Aug 19, 2019

ભાગવત રહસ્ય-૩૭

ચાંગદેવ પોતે પ્રાપ્ત કરેલ યોગ સિધ્ધીના બળે ૧૪૦૦ વર્ષ જીવ્યા હતા. મૃત્યુને ચૌદ વખત તેઓએ પાછું ઠેલ્યું હતું. તેઓ સિધ્ધિઓમાં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠા નો મોહ હતો.તેઓએ જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી. ચાંગદેવ જ્ઞાનેશ્વર –માટે મત્સર(ઈર્ષા) કરવા લાગ્યા.કે-આ બાળક શું મારાં કરતાં પણ વધ્યો ? જ્ઞાનેશ્વરની ઉંમર સોળ વર્ષની-તે વખતે - હતી.

ચાંગદેવને જ્ઞાનેશ્વરને પત્ર લખવાની ઈચ્છા થઇ.-પણ પત્રમાં સંબોધન શું લખવું ?
જ્ઞાનેશ્વર પોતાની ઉંમરમાં પોતાનાથી નાના-માત્ર સોળ વર્ષના –હતા-એટલે –પૂજ્ય તો કેમ લખાય ?
વળી આવા મહાજ્ઞાનીને ચિરંજીવી પણ કેમ લખાય ? આવી ભાંજગડમાં જ –તે પત્રની શરૂઆત પણ ના 
કરી શક્યા. તેથી તેમણે કોરો પત્ર જ્ઞાનેશ્વરને મોકલ્યો.

મુકતાબાઈએ (જ્ઞાનેશ્વરના બહેને) પત્રનો જવાબ લખ્યો. તમારી ૧૪૦૦ વર્ષની ઉંમર થઇ.-પરંતુ ૧૪૦૦ 
વર્ષે પણ તમે કોરા ને કોરા જ રહ્યાં.ચાંગદેવને હવે થયું. જ્ઞાનેશ્વરને હવે મળવું તો પડશે જ. પોતાની સિધ્ધિઓ બતાવવા તેમણે વાઘ ઉપર સવારી કરી અને સર્પની લગામ બનાવી. અને જ્ઞાનેશ્વરને મળવા ઉપડ્યા.
જ્ઞાનેશ્વરને કોઈએ કહ્યું કે-ચાંગદેવ વાઘ પર સવારી કરીને તમને મળવા આવે છે. જ્ઞાનેશ્વર ને થયું-
'આ ડોસા ને સિદ્ધિઓનું અભિમાન છે' તેમને બોધપાઠ આપવા જ્ઞાનેશ્વરે વિચાર્યું.

સંત મળવા આવે એટલે તેમનું સ્વાગત કરવા સામે તો જવું જોઈએ ને ?
તે વખતે જ્ઞાનદેવ ઓટલા ઉપર બેઠા હતા. તેમણે ઓટલાને ચાલવા કહ્યું. પથ્થરનો ઓટલો ચાલવા મંડ્યો.
ઓટલાને સામેથી ચાલતો આવતો જોઈ-ચાંગદેવનું અભિમાન પીગળી ગયું.
ચાંગદેવને થયું -મેં તો હિંસક પશુઓને વશ કર્યા છે,ત્યારે આ જ્ઞાનેશ્વરમાં તો એવી શક્તિ છે, કે તે –
જડ ને પણ ચેતન બનાવી શકે છે. તેઓ બંને નો મેળાપ થયો. ચાંગદેવ-જ્ઞાનેશ્વરના શિષ્ય બન્યા.

આ દ્રષ્ટાંત વિશેષમાં બતાવે છે-કે- હઠયોગથી મન ને વશ કરવા કરતાં-પ્રેમથી મનને વશ કરવું ઉત્તમ છે.
ચાંગદેવ હઠયોગી હતા,હઠથી-બળાત્કારથી તેમણે મનને વશ કરેલું.(અહીં હઠયોગ ની નિંદા નથી)
યોગ મનને એકાગ્ર કરી શકે છે, પણ મનને-હૃદયને વિશાળ કરી શકતું નથી-એટલે જ ચાંગદેવ –જ્ઞાનેશ્વરની
ઈર્ષા કરતાં હતા.હૃદયને વિશાળ કરે છે ભક્તિ. ભક્તિથી હૃદય પીગળે છે.-વિશાળ થાય છે.

મત્સર કરનારનો આ લોક અને પરલોક બંને બગડે છે. મનમાં મત્સરને રાખશો નહિ.
મનમાં રહેલા મત્સર ને કાઢશો તો મન મોહ નું સ્વરૂપ મનમાં ઠસી જશે.

જાણવું (જ્એઞાન) બહુ કઠણ નથી. જીવનમાં ઉતારવું એ કઠણ છે.
કથા કરનાર ઘણા છે-કથા સાંભળનારા પણ ઘણા છે. પરંતુ કથા સાંભળી જીવનમાં ઉતારનારા ઓછા છે.
કથા સાંભળો અને કથાના સિદ્ધાંતો જીવનમાં ઉતારો. જ્ઞાન જયારે ક્રિયાત્મક-બને છે-ત્યારે લાભ થાય છે.
કથા સાંભળ્યા પછી –પાપ ના છૂટે-કનૈયો(લાલો) વહાલો ના લાગે- તો આ કથા સાંભળી શું કામની ?

કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખો-તો-તે ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે.
જેવી ભાવના તમે બીજા માટે રાખશો –તેવી ભાવના તે તમારા માટે રાખશે.
બીજા સાથે વેર રાખનારો-પોતા સાથે વેર કરે છે. કારણ સર્વના હૃદયમાં ભગવાન રહેલા છે.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE