અધ્યાય-૯૬-આઠમો દિવસ સમાપ્ત-ભયંકર રણભૂમિ
॥ संजय उवाच ॥ पुत्रं विनिहतं श्रुत्वा इरावंतं धनंजयः I दुखेन भरताविष्टो निःश्चसन्पन्नगो यथा ॥१॥
સંજયે કહ્યું-પોતાના પુત્ર ઈરાવાનને યુદ્ધમાં માર્યો ગયેલો સાંભળી,મહાદુઃખી થયેલો અર્જુન સર્પની પેઠે નિશ્વાસ નાખવા લાગ્યો ને શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો-'વિદુરે,'કૌરવો ને પાંડવોનો ભયંકર નાશ થશે'એમ પ્રથમથી જ નિશ્ચયપૂર્વક જોઈ લીધું હતું.આ યુદ્ધમાં આપણા અને તેઓના ઘણા વીરોનો નાશ થયો છે.માટે જે અર્થ (ધન) માટે આવું નિંદ્ય કર્મ કરાય છે તે અર્થને ધિક્કાર હજો.દુર્યોધન અને તેના દુષ્ટ સલાહકારોના વિચારોથી થયેલ આ યુદ્ધમાં બિચારા અનેક ક્ષત્રિયો માર્યા જાય છે.મરણ પામેલા આ ક્ષત્રિયોને જોઈને હું મારા આત્માને અતિ નિંદુ છું,મારા ક્ષત્રિય જીવતરને ધિક્કાર હો.જો કે આ બધા ક્ષત્રિયો,મને યુદ્ધ કરવામાં કાયર માનશે,આ જ્ઞાતિલાઓ સાથે મને યુદ્ધ કરવું લગાર પણ ગમતું નથી,છતાં આપના ઉપદેશને અનુસરીને હું યુદ્ધ કરવા તત્પર થાઉં છું,ચાલો જલ્દી કૌરવોની સેનાએ તરફ આપણો રથ હાંકો'





