Apr 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-501

 

અધ્યાય-૨૨૦-બાર્હસ્પત્ય અગ્નિના વંશનું વર્ણન (ચાલુ)


II मार्कण्डेय उवाच II काश्यपो ह्यथं वासिष्ठः प्राणश्च प्राणपुत्रकः I अग्निरांगिरसश्चेव च्यवनस्त्रिसुवर्चकः II १ II

માર્કંડેય બોલ્યા-તે ઉકથે,પુત્રને અર્થે અનેક વર્ષો સુધી તીવ્ર તપશ્ચર્યા કરી હતી,તેણે ઇચ્છયું હતું કે 'મને બ્રહ્મા જેવો યશસ્વી અને ધર્મનિષ્ઠ પુત્ર થાય' તે કાશ્યપ (ઉકથ),વાસિષ્ઠ પુત્ર,પ્રાણનો પુત્ર,આંગિરસ ચ્યવન અને ત્રિસુવરચક-

આ પાંચ અગ્નિઓએ ભેગા મળીને મહાવ્યાહૃતિ મંત્ર દ્વારા ધ્યાન ધર્યું,ત્યારે એક પંચવર્ણ તેજ પ્રગટ થયું તે 

'પાંચજન્ય' (તપ) અગ્નિ કહેવાયો.તેણે દશ હજાર વર્ષ તપશ્ચર્યા કરી દક્ષિણાગ્નિ ઉત્પન્ન કર્યો.તેણે મસ્તકથી બૃહતને, મુખથી રથન્તરને,નાભિથી શિવને,બળથી ઇન્દ્રને,પ્રાણથી વાયુને તથા અગ્નિને,અને બંને બાહુઓથી મન,ઇન્દ્રિયો,પંચમહાભૂતો તથા બે સ્વરો (પ્રાકૃત અનુદાત્ત ને વૈકૃત અનુદાત્ત) ઉત્પન્ન કર્યા.

Apr 28, 2024

દોષ શું?-By અનિલ શુક્લ


ભલે ને મથે,આ જગત,ભેળવવા રંગોને હવામાં,પણ,
નજાકત રંગની ભળે ના હવામાં-તેમાં હવાનો દોષ શું?

ક્ષણિક થયું દિલ બંધ,અને શ્વાસો કરી બેઠા દગાબાજી,
વાંક દિલનો કે શ્વાસનો હશે-પણ તેમાં હવાને દોષ શું?

મહેંક ફૂલોની લઇ ઉડી રહ્યું પતંગિયું,પણ ફૂલ ના ઉડી શકે,
છોડી ના શકે છોડને તો ના ઉડી શકે-તેમાં હવાને દોષ શું?

વિશ્વાસ હશે જો વસંતમાં,તો લઇ આવશે ફૂલો નવાં,
ફૂલો જમીન પરનાં જો ઉડે પવનથી-તેમાં હવાને દોષ શું?

લગાડી નથી હોઠ પર બંસી,નથી ફૂંક પણ તેમાં મારી,
ના સર્જાય સુરાવલી સંગીતની-તેમાં હવાને દોષ શું?

કાગળ પર નહિ,પણ લખો છો  રેત પર નામ મારું,
ભુસાઈ ગયું પવનના ઝપાટાથી-તેમાં હવાને દોષ શું?

નથી ઉડાડયા તે શબ્દોને હવાએ,છતાં લહરાઈ ઉઠીને,
બની જાય જો કોઈ કવિતા-તેમાં અનિલનો દોષ શું ?

અનિલ શુક્લ 
માર્ચ-૨૦૧૬

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-500

 

અધ્યાય-૨૧૯-બાર્હસ્પત્ય અગ્નિના વંશનું વર્ણન 


II मार्कण्डेय उवाच II बृहस्पतेश्चान्द्रमसी भार्यासीद्या यशस्विनी I अग्निन्साजनयपुण्यान्पडेका चापि पुत्रिकाम् II १ II

માર્કંડેય બોલ્યા-બૃહસ્પતિને તારા નામે યશસ્વિની ભાર્યા હતી,તેણે છ પવિત્ર અગ્નિઓને અને એક પુત્રીને જન્મ

આપ્યો હતો.યજ્ઞોની આહુતિમાં જે અગ્નિને પ્રથમ હવિ આપવામાં આવે છે તે શંયુ(અગ્નિ) પ્રથમપુત્ર છે.

