Aug 6, 2019

ભાગવત રહસ્ય-૩૦-સ્કંધ-૧

કોઈ પણ સત્કર્મની શરૂઆત –મંગલાચરણથી કરવામાં આવે છે.સત્કર્મોમાં અનેક વિઘ્નો આવે છે. તે સર્વ (વિઘ્નો)ની નિવૃત્તિ માટે મંગલાચરણની આવશ્યકતા છે.
કથા માં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો.શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. દેવોને ઈર્ષા થાય છે કે-આ નારાયણનું ધ્યાન કરશે તો અમારા જેવો થશે.

તેથી આ દેવોને પણ - પ્રાર્થના કરવી પડે છે.-કે –અમારા સત્કાર્ય માં વિઘ્ન ના કરશો. સૂર્ય અમારું કલ્યાણ કરો.વરુણદેવ અમારું કલ્યાણ કરો...વગેરે..જેનું આચરણ મંગલ છે-તેનું મનન અને ચિંતન કરવું—એ મંગલાચરણ.એવા એક માત્ર પરમાત્મા છે. શ્રીકૃષ્ણનું ધામ મંગલ છે.નામ મંગલ છે.
સંસારની કોઈ વસ્તુ કે જીવનું ચિંતન કરવું નહિ. જેના મનમાં કામ છે તેનું ચિંતન કરશો તો એનો કામ તમારા
મનમાં આવશે. ‘સકામ’ નું ચિંતન કરવાથી-મનમાં ‘સકામતા’ આવે છે-જયારે ‘નિષ્કામ’નું ચિંતન કરવાથી મનનિષ્કામ બને છે. શ્રીકૃષ્ણને –કામ –સ્પર્શ કરતો નથી. તેમનું –સર્વ-મંગલ છે.

ઈશ્વરનું -ચિંતન-ધ્યાન -મનુષ્ય કરે તો –ઈશ્વરની શક્તિ મનુષ્યમાં આવે.
શિવજીનું બધું અમંગળ છે તેમ છતાં તેમનું સ્મરણ મંગલમય છે- તેનું કારણ એક જ છે કે તેમણે કામને બાળીને –ભસ્મ કર્યો છે.મનુષ્ય સકામ છે, ત્યાં સુધી તેનું મંગલ થતું નથી. તે જયારે નિષ્કામ બને-ત્યારે બધું મંગલમય થાય છે.ઈશ્વર –પૂર્ણ નિષ્કામ – છે. તેથી ભગવાનનું સ્મરણ કરો. ધ્યાન કરો. પરમાત્મા બુદ્ધિથી પર છે.સતત શ્રીકૃષ્ણનું ધ્યાન ના થાય તો વાંધો નહિ-પણ જગતના સ્ત્રી-પુરુષનું ધ્યાન ના કરો.

થોડો વિચાર કરશો –તો ખ્યાલમાં આવશે-કે –મન કેમ બગડેલું છે,
સંસારનું ચિંતન કરવાથી મન બગડે છે. પરમાત્માનું ધ્યાન કરવાથી મન સુધરે છે.
દેહનું ધ્યાન કરવાથી મન બગડે છે.અને દેવનું ધ્યાન કરવાથી મન સુધરે છે.
જીવ અમંગલ છે. પ્રભુ મંગલમય છે. મનુષ્યમાં રહેલી કામવૃત્તિ મરે તો બધું મંગલ જ થાય છે.

કામ જેને મારે તે જીવ અને કામ જેનાથી મરે એ ઈશ્વર.મનુષ્યમાં- પોતાનું અમંગલ કાર્ય જ તેને વિઘ્નકર્તા છે—નહિ કે અન્ય કોઈનું કાર્ય.મનુષ્ય જયારે સત્કર્મ કરે છે-ત્યારે તેનું જ પાપ વિઘ્ન કરવા આવે છે.
તે વિઘ્નનો નાશ કરવા મંગલાચરણ કરવામાં આવે છે. પ્રત્યેક કાર્યના આરંભમાં મંગલાચરણ કરો.

