પાસે કર્ણે પોતે યુદ્ધની માંગણી કરી તેને કેમ ન માર્યો?ખરેખર મારો પુત્ર બુદ્ધિહીન છે અને સહાય વિનાનો હોઈને શત્રુઓથી છેતરાયો છે.અરેરે જે શક્તિ કર્ણની પરમ શક્તિરૂપ હતી તે શક્તિને ઘટોત્કચ પર વપરાવી વાસુદેવે તે નિષ્ફળ કરી ! કર્ણ અને ઘટોત્કચની લડાઈથી વાસુદેવને લાભ જ થયો છે.


સંજય બોલ્યો-'ઇન્દ્રે આપેલી શક્તિથી અર્જુનને મારવો છે' એવી કર્ણની ઈચ્છાને જાણી લઈને જ મધુસૂદને ઘટોત્કચને કર્ણ સામે યુદ્ધમાં યોજ્યો હતો.કર્ણથી શ્રીકૃષ્ણ અર્જુનની રક્ષા ન કરે તો તે સમયે આપણું કાર્ય પરિપૂર્ણ થઇ જાય.શ્રીકૃષ્ણ અનેક ઉપાયોથી અર્જુનની રક્ષા કર્યા કરે છે,ને તેથીજ અર્જુન શત્રુઓને જીતે છે.


ધૃતરાષ્ટ્ર બોલ્યા-મારો પુત્ર બુદ્ધિહીન સલાહકારો પાસે રાખીને સર્વની સાથે વિરોધ કરી બેઠો છે.ને પોતાનામાં બુદ્ધિ નથી છતાં પણ બુદ્ધિમાન હોવાનો ફાંકો ધરાવે છે.તેની બુદ્ધિહીનતાના પરિંણામે જ અર્જુનનો વધ કરવાનો ખરો ઉપાય તેની નજર આગળથી પસાર થઇ ગયો છે.પણ,કર્ણને આ વાતની કેમ સમજ ન પડી?


સંજય બોલ્યો-અરે,દુર્યોધન,શકુનિ દુઃશાસન,હું દર રાત્રીએ કર્ણ પાસે નિત્ય પ્રાર્થના કરતા હતા કે-'હે કર્ણ,આવતી કાલે તું સર્વ સૈન્યને પડતાં મૂકી અર્જુનને જ મારી નાખજે.અથવા અર્જુનના મરણ પછી પાંડવોમાંના કોઈ એકને તે શ્રીકૃષ્ણ મુખ્ય કરીને સ્થાપશે એવી શંકા હોય તો આ શક્તિથી તું શ્રીકૃષ્ણને જ મારી નાખજે,કારણકે પાંડવોનું મૂળ તો શ્રીકૃષ્ણ જ છે,તે જ તેમનું બળ છે,તે જ તેમના નાથ છે ને તે જ તેમના આશ્રય સ્થાન છે.કૃષ્ણ મરણ પામે તો સર્વ પૃથ્વી કૌરવોના તાબામાં આવી જાય'


કર્ણે પણ તે વાતનો દૃઢ નિશ્ચય કર્યો હતો,પણ યુદ્ધકાળે શ્રીકૃષ્ણની ત્યાં હયાતી છતાં કર્ણને તે બાબતનું કંઈ ભાન રહ્યું નહોતું.વળી,તે શક્તિના કારણથી કર્ણ સામે અર્જુનને યુદ્ધમાં ઉભો રાખવાની શ્રીકૃષ્ણની ઈચ્છા ન હતી.'કર્ણની પાસે રહેલી તે શક્તિને હું કેવી રીતે નિષ્ફળ કરું?'એ વિચારને મનમાં ઘોળી રાખીને બીજા મોટા મોટા મહારથીઓને પણ તે કર્ણ સામે યુદ્ધમાં મોકલતા નહોતા.શ્રીકૃષ્ણ અર્જુનની રક્ષા કર્યા કરે છે તો પોતે પોતાની રક્ષા કેમ ન કરે?સુદર્શન ચક્રધારી શ્રીકૃષ્ણના સંબંધમાં મને વિચાર કરતાં એમ જ દેખાય છે કે-આ ત્રણે લોકમાં એવો કોઈ નથી કે જે તેમનો યુદ્ધમાં પરાજય કરે.જોકે સાત્યકિએ પણ શ્રીકૃષ્ણને આ જ પ્રશ્ન કર્યો હતો કે-'કર્ણે અર્જુન પર તે અમોઘ શક્તિ કેમ ન ફેંકી?'


ત્યારે વાસુદેવે કહ્યું હતું કે-'દુઃશાસન,શકુનિ,કર્ણ આદિ દુર્યોધનની આગળ બેસી નિરંતર આ વિષયની મસલત કર્યા કરતા હતા ને બધા કર્ણને કહેતા હતા કે-'પાંડવો સામે યુદ્ધ પ્રસંગે અર્જુન સિવાય બીજા કોઈના પર તારે શક્તિ ફેંકવી નહિ.કેમ કે અર્જુનના મરણથી સર્વ પાંડવો પ્રાણહીન થઇ જશે' તેમનાં વચન સાંભળીને કર્ણે પણ 'તથાસ્તુ' એમ પ્રતિજ્ઞા કરી હતી.તે સમયથી કર્ણને અર્જુનનો વધ પ્રત્યક્ષ દેખાયા કરતો હતો.


પણ હે સાત્યકિ,તે કર્ણને હું જ મોહ પમાડી દઉં છું ને તેથી જ તે શક્તિ તેણે અર્જુન પર ફેંકી નહોતી.આજે ઘટોત્કચ પર તે શક્તિ વપરાઈ ગયેલી જોઈને હું અર્જુનને મૃત્યુથી છૂટી ગયેલો જોઉં છું.અર્જુનને બચાવી લેવાની જેટલી કાળજી મને રહે છે તેટલી મને,મારા માતા,પિતા,તમે,ભાઈઓ કે મારા પ્રાણોને બચાવી લેવાની પણ રહેતી નથી.વધારે શું કહું? ત્રૈલોક્યના રાજ્ય કરતાં પણ અર્જુનના જીવિત સિવાય હું બીજી કશું ન ઈચ્છું.અર્જુન આજે મરણ પામીને જાણે પાછો આવ્યો હોય તેવો અતિહર્ષ મને થઇ રહ્યો છે.અર્જુનની રક્ષા કરવા જ મેં તે ઘટોત્કચને આજે રણમાં મોકલ્યો હતો કેમ કે કર્ણને હંફાવવા માટે એ રાક્ષસ ઘટોત્કચ સિવાય બીજો કોઈ સમર્થ નહોતો.'(47)

અધ્યાય-182-સમાપ્ત