અધ્યાય-૩૦-માયાવી શકુનિ નાઠો
II संजय उवाच II प्रियमिन्द्रस्य सततं सखायमतितौजसम् I हत्वा प्राग्ज्योतिषं पार्थः प्रदिक्षणमवर्तत II १ II
સંજય બોલ્યો-અમાપ તેજવાળા ઇન્દ્રના પ્રિય મિત્ર ભગદત્તને મારીને અર્જુન દક્ષિણદિશા તરફ ગયો.ત્યારે ગાંધારરાજ સુબલના પુત્ર વૃષક અને અચલ નામના બે ભાઈઓ યુદ્ધમાં આગળ આવીને અર્જુનને પીડવા લાગ્યા.એટલે અર્જુને તીક્ષ્ણ બાણો વડે વૃષકના ઘોડા,સારથી,ધનુષ્ય,રથ અને ધ્વજના ટુકડા કરી નાખ્યા અને સાથે આવેલા પાંચસો ગાંધાર યોદ્ધાઓને મૃત્યુલોકમાં વિદાય કરી દીધા.ત્યારે વૃષક પોતાના ભાઈના રથમાં ચડી ગયો.અને હવે બંને ભાઈઓ સાથે મળીને અર્જુનને બાણોથી પીડવા લાગ્યા.ત્યારે અર્જુને એક જ બાણ મૂકીને તે બંનેને મારી નાખ્યા.હે રાજન,યુદ્ધમાં પછી પાની નહિ કરનારા તે પોતાના બંને મામાઓને આમ યુદ્ધમાં માર્યા ગયેલા જોઈને તમારા પુત્રોએ દુઃખનાં આંસુ સાર્યા.ને પોતાના બે ભાઈઓને મરણ પામેલા જોઈને સેંકડો માયા રચવામાં કુશળ એવો શકુની ત્યાં આવી પહોંચ્યો ને શ્રીકૃષ્ણ તથા અર્જુનને મોહિત કરવા પોતાની માયા રચવા લાગ્યો.ને તેની માયાના પ્રભાવથી અનેક જાતનાં હથિયારો અર્જુન પર પડવા લાગ્યાં.વળી,ત્યાં અનેક જાતનાં પ્રાણીઓ,પક્ષીઓ ને રાક્ષસો ભુખાળવાં થઈને અર્જુન તરફ ધસવા લાગ્યાં.




