Nov 7, 2020

ભાગવત રહસ્ય -૪૩૯

કેટલાક જ્ઞાનીઓ માને છે કે-અમને ભક્તિની જરૂર નથી.તેઓ ભક્તિનો તિરસ્કાર કરે છે.
જયારે કેટલાક ભક્તો માને છે કે-અમને જ્ઞાન-વૈરાગ્યની જરૂર નથી.આ બંને વિચારો યોગ્ય નથી.ભક્તિ તો જ્ઞાન-વૈરાગ્ય વગર રડે છે.જ્ઞાન-વૈરાગ્ય આવે તો ભક્તિ દૃઢ બને છે.
ભક્તિમાં જ્ઞાનનો સાથ ના હોય તો અખંડ ભક્તિ થતી નથી.
અહીં, ઉદ્ધવ જ્ઞાની છે પણ તેમના જ્ઞાનને ભક્તિ નો સાથ નથી.
જ્ઞાન એ ભક્તિ વિનાનું હોય તો અભિમાન આવે છે,ભક્તિ હોય તો તે નમ્ર બને છે.
બ્રહ્મજ્ઞાન થાય પણ “સ્વ-રૂપ” માં પ્રીતિ ના થાય,ત્યાં સુધી બ્રહ્મનો અનુભવ થતો નથી.

Nov 6, 2020

ભાગવત રહસ્ય -૪૩૮

શ્રીકૃષ્ણે ગુરૂ-સાંદીપનીની આજ્ઞાનું બરોબર પાલન કર્યું છે.(૧) જયારે મહાભારતના યુદ્ધમાં,અર્જુન બે હાથ જોડીને કહે છે કે હું તમારો શિષ્ય છું,તે વખતે,પ્રભુએ ગીતાના જ્ઞાનનો ઉપદેશ કર્યો છે.જે ગીતાના જ્ઞાનનો અભ્યાસ મહાપુરુષો આખી જિંદગી કરે છે,
તેવું દિવ્ય જ્ઞાન અર્જુનને આપ્યું,પણ ભગવાને કંઈ (ગુરુદક્ષિણા) માગ્યું નથી.અર્જુનની સેવા પણ લીધી નથી,પણ ઉપરથી સેવા કરી છે.યુદ્ધમાં થાકેલો અર્જુન સૂઈ જાય ત્યારે ઘોડાઓની પણ સેવા કરી છે,બદલામાં કશું લીધું નથી.

Nov 5, 2020

ભાગવત રહસ્ય -૪૩૭

મહાત્માઓ કહે છે કે-ગોકુળના શ્રીકૃષ્ણ અનેરા લાગે છે,ગોકુળનું સ્વ-રૂપ દિવ્ય છે,
ગોકુળમાં શ્રીકૃષ્ણે અલૌકિક પ્રેમ અને આનંદનું દાન કર્યું છે.
તત્વ દૃષ્ટિથી જોવામાં આવે તો,ગોકુળના,મથુરાના અને દ્વારકાના શ્રીકૃષ્ણ એક જ છે.
અગિયાર વર્ષના શ્રીકૃષ્ણ અને બળદેવને વસુદેવે જનોઈ આપી છે,
ગર્ગાચાર્યે ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે,શ્રીકૃષ્ણ અને બલરામ “બ્રહ્મચારી”  થયા છે.