શંયુને,પત્ની સત્યાસત્યા (કે જે ધર્મની પુત્રી હતી)થી પુત્ર ભરદ્વાજ (અગ્નિ) પુત્ર ભરત ને ત્રણ પુત્રીઓ થઇ.

ભરતને પાવક નામે પુત્ર થયો હતો.ને ભરદ્વાજને વીરાં નામની ભાર્યાથી 'વીર' (અગ્નિ) પુત્ર થયો હતો.

આ વીરે,શરયુ નામની પત્નીથી સિદ્ધિ નામના પુત્રને ઉત્પન્ન કર્યો હતો.

Apr 27, 2024

દુઃખોના વખ-By અનિલ શુક્લ

 

દુઃખોના વખ અમે અમારે જ હાથે ઘોળ્યા,
પ્રભુજી,આપને જયારે અમે હતા છોડ્યા

આમ તો ચીતર્યા કર્યું હતું એ ભીંત પર ધોળી,
ધોળીને જ ચોખ્ખી કરું હું એ ભીંત ને ધોળી

અવનવી દુર્ગંધ થી દુષિત કર્યો પવનને દુનિયાએ,
મહેકતો કરી એને,આપે દુઃખોના ડુંગરો છે તોડ્યા.

અનિલ શુક્લ
એપ્રિલ 2016

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-499

 

અધ્યાય-૨૧૭-અગ્નિ સંબંધી કથા 


II वैशंपायन उवाच II श्रुत्वेमां धर्मसंयुक्तां धर्मराजः कथां शुभाम् I पुनः पप्रच्छ तमृपिं मार्कण्डेयमिदं तदा II १ II

વૈશંપાયન બોલ્યા-આ ધર્મયુક્ત શુભ કથા ફરી સાંભળીને ધર્મરાજે માર્કંડેય ઋષિને ફરી પૂછ્યું કે-

'પૂર્વે અગ્નિ કેમ જળમાં પેસી ગયો હતો?અગ્નિ નાશ પામ્યો ત્યારે મહાકાંતિમાન અંગિરા ઋષિએ અગ્નિરૂપ બનીને કેવી રીતે હવ્યોને વહ્યાં હતાં? અગ્નિ જો એક જ છે તો કર્મોથી એની અનેકરૂપતા કેમ જોવા મળે છે? કાર્તિકસ્વામી કેવી રીતે અગ્નિના પુત્ર થયા?તે શી રીતે તે રૂદ્રથી ઉત્પન્ન થયા?તે કઈ રીતે કૃતિકામાં જન્મ પામ્યા?આ સર્વ હું આપની પાસેથી યથાર્થ સાંભળવા ઈચ્છું છું,કેમ કે મને આ વિશે કુતુહલ થયું છે (5)

Apr 26, 2024

સ્પર્શ-By અનિલ શુક્લ


હળવો હતો એ સાદ,ને,સ્પર્શ પણ હળવો હતો,
હળવા એ તરંગ નો ઉમંગ,અવર્ણનીય જ હતો.

સમયના તે-આપું તો આપી શકું શું ખુલાસો?
ખુશ્બુ લઇ 'તે'ની,અનિલ મંદમંદ મલકતો હતો.

કોણ ખૂંપી ગયું,આવીને દૃષ્ટિની મધ્યમાં?
થંભી ગયો અનિલ,આદતથી જે,વહેતો હતો.

નથી ચિંતા,ના કોઇ દહેશત,ભય કે સંશય.
ખુદ ગયો વિસરાઈ,"હું" ને ભરી જે ફરતો હતો.

અનિલ શુક્લ
એપ્રિલ-૧૮-૨૦૧૬  

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-498

 

અધ્યાય-૨૧૬-પૂર્વજન્મના શાપનું વૃતાંત 


II उवाच II एवं शप्तोहमृपिणा तदा द्विजवरोत्तम I अभिप्रसादयमृपिं गिरा त्राहीति मां तदा II १ II

વ્યાધ બોલ્યો-હે શ્રેષ્ઠ દ્વિજવર,ઋષિએ મને આમ શાપ આપ્યો ત્યારે મેં તેમને પ્રસન્ન કરવા કહ્યું કે-

'હે મુનિ,મારુ રક્ષણ કરો.મારાથી અજાણતાં આમ થઇ ગયું છે,તમે ક્ષમા આપો ને પ્રસન્ન થાઓ'

ઋષિ બોલ્યા-મારો આપેલો શાપ મિથ્યા નહિ જ થાય છતાં હું તારા પર કૃપા કરીશ,શૂદ્રયોનિમાં જન્મવા 

છતાં તું ધર્મજ્ઞ થશે,માતપિતાની સેવા કરશે,ને તેને પ્રતાપે તું સિદ્ધિ અને મહત્તા પામશે.

