Dec 8, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-5-Karma-Sanyasa-yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-5-કર્મ-સન્યાસ-યોગ




અર્જુને કહ્યું : હે કૃષ્ણ ! આપ એક તરફ કર્મ ના ત્યાગ ના વખાણ કરો છો
અને બીજી તરફ કર્મયોગ ના વખાણ કરો છો.તો એ બે માંથી જે કલ્યાણકારી હોય તે મને કહો.(૧)


શ્રી ભગવાન બોલ્યા: કર્મો નો ત્યાગ અને કર્મયોગ બન્ને કલ્યાણકારક છે,પરંતુ એ બન્નેમાં
કર્મો ના ત્યાગથી કર્મયોગ શ્રેષ્ઠ છે. (૨)


હે મહાબાહો ! જે કોઈનો દ્વેષ કરતો નથી, જે કોઈ અભિલાષા રાખતો નથી, તેને નિત્ય સંન્યાસી જાણવો.
આવો રાગ દ્વેષ વિનાનો મનુષ્ય દ્વંદ્વરહિત બની સંસાર બંધનમાંથી સુખપૂર્વક મુક્ત થાય છે. (૩)


સંન્યાસ અને કર્મયોગ ફળની દ્રષ્ટિએ અલગ અલગ છે એમ અજ્ઞાનીઓ માને છે, પરંતુ જ્ઞાનીઓ
એમ કહેતા નથી.બન્નેમાંથી એક નું પણ ઉત્તમ રીતે અનુષ્ઠાન કરનાર બંનેના ફળ ને પ્રાપ્ત કરે છે.(૪)


જે મોક્ષપદ જ્ઞાનયોગ દ્વારા પ્રાપ્ત થઇ શકે છે,તે જ પદ નિષ્કામ કર્મયોગ દ્વારા પણ પ્રાપ્ત કરી
શકાય છે.એ માટે જ સાંખ્ય તથા કર્મયોગ ને જે એકજ સમજે છે તે સાચો જ્ઞાની છે.(૫)


હે મહાબાહો ! કર્મયોગ ના અનુષ્ઠાન વગર સંન્યાસ પ્રાપ્ત કરવો કઠીન છે. જયારે કર્મયોગી
મુનિ જલદીથી સંન્યાસ પ્રાપ્ત કરી બ્રહ્મ ને પામે છે.(૬)


કર્મયોગ ના આચરણ થી જેનું અંત:કરણ શુદ્ધ થઇ ગયું છે,જે મનને વશ કરનારો,ઈન્દ્રિયોને જીતનારો છે.
અને જેનો આત્મા સર્વ ભૂતો નો આત્મા બની ગયો છે,તે મનુષ્ય કર્મો કરે છે છતાં તેનાથી લેપાતો નથી.(૭)


યોગયુક્ત બનેલો તત્વજ્ઞાની પોતે જોતાં,સાંભળતાં, સ્પર્શ કરતાં, સુંઘતાં,ખાતાં,પીતાં,ચાલતાં,
નિંદ્રા લેતાં,શ્વાસોશ્વાસ લેતાં,બોલતાં,ત્યાગ કરતાં,ગ્રહણ કરતાં (૮)



આંખ ઉઘડતાં મીંચતાં,હોવા છતાં,ઇન્દ્રિયો પોત પોતાના વિષય માં પ્રવૃત થાય છે એમ સમજીને
હું કંઈ કરતો નથી એમ નિશ્વયપૂર્વક માને છે.(૯)


જે મનુષ્ય ફળ ની ઈચ્છા નો ત્યાગ કરી સર્વ ફળ બ્ર્હ્માપર્ણ બુદ્ધિ થી કરે છે, એ કમળપત્ર જેમ પાણી
માં રહેવા છતાં ભીંજાતું નથી, તેમ પાપ વડે લેપાતો નથી.(૧૦)


યોગીઓ માત્ર મન,બુદ્ધિ અને ઇન્દ્રિયોથી ફળની આસક્તિ છોડી દઈઆત્માની શુદ્ધિ માટે કર્મો કરે છે.(૧૧)



કર્મયોગી મનુષ્ય કર્મફળને ત્યજીને સત્વશુદ્ધિના ક્રમથી થયેલી શાંતિને પ્રાપ્ત કરેછે.
જયારે સકામ મનુષ્ય કામના વડે ફળની આસક્તિ રાખી બંધનમાં પડે છે.(૧૨)


