વસુદેવજી મહા વૈષ્ણવ છે,અને વૈષ્ણવ(ભક્ત) દુઃખી થાય તો પરમાત્મા પધારે છે.
વસુદેવજીને આમ માન આપવાને બદલે –કંસ-તેમને જો ત્રાસ આપે તો જ ભગવાન પ્રગટ થાય.પાપી દુઃખી થાય તો ભગવાન સાક્ષી રૂપે જુએ છે. પાપી માણસ દુઃખી થાય તો પરમાત્માને દયા આવતી નથી.તે વિચારે છે-“પાપ કર્યા છે-એટલે દુઃખી થાય છે.પાપ કરતો હતો ત્યારે તો હસતો હતો,હવે રડે છે” પણ પુણ્યશાળી ભક્ત દુઃખી થાય તે પરમાત્માથી સહન થતું નથી.
કૃષ્ણકથામાં રાજાનો અલૌકિક પ્રેમ જોઈને શુકદેવજી પ્રસન્ન થયા છે.શુકદેવજી કહે છે-કે-કૃષ્ણકથામાં તારો પ્રેમ જોઈ મને બહુ આનંદ થાય છે,રાજા તારે લીધે મને પણ
કૃષ્ણકથા-ગંગાનું પાન કરવાનો લાભ મળ્યો.આ કૃષ્ણકથા-ગંગા પ્રગટ થઇ પછી ભાગીરથી ગંગાજીનું મહત્વ ઓછું થયું છે.આ કૃષ્ણકથા-ગંગા અનેકને પાવન કરે છે.
ભાગીરથી ગંગામાં સ્નાન કરો તો તેનાથી મનનો મેલ ધોવાતો નથી.ખાલી શરીર શુદ્ધ થાય છે,જયારે આ કૃષ્ણકથા મનનો મેલ દૂર કરે છે.મનને શુદ્ધ કરે છે.માટે કૃષ્ણ કથા શ્રેષ્ઠ છે.વળી કૃષ્ણકથા-ગંગા જ્યાં ઈચ્છો ત્યાં પ્રગટ થાય છે,ભાગીરથી-ગંગા ને કહો –કે અમારા શહેરમાં પ્રગટ થાઓ-તો તે ત્યાં શું પ્રગટ થશે ?
ઉઘાડી આંખે જગત “ના” દેખાય –પણ પરમાત્મા શ્રીકૃષ્ણ દેખાય એ જ સમાધિ છે.
સાચા જ્ઞાનીને ઉઘાડી આંખે આખું જગત બ્રહ્મમય દેખાય છે.ગોપીઓની ‘સહજ’ સમાધિ છે,તેમની નજર જ્યાં જાય ત્યાં તેમને શ્રીકૃષ્ણનાં દર્શન થાય છે.
દેહાભિમાન નો નાશ થતાં વેંત જ જીવ પરમાત્મા ને તત્વ થી જાણી લે છે.એટલે કે સર્વવ્યાપક પરમાત્માની સાથે પોતે અભિન્ન છે (જુદો નથી) તેવો અનુભવ થઇ જાય છે.
પછી જ્યાં જ્યાં તેનું મન જ્યાં જાય, ત્યાં ત્યાં તેને સમાધિ લાગે છે,બધું વાસુદેવમય છે,એવું જણાય છે.સમાધિ આવી ‘સહજ’ જોઈએ. ગોપીઓની સમાધિ આવી ‘સહજ’ –હતી.