Sep 29, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1265

રામ : નિત્યસુખના અનુભવને અર્થે હું આનંદવાળો બની ગયો છું.અવિનાશી પદની પ્રાપ્તિ અર્થે હું સ્થિર થઇ
રહ્યો છું અને મને મોક્ષ-રૂપ પરમ પુરુષાર્થનો ઉદય પ્રાપ્ત થયેલો છું.આપના શીતળ જ્ઞાન-રૂપ જળ વડે
સિંચાઈને હું પોતાની મેળે જ હૃદયની અંદર પ્રફુલ્લ થઇ રહ્યો છું,આપની કૃપાથી મેં આ સર્વોત્તમ પદવી મેળવી છે,
કે જેથી સર્વ જગત મને અમૃત-રૂપ જ ભાસે છે.મારી બુદ્ધિ પ્રસન્ન થઇ છે,હું સર્વ શોકથી રહિત થયો છું
ને શાંતિ વડે મારું ચિત્ત નિર્મળ થયું છે.હું મારા આત્મામાં જ આનંદ અનુભવું છું અને આત્માનો સાક્ષાત્કાર
થવાથી હું નિર્મળતાને પ્રાપ્ત થયો છું,તેથી મારા પોતાના સ્વરૂપને જ હું નમસ્કાર કરું છું.

Sep 28, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1264

રામ : ઝાડમાં રહેલા પુષ્પમાંથી જેમ સુગંધ આકાશમાં ફેલાઈ રહી હોય છે,તેમ હું દેહનું ઉલ્લંઘન કરીને
(દેહધ્યાસને છોડીને) સમાનપણાથી આત્મામાં સ્થિર થઇ રહ્યો છું.જેમ,પ્રબોધને પ્રાપ્ત થયેલા કે અપ્રબુદ્ધ
એવા સર્વ રાજાઓ,અનેક પ્રકારનાં કર્મવાળાં રાજ્યની અંદર પોતાને સુખ થાય તેમ વિહાર કરે છે તેમ,હું પણ
હર્ષ,શોક,અને આશાથી રહિત બની,સર્વત્ર સ્થિર એવી સમાનદ્રષ્ટિનું અવલંબન કરી(અનાસક્તિથી)
નિઃશંક રીતે આત્મામાં સ્થિતિ રાખી રાજ્યતંત્રમાં વિહાર કરું છું.

Sep 27, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1263

રામ કહે છે કે-હે મહારાજ,આપની કૃપા વડે હું પરમ નિર્મળતાને પ્રાપ્ત થઇ  ગયો છું.મારી સર્વ ભ્રાંતિઓ શાંત
થઇ ગઈ છે અને શુદ્ધ સ્વરૂપ વડે હું આકાશના જેવો સ્વચ્છ થઈ રહ્યો છું.મારી સર્વ ગ્રંથિઓ ગલિત થઇ ગઈ છે,
સર્વ વિશેષણો શાંત થઇ જવાથી હું નિર્વિશેષ છું અને નિર્મળ બુદ્ધિવાળો છું.મારું શાંત થઇ રહેલું ચિત્ત બીજું કંઈ
સાંભળવા કે મેળવવા ઈચ્છતું નથી.તે પરમ તૃપ્તિને પ્રાપ્ત થઇ રહેલું છે અને સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થઇ ગયું હોય
તેવું થઇ રહ્યું છે.સર્વ વિષયોના સ્મરણની શાંતિને લીધે નિર્વિકલ્પ,અને સર્વ સર્વ કૌતુકથી રહિત
તથા સર્વ સંકલ્પોને છોડી રહેલું મારું મન શાંત છે.હું નિર્વાણને પ્રાપ્ત થઇ રહ્યો છું ને શાંત થઇ રહ્યો છું.