દેહને વશ કરનારો મનુષ્ય સર્વ કર્મોને માનસિક રીતે ત્યાગીને નવ દરવાજા વાળા નગરમાં 
સુખપૂર્વક રહે છે.તે કંઈ જ કરતો નથી અને કંઈ જ કરાવતો નથી.(૧૩)


આત્મા દેહાદિક ના કર્તાપણાને ઉત્પન કરતો નથી,કર્મોને ઉત્પન કરતો નથી કે કર્મફળ ના સંયોગ ને
ઉત્પન કરતો નથી,પરંતુ તે અવિદ્યારૂપ માયાનો જ સર્વ ખેલ છે.(૧૪)


પરમેશ્વર કોઈનાં પાપ કે પુણ્યને પોતાના શિરે વહોરી લેતા નથી,પરંતુ જ્ઞાન અજ્ઞાન વડે ઢંકાયેલું છે.
તેને લીધે સર્વ જીવો મોહ પામે છે.(૧૫)


વળી જેમનું એ અજ્ઞાન આત્માના જ્ઞાન વડે નાશ પામેલું છે,તેમનું તે જ્ઞાન સૂર્યની જેમ પરબ્રહ્મને
પ્રકાશિત કરેછે.(૧૬)


તે પરબ્રહ્મમાં જ જેમની બુદ્ધિ સ્થિત થઇ છે તે બ્રહ્મ જ તેમનો આત્મા છે.તેમનામાં જ તેમની સંપૂર્ણ
નિષ્ઠા છે. તેઓ તેમના જ પરાયણ બની જાય છે.જ્ઞાન વડે જેમનાં પાપકર્મો નાશ પામેછે તેઓ
જન્મમરણના ચક્કર માં પડતા નથી.(૧૭)


જે જ્ઞાનીજન વિદ્યા અને વિનય આદિના ગુણોવાળા છે તે પંડિત,બ્રાહ્મણ,ગાય,હાથી,કુતરો,ચંડાળ વગેરે
સર્વમાં સમાન દ્રષ્ટિવાળા હોય છે.(૧૮)


જેમનું મન સમત્વ(પરમાત્મા) માં રહ્યું છે તે સમદર્શી મનુષ્યે આ જન્મમાં જ સંસારને જીતી લીધો છે.
કારણ કે બ્રહ્મ દોષથી રહિત અને સમાન હોવાથી એ મનુષ્ય બ્રહ્મમાં સ્થિત રહે છે.(૧૯)


જેની બુદ્ધિ સ્થિર થયેલી છે,જેનું અજ્ઞાન નાશ પામ્યું છે અને જે બ્રહ્મમાં સ્થિર થયો છે એવો બ્રહ્મવેત્તા
મનુષ્ય તે પ્રિય પદાર્થો મેળવીને હર્ષ પામતો નથી અને અપ્રિય પદાર્થો પામીને દુઃખી થતો નથી.(૨૦)


ઇન્દ્રિયોના સ્પર્શથી ઉત્પન થનાર સુખોમાં આસક્તિ રહિત ચિત્તવાળો મનુષ્ય આત્મામાં રહેલા સુખને
પામે છે.એવો પરબ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થયેલો મનુષ્ય અક્ષય સુખ નો અનુભવ કરે છે.(૨૧)


હે  કાંન્તેય  ! ઇન્દ્રિયો અને વિષયોના સ્પર્શથી ઉત્પન થયેલા જે ભોગો છે તે સર્વ ઉત્પતિ અને નાશ ને
વશ હોવાથી દુઃખના કારણરૂપ છે.એટલા માટે જ્ઞાનીજનો તેમાં પ્રીતિ રાખતા નથી.(૨૨)


શરીર નો નાશ થવા પહેલાં જે મનુષ્ય કામ અને ક્રોધથી ઉત્પન થયેલા વેગને સહન કરી શકે છે તે
મનુષ્ય આ લોકમાં યોગી છે અને તે સાચો સુખી છે.(૨૩)


જે અંતરાત્મા માં સુખનો અનુભવ કરે છે તથા આત્મા માં જ રમણ કરે છે,જેના અંતરાત્મામાં જ્ઞાન રૂપી
પ્રકાશ પથરાઈ ગયો છે તે યોગી બ્રહ્મસ્વરૂપ બની પરબ્રહ્મમાં જ નિર્વાણ પામેછે.(૨૪)


જેના પાપાદિ  દોષો નાશ પામ્યા છે,જેના સંશયો છેદાઈ ગયા છે,જેમનાં મન-ઇન્દ્રિયો વશમાં થઇ ગયા છે
અને જે પ્રાણીમાત્રના હિત માટે તત્પર છે,એવા ઋષિઓ બ્રહ્મનિર્વાણને પામે છે.(૨૫)


