અધ્યાય-૧૩૦-દુર્યોધનનું યુદ્ધ
II संजय उवाच II तस्मिन् पिलुलिते सैन्ये सैधवायार्जुने गते I सात्वते भीमसेने च पुत्रस्ते द्रोणमभ्ययात् II १ II
સંજય બોલ્યો-જયારે તે સૈન્ય લગભગ આમ વીખરાઈ ગયું અને અર્જુન,સાત્યકિ તથા ભીમસેન,જયદ્રથ પાસે આવી પહોંચ્યા ત્યારે તમારો પુત્ર દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ઘણી ઝડપથી પહોંચ્યો ને ગભરાટભેર આચાર્યને કહેવા લાગ્યો કે-'અરે ઓ આચાર્ય,અર્જુન,સાત્યકિ ને ભીમ એ સર્વ આપણા સૈન્યનો પરાજય કરીને સિંધુરાજની સમીપ આવી પહોંચ્યા છે ને પ્રહારો કરી રહ્યા છે.આ રણમાં અર્જુન તમને ઉલ્લંઘીને આવ્યો તે તો સમજ્યો પણ સાત્યકિ અને ભીમસેન તમને કેમ કરીને ઉલ્લંઘી શક્યા? આ તો આ લોકમાં સમુદ્ર સુકાયા જેવી આશ્ચર્યની વાત છે.તે ત્રણેથી થયેલા આપણા પરાજયના સંબંધમાં લોકો ઘણી વાત કરી રહ્યા છે.ખરે,હવે મારો મંદભાગીનો આ રણમાં નાશ થવા જ આવ્યો છે.આ ભયંકર પ્રસંગે હવે તમારે જે કહેવાનું હો તે તમે કહો.જે થયું તે થયું પણ હવે શું કરવું તેનો તમે બરોબર વિચાર કરી સમયોચિત શું કાર્ય કરવું ઘટે છે તે વિષે અમને સત્વર કહો કે જેથી તે પ્રમાણે સત્વર કરવામાં આવે'





