Jul 30, 2019

ભાગવત રહસ્ય-૨૨

ભાગવતની કથા ત્રણ પ્રકારે કરવામાં આવે છે.-આધ્યાત્મિક-આધિદૈવિક-અને આધિભૌતિક-રીતે.જરા વિચાર કરો તો સમજાશે-કે-માનવ કાયા - એ જ તુંગભદ્રા છે. ભદ્રા એટલે કલ્યાણ કરનારી અને તુંગ એટલે વધારે. માનવ કાયા દ્વારા જ મનુષ્ય આત્મદેવ થઇ શકે છે.આત્માનો દેવ બને તે આત્મદેવ.આત્મદેવ-એ જીવાત્મા છે. આપણે બધાં આત્મદેવ જેવા છીએ. નર જ નારાયણ બને છે. 

મનુષ્ય શરીરમાં રહેલો –જીવ-દેવ બની શકે છે, અને ધારે તો બીજાને પણ દેવ બનાવી શકે છે. મનુષ્ય દિવ્ય જીવન ગાળે તો –દેવ- બની શકે છે.આત્મદેવ-આત્મા-જો પ્રભુ સાથે સંબંધ જોડે તો –જીવ- દેવ- બને છે.
ધુંવા-પુવા કરનારી, કુતર્કો કરનારી ધુન્ધુલી –એ-બુદ્ધિ છે. જીવ માત્ર ધુન્ધુલી(બુદ્ધિ) જોડે પરણે છે.
દરેકના ઘરમાં આ ધુન્ધુલી (બુદ્ધિ) છે. ધુન્ધુલી કથામાં પણ તોફાન કરે છે. દ્વિધા બુદ્ધિ-દ્વિધા વૃત્તિ એ જ ધુન્ધુલી.દ્વિધા બુદ્ધિ હોય ત્યાં સુધી આત્મ શક્તિ જાગૃત થતી નથી.

બુદ્ધિ પારકી પંચાત કરે છે. પણ –હું કોણ છું ?મારો ધણી કોણ છે ?-એનો વિચાર બુદ્ધિ કરતી નથી. તે આત્મ-સ્વરૂપનો વિચાર કરતી નથી. બુદ્ધિનો પતિ આત્મા છે.બુદ્ધિ સાથે આત્માનું લગ્ન થયું પણ –જ્યાં સુધી તેણે કોઈ -મહાત્મા -ના મળે,સત્સંગ ના મળે –ત્યાં સુધી-વિવેક –આવતો નથી. વિવેક રૂપી પુત્રનો જન્મ થતો નથી. વિવેક -એ જ આત્માનો પુત્ર છે.સંપત્તિથી વિવેક આવતો નથી, સત્સંગથી વિવેક આવે છે.

આત્મા અને બુદ્ધિના સંબંધ થી જો વિવેકરૂપી પુત્રનો જન્મ થતો નથી , તો જીવ સંસાર રૂપી નદીમાં ડૂબી મરે છે.વિવેકરૂપી દીકરો ન હોય તો જીવ સંસારમાં આત્મહત્યા કરે છે.-એટલેકે તે –આત્માનું કલ્યાણ કરી શકતો નથી.તેથી તો આત્મદેવ ગંગાકિનારે ડૂબી મારવા જાય છે.

દેવ બનવાની અને બીજાને દેવ બનાવવાની શક્તિ આત્મામાં છે. પણ આત્મ-શક્તિ જાગૃત કરવાની છે.
હનુમાનજી સમર્થ હતા,પરંતુ જામ્બવાને જયારે તેમને સ્વરૂપનું ભાન કરાવ્યું ત્યારેજ તેમને સ્વરૂપ નું ભાન થયેલું.આત્મ-શક્તિ સત્સંગથી જાગૃત થાય છે. સત્સંગ વગર જીવનમાં દિવ્યતા આવતી નથી.

સંત મહાત્મા એ આપેલું –વિવેક રૂપી ફળ આ બુદ્ધિને (ધુન્ધુલીને) ગમતું નથી.
બુદ્ધિની નાની બહેન છે- મન.બુદ્ધિ મનની સલાહ લે તો દુઃખી થાય છે. મન અનેકવાર આત્માને છેતરે છે. મન સ્વાર્થી છે.મન કહે તે- ના- કરવું. સલાહ એક ઈશ્વરની જ લેવી.આત્મદેવ –મન-બુદ્ધિનું કપટ સમજી શક્યો નહિ.

ફળ ગાયને ખવડાવ્યું. ગો –એટલે-ગાય-ઇન્દ્રિય-ભક્તિ –વગેરે –અર્થ થાય છે. ફળ ગાયને –એટલે –ઇન્દ્રિયને ખવડાવ્યું.આખો દિવસ દ્રવ્ય સુખ અને કામસુખનું ચિંતન કરે, પર-સ્ત્રી અને પર ધનનો વિચાર કરે,અને જેના જીવનમાં ધર્મ -પ્રધાન નથી ,પાંચ વિષયો- પાપ થી ભોગવે છે –એ ધન્ધુકારી.


   PREVIOUS PAGE            NEXT PAGE                  INDEX PAGE