જેઓ કામ-ક્રોધથી રહિત છે,જેમણે ચિત્તને વશમાં રાખ્યું છે,અને જેઓ આત્મસાક્ષાત્કાર પામેલા છે એવા
યોગીઓ સર્વ અવસ્થામાં પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે.(૨૬)


બહારના વિષયોને વૈરાગ્ય દ્વારા બહાર કાઢીને તથા દ્રષ્ટિને ભ્રમરની મધ્યમાં સ્થિર કરીને નાકની અંદર
ગતિ કરનારા પ્રાણ તથા અપાનવાયુને સમાન કરીને.(૨૭)


જેણે ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ વશ કર્યા છે તથા જેનાં ઈચ્છા,ભય અને ક્રોધ દુર થયાંછે એવા મુનિ
મોક્ષપરાયણ છે તે સદા મુક્ત જ છે.(૨૮)


સર્વ યજ્ઞ અને તપનો ભોક્તા,સર્વ લોકોનો મહેશ્વર અને સર્વ ભૂતોનો પરમ મિત્ર હું જ છું.
એ રીતે જે જાણે છે તે શાંતિને પ્રાપ્ત થાય છે.(૨૯)


અધ્યાય-૫-કર્મ-સન્યાસ-યોગ-સમાપ્ત._
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE

Dec 7, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-4- Gnan-Karma-Sanyasa-Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-4-જ્ઞાન-કર્મ-સન્યાસ-યોગ




શ્રી ભગવાન કહે છે
મેં આ અવિનાશી યોગ સૌપ્રથમ સૂર્યને કહ્યો હતો. સૂર્યે એના પુત્ર મનુને કહ્યો અને 
મનુએ એના પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો. 
હે અર્જુન, આ રીતે પરંપરાથી ચાલ્યો આવતો આ યોગ ઋષિઓએ જાણ્યો.
પરંતુ કાળક્રમે એ યોગ નષ્ટ પામ્યો છે. તું મારો પ્રિય ભક્ત અને મિત્ર છે 
એથી આજે આ જ્ઞાનને મેં તારી આગળ પ્રકટ કર્યું.(૧-૨-૩)


અર્જુન કહે છે-હે કેશવ, તમારો જન્મ તો હમણાં થયો જ્યારે સૂર્ય તો બહુ પહેલેથી વિદ્યમાન છે. 
તો મને સંશય થાય છે કે તમે સૂર્યને આ યોગ સૃષ્ટિના આરંભમાં કેવી રીતે કહ્યો ? (૪)


શ્રી ભગવાન કહે છે
હે અર્જુન, તારા અને મારા અનેક જન્મ થઈ ચુક્યા છે. પરંતુ ફરક એટલો છે કે 
મને એ બધા યાદ છે અને તેને એ યાદ નથી રહ્યા.(૫)


હું અજન્મા અને અવિનાશી છું. સર્વ ભૂતોનો ઈશ્વર છું. છતાં પ્રકૃતિનો આધાર લઈને પ્રકટ થાઉં છું. (૬)


હે ભારત, જ્યારે જ્યારે ધર્મનો નાશ થઈ જાય છે અને અધર્મનો વ્યાપ વધે છે 
ત્યારે હું અવતાર ધારણ કરું છું. સાધુપુરુષોનું રક્ષણ, દુષ્કર્મીઓનો વિનાશ તથા 
ધર્મની સંસ્થાપનાના હેતુ માટે યુગે યુગે હું પ્રકટ થાઉં છું.(૭-૮)


મારા જન્મ અને કર્મ દિવ્ય તથા અલૌકિક છે. જે મનુષ્ય એનો પાર પામી જાય છે 
એ મૃત્યુ પછી મને પામે છે. એ જન્મ-મરણના ચક્રમાં નથી ફસાતો. (૯)


જેના રાગ, દ્વેષ, ભય તથા ક્રોધનો નાશ થયો છે અને જે  અનન્યભાવથી મારું ચિંતન કરે છે 
તે જીવાત્મા તપ અને જ્ઞાનથી પવિત્ર થઈને મારી પાસે પહોંચે છે.(૧૦)


હે અર્જુન, જે ભક્ત મારું જે પ્રમાણે ચિંતન કરે છે તેને હું તેવી રીતે મળું છું. 
શ્રેયના જુદા જુદા માર્ગોથી મનુષ્ય મારી પાસે જ આવે છે. (૧૧)


