અધ્યાય-૧૨૮-ભીમનો કૌરવસૈન્યમાં પ્રવેશ અને યુધિષ્ઠિરનો હર્ષ
II संजय उवाच II समुत्तीर्ण रथानीकं पांडवं विहसन् रणे I विवारयिपुराचार्यः शस्वर्पैरवाकिरत् II १ II
સંજય બોલ્યો-આમ પાંડુપુત્ર ભીમસેન રથસૈન્યને વટાવીને આગળ વધી રહ્યો હતો ત્યારે તેને અટકાવવાની ઈચ્છાથી,દ્રોણાચાર્ય બીજા રથમાં બેસીને બાણોની વૃષ્ટિ કરીને તેને ઢાંકી દેવા માંડ્યા.પણ પોતાની બળની માયાથી મોહ પમાડતો તે ભીમસેન દ્રોણાચાર્યના બાણોને જાણે પી જતો હોય એમ જણાતું હતું.તે સમયે કેટલાએક ધનુર્ધર રાજાઓ ઘણો વેગ કરીને તેને ચારે બાજુથી ઘેરી વળ્યા.ત્યારે ભીમસેને સિંહ ગર્જના કરીને શત્રુપક્ષનો વિનાશ કરનારી પોતાની ગદા ઉઠાવીને વેગપૂર્વક ફેંકી.તે ગદા જાણે ઇન્દ્રે સર્વ શક્તિને એકત્ર કરીને વજ્ર ફેંક્યું હોય તેવી જણાતી હતી.