તને પૂર્વજન્મની સ્મૃતિ રહેશે,અને શાપનો અંત આવશે એટલે તું ફરીથી બ્રાહ્મણ થશે'

પછી,મેં તેમના શરીરમાંથી બાણ ખેંચી કાઢ્યું ને ત્યાંથી આશ્રમમાં લઇ જઈને સુશ્રુષા કરી એટલે તેમના 

પ્રાણ બચી ગયા.આ મારુ પૂર્વજન્મનું વૃતાંત કહ્યું.હવે મારે થોડા જ સમયમાં સ્વર્ગે જવાનું થશે.(8)

Apr 25, 2024

હાજરી-By અનિલ શુક્લ

 

ભીની મહેંક ને લઈને,જે વહી જતો હતો,
આવી બારણે, જે ખટખટાવી જતો હતો,

ખોલી બારણું, જોઉં છું તો નિશાન છે ભીનાં,
એ જ નિશાન ભીનાં ચરણનાં,મૂકી જાતો હતો.

સૂંઘી વળ્યો,શોધતો હતો તેની હાજરીને,તો,
બારીની તિરાડે,સિસકારી નાદ-તે કરી જાતો.

દેખાય નહિ,પણ તેની મહેંક છે અને નાદ છે,
હાજર થઈને  તે હૃદયને ગદગદિત કરી જાતો.
અનિલ
૧૫ જુલાઈ,૨૦૧૬

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-497

 

અધ્યાય-૨૧૪-ધર્મવ્યાધનાં માતપિતા 


II मार्कण्डेय उवाच II एवं संकथिते कृत्सने मोक्षधर्मे युधिष्ठिर I दढप्रीतमना विप्रो धर्मव्याधमुवाच ह् II १ II

માર્કંડેય બોલ્યા-હે યુધિષ્ઠિર,ધર્મવ્યાધે આ પ્રમાણે મોક્ષધર્મ કહ્યો,ત્યારે અત્યંત પ્રસન્નમન થયેલા વિપ્રે 

તેને કહ્યું કે-'તમે આ જે કહ્યું તે બધું ન્યાયયુક્ત છે.આ લોકમાં ધર્મસંબંધમાં તમને કશું અજાણ્યું નથી'

વ્યાધ બોલ્યો-'હે દ્વિજોત્તમ,તમે મારા પ્રત્યક્ષ ધર્મને જુઓ,જેને પ્રતાપે હું આ સિદ્ધિ પામ્યો છું.

તમે ઘરની અંદર આવી મારા માતપિતાને જુઓ' ત્યારે તે બ્રાહ્મણ વ્યાધના ઘરમાં ગયો,ત્યાં સફેદ વસ્ત્રો પહેરેલા વ્યાઘનાં માતપિતા ભોજન કરીને,સંતોષથી આસન પર વિરાજ્યા હતા.ધર્મવ્યાધે તેમને વંદન કર્યા.માતપિતાએ આશીર્વાદ આપ્યા.ને બોલ્યા કે-ધર્મ તારું રક્ષણ કરો,અમે તારા આચરણથી પ્રસન્ન છીએ,તને દીર્ઘાયુષ મળો.જેમ,જમદગ્નિપુત્ર પરશુરામે પોતાનાં વૃદ્ધ માતપિતાની સેવા કરી હતી,તેમ તું પણ અમારી સેવા કરે છે'

Apr 24, 2024

અક્ષરો-By અનિલ શુક્લ


ગણગણાટ,જગતનો,તરંગો બની વહી જતો હતો,
પાસ આવી તે કહે ઘણું,ને,ભાષણે ય બહુ દીધુ હતું.

પણ,ચુપકીથી પાસે આવી 'એ' કાનમાં કંઈ કહી ગયો,
શું કહ્યું તેણે ? તો શું કહું? મૌન અપનાવી લીધું હતું.

હવે ઝાલીને હાથ 'તે' લખાવે છે કંઇક,લખી લીધું,
આવશે 'એ'ને કહેલું,અહીં,અક્ષરોથી શણગારી લખું.

અનિલ
૧૬ જુલાઈ ૨૦૧૬