આ લોકમાં કર્મફળની કામના રાખનાર દેવોનું પૂજન કરે છે
કારણ કે એમ કરવાથી કર્મફળની સિદ્ધિ શીઘ્ર થાય છે. (૧૨)


વર્ણોની રચના (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર - એ ચાર) કર્મ તથા ગુણના આધાર પર મેં જ કરેલી છે.
એ કર્મોનો હું જ કર્તા છું છતાં મને તું અકર્તા જાણ. (૧૩)


કારણ કે એ કર્મો મને બાધ્ય કરતા નથી. કેમ કે મને કર્મફળની કોઈ ઈચ્છા નથી. 
જે મારા રહસ્યને આ પ્રકારે જાણી લે છે તે કર્મના બંધનોથી મુક્ત થઈ જાય છે. (૧૪)


પહેલાંના સમયમાં મુમુક્ષુઓ આ પ્રમાણે કર્મ કરતા હતા. એથી 
હે અર્જુન, તું પણ એમની માફક કર્મનું અનુષ્ઠાન કર.(૧૫)


કર્મ કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય તે નક્કી કરવામાં મોટા મોટા વિદ્વાનો પણ ગોથું ખાઈ જાય છે. 
હું તને કર્મ વિશે સમજાવું જેથી 
તું કર્મબંધન અને (યુદ્ધભૂમિમાં અત્યારે તને થયેલ) ક્લેશમાંથી મુક્ત થશે. (૧૬)


કર્મ, અકર્મ અને વિકર્મ - એ ત્રણેય વિશે જાણવું જરૂરી છે કારણ કે કર્મની ગતિ અતિશય ગહન છે. (૧૭)


જે મનુષ્ય કર્મમાં અકર્મને જુએ છે તથા અકર્મમાં કર્મનું દર્શન કરે છે તે બુદ્ધિમાન છે. 
એ જ્ઞાનથી મંડિત થઈને તે પોતાના સર્વ કાર્યો કરે છે. (૧૮)


જેના વડે આરંભાયેલા સર્વ કાર્યો કામનાથી મુક્ત છે તથા જેના બધા કર્મો યજ્ઞરૂપી અગ્નિમાં બળીને 
ભસ્મ થઈ ગયા છે, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. (૧૯)


જે પુરુષ કર્મફળની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ કરીને પરમ તૃપ્ત અને 
આશ્રયની આકાંક્ષાથી રહિત હોય છે તે કર્મમાં જોડાયેલો હોવા છતાં એનાથી લેપાયેલો નથી.(૨૦)


જે તૃષ્ણારહિત થઈને, પોતાના મન અને ઈન્દ્રિયોનો કાબૂ કરી કેવળ શરીરનિર્વાહને માટે જ 
કર્મો કરે છે તે પાપથી લેપાતો નથી. (૨૧)


કોઈ ઈચ્છા કર્યા વગર સહજ રીતે જે મળે તેમાં સંતુષ્ઠ રહેનાર, ઈર્ષાથી પર, સુખદુઃખાદિ દ્વંદ્વોથી મુક્ત, 
તથા વિજય કે હાનિમાં સમતા રાખનાર મનુષ્ય કર્મ કરવા છતાં તેમાં બંધાતો નથી. (૨૨)


જે અનાસક્ત રહીને પરમાત્માનું ચિંતન કરતાં યજ્ઞભાવથી બધા કર્મો કરે છે,
તેના બધા જ કર્મો નાશ પામે છે.(૨૩)


કેમ કે યજ્ઞમાં અર્પણ કરાતી વસ્તુ બ્રહ્મ છે, અર્પણ કરવાનું સાધન બ્રહ્મ છે, 
જેને એ અર્પણ કરવામાં આવે છે તે બ્રહ્મ છે તથા જે અર્પણ કરનાર છે તે પણ બ્રહ્મ છે. 
જે આ રીતે કર્મ કરતી વખતે બ્રહ્મમાં સ્થિત હોય તે યોગી બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. (૨૪)


કેટલાક યોગીઓ યજ્ઞ વડે દેવતાઓને પૂજે છે, જ્યારે કેટલાક જ્ઞાનીઓ, (જ્ઞાનરૂપી યજ્ઞ માં )
બ્રહ્માગ્નિના અગ્નિમાં પોતાના આત્માની આહૂતિ આપે છે.(૨૫)


કેટલાક પોતાની શ્રવણેન્દ્રિને સંયમના અગ્નિમાં હોમે છે,
કેટલાક શબ્દાદિ વિષયોને ઈન્દ્રિયરૂપી અગ્નિમાં હોમે છે, (૨૬)