ભાગવતમાં ત્રણ મંગલાચરણ છે.આરંભમાં પહેલા સ્કંધમાં વ્યાસ દેવનું –મધ્યમાં શુકદેવજીનું-અને સમાપ્તિમાં સૂતજીનું.હરેક દિવસે -સવારે –મધ્યાહ્ને અને સૂતાં પહેલાં મંગલાચરણ કરો.
મંગલમય પરમાત્માનું સ્મરણ ચિંતન એ જ મંગલાચરણ.

વ્યાસજી ધ્યાન કરતાં કરતાં –ધીમહિ-એમ બોલ્યા છે. વારંવાર એક જ સ્વરૂપ નું ચિંતન કરો. મનને પ્રભુનાસ્વરૂપમાં સ્થિર કરો. એક જ સ્વરૂપનું ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે.પરમાત્માના કોઈ પણ સ્વરૂપને ઇષ્ટ માની તેનું ધ્યાન કરો. ધ્યાન એટલે માનસદર્શન.રામ-કૃષ્ણ-શિવ –કે કોઈ પણ સ્વરૂપનું ધ્યાન કરવું.

મંગલાચરણના શ્લોકમાં –સર્વથી શ્રેષ્ઠ –સત્યરૂપ- પ્રભુનું ધ્યાન કરું છું-એમ વ્યાસજી કહે છે.
ધ્યાનમાં વ્યાસજીનો કોઈ આગ્રહ નથી –કે-એક શ્રી કૃષ્ણનું જ ધ્યાન કરો.
ત્યાં કોઈ વિશિષ્ટતાવાચક સ્વરૂપનો નિર્દેશ નથી.જેને જે સ્વરૂપમાં પ્રીતિ હોય તેને માટે તે સ્વરૂપનું ધ્યાન ઉત્તમ.જે ઠાકોરજીના સ્વરૂપમાં આપણ ને આનંદ આવે-તે આપણા માટે ઇષ્ટ છે.

એક –ના- જ અનેક –સ્વરૂપ- અને- નામ- છે. સનાતન ધર્મ માં દેવ અનેક હોવાં છતાં ઈશ્વર એક જ છે.
મંગલાચરણમાં કોઈ દેવનું નામ લીધું નથી. ઈશ્વર એક જ છે-તેના સ્વરૂપો અનેક છે.
વૃષભભાનુની આજ્ઞા હતી, રાધાજી પાસે કોઈ પુરુષને જવાનો અધિકાર ન હતો. તેથી શ્રીકૃષ્ણ –ચંદ્રાવલીનોશણગાર સજી,સાડી પહેરી,રાધાજીને મળવા જાય છે. શ્રીકૃષ્ણ સાડી પહેરે –એટલે-માતાજી બને છે.

એકં સદ વિપ્ર બહુધા વદન્તિ (આ સ્વામી વિવેકાનંદ નું માનીતું-ખુબ ગમતું વાક્ય છે)
ઈશ્વરના સ્વરૂપો અનેક છે-પણ તત્વ એક જ છે.દિવાની પાસે જે રંગનો કાચ મુકો તેવો પ્રકાશ દેખાશે.
રુકિમણીની અનન્ય ભક્તિ છે. દેવીનું પૂજન કરે છે-પણ ત્યારેય શ્રીકૃષ્ણનું ધ્યાન કરે છે.

સર્વ દેવો નું પૂજન કરો-વંદન કરો-—પણ ધ્યાન એક જ ઈષ્ટદેવનું-પરમાત્માનું-ઈશ્વરનું કરો.
જે સ્વરૂપની રુચિ હોય (જે સ્વરૂપ ગમતું હોય) તેનું જ ધ્યાન કરવું.
ધ્યાન (એકાગ્રતા)-ધ્યાતા(ધ્યાન કરનાર)અને ધ્યેય(સત્ય-ઈશ્વર)- એ ત્રણેની –એકતા-થવી જોઈએ.
અને આ પ્રમાણે ની –એકતા-(ધ્યાન-ધ્યાતા-ધ્યેયની) થાય ત્યારે –પરમાનંદની પ્રાપ્તિ થાય છે.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE