Nov 11, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૪

બહુ વારે જયારે સુતીક્ષ્ણ-મુનિ ભાનમાં આવ્યા ત્યારે તેઓ શ્રીરામને આશ્રમમાં લઇ ગયા,
અને ત્યાં ઉંચા આસન પર બેસાડી મુનિએ તેમની પૂજા કરી.અને બે હાથ જોડી ને પ્રાર્થના-સ્તુતિ કરતાં કહ્યું કે-હે,પ્રભુ,આપનો મહિમા અપાર છે,મારી બુદ્ધિ અલ્પ છે,સૂર્યના આગળ આગિયા જેવી મારી બુદ્ધિ આપની કિસવિધ સ્તુતિ કરી શકે? અગ્નિ વનને બાળે તેમ તમે અમારા મોહને બાળો છે.સૂર્ય કમળને પ્રફુલ્લિત કરે તેમ તમે અમ સંતોને પ્રફુલ્લિત કરો છો.
ગરુડ સર્પને ગળી જય છે તેમ તમે અમારા ગર્વને ગળી જાઓ છો.તમે નિર્ગુણ છો અને સગુણ પણ છો,સમ છો ને વિષમ પણ છો,તમે જ્ઞાનથી પર,ઇન્દ્રિયોથી પર,અને વાણીથી પણ પર છો.
સંસાર સાગરના તમે પુલ છો.તમે બળ-ધામ છો,ધર્મનું કવચ છો.
હે,રામ તમે અવિનાશી અને સર્વ-વ્યાપક છો,આપ મારા હૃદયને તમારું ઘર કરીને રહો.

Nov 10, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૩

શ્રીરામચંદ્રજી શરભંગમુનિના આશ્રમમાં પધાર્યા છે તે જાણી ઘણા ઋષિ-મુનિઓ તેમના દર્શન કરવા ભેગા થયા. તે બધા જુદે જુદે રહીને તપસ્યા કરતા હતા,તેમણે રાક્ષસોના ત્રાસની વાત રામજીને કરી.અને કહ્યું કે-હવે અમારાથી આ ત્રાસ સહન થતો નથી,તમે અમારું રક્ષણ કરો.અમે તમારા શરણે છીએ.આ સાંભળી શ્રીરામે કહ્યું કે-હે મુનિવરો,તમે નિશ્ચિંત રહો,બહારથી જોતાં હું પિતાજીની આજ્ઞાનું પાલન કરવા વનમાં આવ્યો છું,પણ અંદરથી જોતાં,હું રાક્ષસોનો સંહાર કરી,તમને સુખી કરવા જ વનમાં આવ્યો  છું.રાક્ષસોનો સંહાર કરી તમને સુખી કરવા એ મારું કર્તવ્ય છે,એમ માનીને જ મેં આ દંડકારણ્યમાં પ્રવેશ કર્યો છે,આજે હું પ્રતિજ્ઞા કરું છું કે હું રાક્ષસોને હણીશ.રામચંદ્રે આવી ભીષણ પ્રતિજ્ઞા લઈને ઋષિ-મુનિઓ ને આશ્વાસન આપ્યું.