તો વળી કેટલાક ઈન્દ્રિયો તથા પ્રાણની સમસ્ત ક્રિયાઓને આત્મસંયમરૂપી યોગાગ્નિમાં હોમે છે. (૨૭)


કોઈ આ રીતે દ્રવ્યયજ્ઞ કરે છે, કોઈ તપ યજ્ઞ કરે છે, કોઈ કર્મ દ્વારા યજ્ઞ કરે છે 
તો કોઈ નિયમવ્રતોનું પાલન કરીને સ્વાધ્યાય દ્વારા જ્ઞાનયજ્ઞ કરે છે. (૨૮)


કેટલાક યોગીજન અપાનવાયુમાં પ્રાણને હોમે છે જ્યારે કેટલાક પ્રાણમાં અપાનવાયુને હોમે છે. 
કેટલાક પ્રાણ અને અપાનની ગતિને કાબૂમાં કરી પ્રાણાયામ કરે છે. (૨૯)


કેટલાક આહાર પર કાબૂ કરી પોતાના બધા જ પ્રાણને પ્રાણમાં હોમે છે. 
આ રીતે સાધક પોતપોતાની રીતે પાપોનો નાશ કરવા યજ્ઞનું અનુષ્ઠાન કરે છે.(૩૦)

હે અર્જુન, યજ્ઞશિષ્ઠ અન્ન ખાનારને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. 
જે એ પ્રમાણે યજ્ઞનું અનુષ્ઠાન નથી કરતા તેમને માટે આ મૃત્યુલોક સુખકારક નથી થતો. 
તો પછી પરલોક તો સુખદાયી ક્યાંથી થાય ? (૩૧)


વેદમાં બ્રહ્મા દ્વારા આવા અનેક યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે. 
આ સર્વે યજ્ઞો મન, ઈન્દ્રિય અને શરીર દ્વારા ફળની ઈચ્છાથી કરવામાં આવે છે. 
એ પ્રમાણે જાણવાથી તું કર્મબંધનથી મુક્ત થઈશ. (૩૨)


હે અર્જુન, દ્રવ્યયજ્ઞની તુલનામાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. કેમ કે પૂર્ણ જ્ઞાનમાં બધા જ કર્મો સમાઈ જાય છે. (૩૩)


આ સત્યને બરાબર જાણી ચુકેલ જ્ઞાની પુરુષને તું પ્રણામ કરી, 
વાર્તાલાપ દ્વારા કે સેવાથી પ્રસન્ન કર. તે તને જ્ઞાન પ્રદાન કરશે. (૩૪)


હે પાંડવ, આ રીતે જ્ઞાન પામ્યા પછી તને મોહ નહીં થાય અને તું તારા પોતામાં તથા
અન્ય જીવોમાં મને (પરમાત્માને) નિહાળી શકીશ.(૩૫)


જો તું અધમાધમ પાપી હોઈશ તો પણ જ્ઞાન રૂપી નાવમાં બેસીને પાપના સમુદ્રને પાર કરી જઈશ.(૩૬)


જેવી રીતે પ્રજ્વલિત થયેલ અગ્નિ કાષ્ઠને બાળી નાખે છે તેવી રીતે
જ્ઞાનનો અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી નાખે છે. (૩૭)


જ્ઞાનથી અધિક પવિત્ર આ સંસારમાં બીજું કશું જ નથી. 
યોગમાં સિદ્ધ થયેલ પુરુષ આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે.(૩૮)


શ્રદ્ધાવાન અને જિતેન્દ્રિય મનુષ્ય જ્ઞાન (સત્ય-પરમ-જ્ઞાન) ને પ્રાપ્ત કરે છે,
અને આ જ્ઞાન થી તે તરત જ શાંતિ પ્રાપ્ત કરે છે.(૩૯)


જ્યારે આત્મજ્ઞાન વિનાનો, શ્રદ્ધાહીન તથા સંશયી મનુષ્ય એ જ્ઞાન મેળવી શકતો નથી 
અને વિનાશ પામે છે. તેવા મનુષ્યને આ લોક કે પરલોકમાં ક્યાંય સુખ મળતું નથી.(૪૦)


હે ધનંજય, જેણે યોગ દ્વારા પોતાના સમસ્ત કર્મોનો ત્યાગ કર્યો છે અને જ્ઞાન વડે 
જેણે પોતાના સંશયો છેદી નાખ્યા છે તેવા આત્મનિષ્ઠ પુરુષને કર્મ બંધનકર્તા નથી થતું. (૪૧)


