અધ્યાય-૧૮૫-દ્રોણચાર્ય અને દુર્યોધનની વાતચીત
II संजय उवाच II ततो दुर्योधनो द्रोणमभिगम्याब्रविदिदम I अमर्पवशमापन्नो जनयन हर्षतेजसी II १ II
સંજય બોલ્યો-'ત્યારે ક્રોધવશ થયેલો દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો ને તેમના હર્ષ-તેજને ઉત્પન્ન કરતો બોલ્યો કે-'હે આચાર્ય,સંગ્રામમાં વિશ્રામ લેતા શત્રુઓને હવે તમારે સહન કરવા ન જોઈએ.તેઓના મન અને તન થાક્યા છે અને ખાસ કરીને અત્યારે તે લાગમાં આવ્યા છે.આજ દિવસ સુધી અમે જે જે સહન કર્યું છે તે તમને પ્રિય થઇ પડે તેવી ઈચ્છાથી જ,પણ હવે અમારાથી સહન થતું નથી.પાંડવો જોકે બળવાન છે પણ તેઓ આ સમયે વિશ્રાંતિ લીધા છતાં સર્વથા તેજ ને બળથી હીન થયા છે.તમે એમનું વારંવાર રક્ષણ કરો છે તેથી જ તે આગળ વધ્યે જાય છે.તમારી પાસે જે બ્રહ્માસ્ત્ર આદિ દિવ્ય અસ્ત્રો છે તેની સામે પાંડવો ને બીજા ધનુર્ધરો પણ યુદ્ધમાં તમારી તુલના કરી શકે તેમ નથી.તમે જો ધારો તો તમારા દિવ્ય અસ્ત્રોથી દેવો,દૈત્યો ને ગંધર્વો સહીત સર્વનો સંહાર કરી શકો તેમ છે તેમાં સંશય નથી.આવા તમે એ પાંડવોને સહન કરી રહ્યા છો તેમાં કારણ તરીકે તો તેમના પ્રત્યે તમારો શિષ્યો તરીકેનો પ્રેમ અથવા અમારી મંદભાગ્યતા જ હોઈ શકે'