એથી હે ભારત, તારા હૃદયને જેણે શોકથી હણી નાખ્યું છે એવા અજ્ઞાનથી પેદા થયેલ સંશયને 
તું જ્ઞાનરૂપી શસ્ત્રથી છેદી નાખ અને યોગમાં સ્થિત થઈ યુદ્ધ માટે તૈયાર થઈ જા.(૪૨)


અધ્યાય -૪- જ્ઞાન-કર્મ-સન્યાસ-યોગ-સમાપ્ત

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE

Dec 6, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-3-Karma Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-3-કર્મયોગ




અર્જુન કહે છે,
હે જનાર્દન, જો તમે જ્ઞાનને કર્મ કરતાં વધુ શ્રેષ્ઠ માનતા હો તો
મને આ યુદ્ધ કર્મમાં શા પ્રવૃત કરી રહ્યા છો ? (૧)


તમારા વચનોથી મારી બુદ્ધિ સંભ્રમિત થઈ રહી છે.
કૃપા કરીને મને એ માર્ગ બતાવો જે નિશ્ચિત રીતે મારા માટે કલ્યાણકારક હોય.(૨)


શ્રી ભગવાન કહે છે,
હે નિષ્પાપ, આ જગમાં શ્રેયપ્રાપ્તિના બે જુદા જુદા માર્ગો - જ્ઞાન યોગ અને કર્મ યોગ મેં તને બતાવ્યા.(૩)


સાંખ્યયોગીઓને જ્ઞાનનો માર્ગ પસંદ પડે છે જ્યારે
યોગીઓને કર્મનો માર્ગ. નિષ્કર્મતા પ્રાપ્ત કરવા માટે પણ કર્મનું અનુષ્ઠાન તો કરવું જ પડે છે.  (૪)


કેવળ કર્મોનો ત્યાગ કરવાથી કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતું નથી.
કર્મ કર્યા વગર કોઈ દેહધારી ક્ષણ માટે પણ રહી શકતો નથી.
કારણ કે પ્રકૃતિના ગુણોથી વિવશ થઈને પ્રાણીમાત્ર કર્મ કરવા માટે પ્રવૃત થાય છે.(૫)


જે મનુષ્ય બહારથી પોતાની ઈન્દ્રિયોનો બળપૂર્વક કાબુ કરે અને
મનની અંદર વિષયોનું સેવન કરે છે તે ઢોંગી છે. (૬)


મનથી પોતાની ઈન્દ્રિયોનો સંયમ સાધીને જે ફલાશા વગર સહજ રીતે કર્મોનું અનુષ્ઠાન કરે છે તે ઉત્તમ છે. (૭)


તારે માટે જે પણ કર્મ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે તે તું કર કારણ કે
કર્મ ન કરવા (કર્મનો ત્યાગ કરવા) કરતાં અનાસક્ત રહીને કર્મ કરવાનું શ્રેષ્ઠ કહેવાયું છે. (૮)


જો તું કર્મ નહીં કરે તો તારો જીવનનિર્વાહ પણ કેવી રીતે થશે ? 
આસક્તિથી કરેલ કર્મો માનવને કર્મબંધનથી બાંધે છે.  
એથી હે અર્જુન, તું કર્મ કર, પરંતુ અનાસક્ત (અલિપ્ત) રહીને કર (૯).


બ્રહ્માએ સૃષ્ટિના આરંભમાં જ કહ્યું કે
‘યજ્ઞ (કર્મ) કરતાં રહો અને વૃદ્ધિ પામતા રહો. યજ્ઞ (કર્મ) તમારી ઈચ્છાઓની પૂર્તિનું સાધન બનો.’ (૧૦)


યજ્ઞ કરતાં તમે દેવોને પ્રસન્ન રાખો અને દેવો તમને પ્રસન્ન રાખશે.
એમ એકમેકને સંતુષ્ઠ રાખતાં તમે પરમ કલ્યાણને પ્રાપ્ત કરશો. (૧૧)


યજ્ઞથી સંતુષ્ઠ દેવો તમને ઈચ્છિત ભોગો આપશે. 
એને યજ્ઞભાવથી (દેવોને સમર્પિત કર્યા પછી) આરોગવાથી વ્યક્તિ સર્વ પાપથી વિમુક્ત થશે.
એ ભોગોનો ઉપભોગ જે એકલપેટા બનીને કરશે તે પાપના ભાગી થશે અને ચોર ગણાશે. (૧૨-૧૩)


શરીર અન્નમય કોષ છે. બધા જીવો અન્નથી જ પેદા થાય છે અને અન્નથી જ પોષાય છે. 
અન્ન વરસાદ થવાથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી થાય છે. 
યજ્ઞ કર્મથી થાય છે અને કર્મ વેદથી થાય છે. (૧૪)


પરંતુ વેદ તો પરમાત્મા વડે ઉત્પન્ન કરાયેલ છે. એથી એમ કહી શકાય કે 
સર્વવ્યાપક પરમાત્મા જ યજ્ઞમાં પ્રતિષ્ઠિત થયેલા છે. (યજ્ઞ વડે પરમાત્માની જ પૂજા કરાય છે) (૧૫)


હે પાર્થ, જે વ્યક્તિ આ રીતે સૃષ્ટિચક્રને અનુસરીને નથી ચાલતો તે
પોતાની ઈંદ્રિયોના ભોગમાં રમવાવાળો તથા વ્યર્થ જીવન જીવનાર ગણાય છે. (૧૬)


પરંતુ જે વ્યક્તિ આત્મસ્થિત અને આત્મતૃપ્ત છે, પોતાના આત્મામાં જ સંતોષ માને છે,
તેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી. (૧૭)


એવા મહાપુરુષને માટે કર્મ કરવાનું કે ન કરવાનું કશું પ્રયોજન રહેતું નથી.
એને સર્વ જીવો સાથે કોઈ પ્રકારનો સ્વાર્થસંબંધ નથી રહેતો. (૧૮)


એથી હે પાર્થ, આસક્ત થયા વગર કર્મ કર. નિષ્કામ કર્મ કરનાર વ્યક્તિ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. (૧૯)


મહારાજા જનક જેવા નિષ્કામ કર્મનું આચરણ કરતા જ પરમ સિદ્ધિને પામ્યા છે. 
વળી તારે (અંગત સ્વાર્થ માટે નહીં કરવું હોય તો પણ) લોકસંગ્રહાર્થે, 
સંસારના ભલા માટે (યુદ્ધ) કર્મ કરવું જ રહ્યું.(૨૦)


શ્રેષ્ઠ પુરુષો જે જે કરે છે એને અનુસરીને સાધારણ લોકો પોતાના કામ કરે છે. (૨૧)


એમ તો મારે પણ કર્મ કરવું આવશ્યક નથી. આ સંસારમાં એવું કંઈ મેળવવાનું મારે માટે બાકી રહ્યું નથી
છતાં પણ હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. (૨૨)


કારણ કે જો હું કર્મ કરવાનું છોડી દઉં તો મારું અનુસરણ કરીને બીજા લોકો પણ કર્મ કરવાનું છોડી દે.
અને એમ થાય તો તેઓ પોતાનો નાશ નોંતરે અને હું એમના વિનાશનું કારણ બનું. (૨૩-૨૪)


હે અર્જુન, કર્મ કરવું અતિ આવશ્યક છે પરંતુ અજ્ઞાની લોકોની જેમ ફળની આશાથી યુક્ત થઈને નહીં, 
પરંતુ જ્ઞાનીઓની પેઠે નિષ્કામ ભાવે, ફળની આસક્તિથી રહિત થઈને.(૨૫)


જ્ઞાની પુરુષે પોતે તો સમતાનું આચરણ કરીને કર્મનું અનુષ્ઠાન કરવું જ રહ્યું પણ સાથે સાથે 
જેઓ આસક્તિભાવથી કર્મ કરે છે એમનામાં અશ્રદ્ધા પણ ઉત્પન્ન ન કરવી જોઈએ. (૨૬)


સર્વ પ્રકારના કર્મો પ્રકૃતિના ગુણોથી પ્રેરાઈને થતાં હોય છે. 
છતાં અહંકારથી વિમૂઢ થયેલ મનુષ્ય પોતાને એનો કર્તા માને છે. (૨૭)


હે મહાબાહો, પ્રકૃતિના ગુણસ્વભાવને અને કર્મના વિભાગોને યથાર્થ જાણનાર જ્ઞાની 
કર્મ માટે પ્રકૃતિના ગુણો જ કારણભૂત છે એવું માનીને એમાં આસક્ત થતા નથી. (૨૮)


તો સાથે સાથે જેઓ પ્રકૃતિના ગુણોથી મોહ પામીને કર્મને આસક્તિભાવે કરે છે 
તેમને વિચલિત કરવાની કોશિશ કરતા નથી. (૨૯)


હે અર્જુન, મારામાં મનને સ્થિર કરી, આશા, તૃષ્ણા તથા શોકરહિત થઈને
અનાસક્ત ભાવે (યુદ્ધ) કર્મમાં પ્રવૃત થા.(૩૦)


જે વ્યક્તિ દોષદૃષ્ટિથી મુક્ત થઈ મારામાં પૂર્ણ શ્રદ્ધા રાખી મારા વચનોને અનુસરે છે, 
એ કર્મબંધનથી મુક્તિ મેળવે છે. પરંતુ જે મનુષ્ય દ્વેષબુદ્ધિથી મારા કહેલ માર્ગનું 
અનુસરણ નથી કરતા તેને તું વિમૂઢ, જ્ઞાનહીન તથા મૂર્ખ સમજજે. (૩૧-૩૨)


દરેક પ્રાણી પોતાની સ્વભાવગત પ્રકૃતિને વશ થઈને કર્મ કરે છે. જ્ઞાની પણ એવી જ રીતે 
સ્વભાવને વશ થઈ કર્મો કરે છે. એથી મિથ્યા સંયમ કરવાનો કોઈ અર્થ નથી.(૩૩)


પ્રત્યેક ઈન્દ્રિયના વિષયોમાં રાગ અને દ્વેષ રહેલા છે. 
રાગ અને દ્વેષ આત્મકલ્યાણના માર્ગમાં મહાન શત્રુઓ છે એટલે એને વશ ન થતો. (૩૪)


એટલું યાદ રાખજે કે પરધર્મ ગમે તેટલો સારો હોય પણ સ્વધર્મ કરતાં ઉત્તમ કદાપિ નથી. 
એથી તું તારા સ્વધર્મનું (ક્ષત્રિયના ધર્મ) પાલન કરીને વીરગતિને પ્રાપ્ત કરીશ તો 
એ પરધર્મ (સંન્યાસીના)  કરતાં ઉત્તમ અને કલ્યાણકારક છે.(૩૫)


અર્જુન કહે છે-
હે કૃષ્ણ, મનુષ્ય પોતે ઈચ્છતો ન હોવા છતાં પાપકર્મ કરવા માટે કેમ પ્રવૃત્ત થાય છે ? (૩૬)


શ્રી ભગવાન કહે છે,
રજોગુણના પ્રભાવથી પેદા થનાર કામ તથા ક્રોધ જ 
મહાવિનાશી, મહાપાપી તથા મોટામાં મોટા દુશ્મન છે.(૩૭)                                                                        


જેમ ધુમાડો આગને, મેલ દર્પણને, ઓર ગર્ભને ઢાંકી દે છે 
તેવી જ રીતે કામ તથા ક્રોધ વ્યક્તિના જ્ઞાન પર પડદો નાંખી દે છે. (૩૮)


એથી હે કૌન્તેય, અગ્નિ ના સમાન જેની કદી તૃપ્તિ થતી જ નથી
એવા કામ અને ક્રોધના આવેગો જ્ઞાનીના જ્ઞાન ને ઢાંકી દે છે,જ્ઞાનીઓ ના તે સૌથી મોટા દુશ્મન છે. (૩૯)


મન, બુદ્ધિ અને ઈન્દ્રિય, એ કામ નું  નિવાસ સ્થાન છે,આ કામ મન,બુદ્ધિ અને ઇન્દ્રિયો ને 
પોતાના વશ કરી ને, જ્ઞાન અને વિવેક ને ઢાંકીને મનુષ્ય ને ભટકાવી મુકે છે..(૪૦)


એથી હે અર્જુન, સૌથી પ્રથમ તું ઈન્દ્રિયોને વશમાં કર અને આ પાપમયી, 
જ્ઞાન અને વિવેક ને હણનાર કામનામાંથી નિવૃત્તિ મેળવ. (૪૧)


મનુષ્ય દેહમાં ઈન્દ્રિયોને બળવાન કહેવામાં આવી છે. પરંતુ મન ઈન્દ્રિયોથી બળવાન છે. 
બુદ્ધિ મનથી બળવાન છે અને આત્મા બુદ્ધિ કરતાં પણ શ્રેષ્ઠ છે. (૪૨)


એથી આત્મતત્વને સૌથી બળવાન માની,બુદ્ધિ વડે મન ને વશ કરી, 
આ કામરૂપી દુર્જય શત્રુનો તું તરત નાશ કરી નાખ.(૪૩)

અધ્યાય -૩  - કર્મયોગ- સમાપ્ત


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE