Sep 1, 2019

ભાગવત રહસ્ય-૫૦

નારદજી કહે છે –સતત હું વિચારતો-મારા શ્રીકૃષ્ણની ઝાંખી થાય તો કેવું સારું ? અને લાલાએ કૃપા કરી ખરી!! એક દિવસ ધ્યાનમાં મને સુંદર નીલો પ્રકાશ દેખાયો. પ્રકાશને નિહાળીને હું જપ કરતો હતો.ત્યાં જ –પ્રકાશમાંથી બાલકૃષ્ણ નુ સ્વરૂપ પ્રગટ થયું.મને બાલકૃષ્ણલાલના સ્વરૂપની ઝાંખી થઇ.

પીળું પીતાંબર પહેર્યું છે. કેડ પર કંદોરો છે. આંખમાં મેંશ આંજી છે.કાનમાં કુંડલ પહેર્યા છે.મસ્તક પર મોરપીંછ છે.મારા કૃષ્ણે કસ્તુરીનું તિલક કર્યું છે. વક્ષસ્થળમાં કૌસ્તુભમાળા ધારણ કરેલી છે. નાકમાં મોતી, હાથમાં વાંસળી છે.અને આંખો-પ્રેમથી ભરેલી છે.

મને જે આનંદ થયો તેનું વર્ણન કરવાની શક્તિ-સરસ્વતીમાં પણ નથી.હું દોડ્યો-કૃષ્ણ ચરણમાં વંદન કરવા-પણ-હું જ્યાં વંદન કરવા ગયો-ત્યાં લાલાજી –અંતર્ધ્યાન થયા.મને અચરબ અને ખેદ થયો કે –મારા લાલાજી મને છોડીને કેમ ચાલ્યા ગયા ? 

ત્યાં આકાશવાણીએ મને આજ્ઞા કરી-કે-“તારા મનમાં સૂક્ષ્મ વાસના હજુ રહેલી છે. જેના મનમાં સૂક્ષ્મ વાસના રહેલી છે-તેવા યોગીને હું દર્શન આપતો નથી. આ જન્મમાં તો તને મારા દર્શન થશે નહિ. આમ તો તારી ભક્તિથી હું પ્રસન્ન થયેલો છું-તારા પ્રેમને પુષ્ટ કરવા-તારી ભક્તિને દ્રઢ કરવા-મેં તને દર્શન આપ્યા છે. પણ તારે હજુ એક જનમ વધારે લેવો પડશે. તું આ જન્મ માં સાધના કર-બીજા જન્મ માં તને મારા દર્શન થશે.
સતત ભક્તિ કરજે-દ્રષ્ટિ અને મનને –સુધારી-સતત –વિચાર કે-હું તારી સાથે છું.. જીવનના છેલ્લા શ્વાસ સુધી જપ કરવાનો.”

ભજન વિનાનું ભોજન –એ પાપ છે. સત્કર્મની સમાપ્તિ હોય નહિ. જે દિવસે જીવનની સમાપ્તિ-તે દિવસે સત્કર્મની સમાપ્તિ.જપની પૂર્ણાહુતિ ના હોય.મને એક ભાઈ મળેલા-મને કહે-મારા સવા લક્ષ જપ પુરા થયા છે-મારે હવે પૂર્ણાહુતિ કરવી છે.મને વિધિ બતાવો.મેં કહ્યું કે-દાળભાતની પૂર્ણાહુતિ કરીને આવજે પછી તને પૂર્ણાહુતિની વિધિ કહીશ.અરે..ભોજનની પૂર્ણાહુતિ નહિ તો ભજન ની પૂર્ણાહુતિ કેમ થાય ?

નારદજી કહે છે કે-“પછી હું ગંગા કિનારે રહ્યો.મરતા પહેલાં –મને અનુભવ થવા લાગ્યો. આ શરીરથી હું જુદો છું.જડ ચેતનની ગ્રંથી છૂટી ગઈ.” 

જડ અને ચેતનની-શરીર અને આત્માની જે ગાંઠ પડી છે-તે ગાંઠ-ભક્તિ વગર છૂટતી નથી.
જડ શરીરથી ચેતન આત્મા જુદો છે-એ સર્વ જાણે છે-પણ અનુભવે કોણ ? જ્ઞાનનો અનુભવ ભક્તિથી થાય છે.
તુકારામ મહારાજે કહ્યું છે કે-મેં મારી આંખે મારું મરણ જોયું.મારા આત્મ સ્વરૂપને નિહાળ્યું.
મન ઈશ્વરમાં હોય-અને ઈશ્વર સ્મરણ કરતાં શરીર છૂટી જાય-તો મુક્તિ મળે છે.

મન ને ઈશ્વરનું સ્મરણ સતત કરાવવા-જપ-વગર અન્ય કોઈ સાધન નથી.
જીભથી જપ કરો-ત્યારે મનથી સ્મરણ કરવું જોઈએ.આખું જીવન જેની પાછળ ગયું હશે તે જ અંતકાળે યાદ આવશે. અંત કાળે મોટે ભાગે જીવ-હાય હાય કરતો જાય છે.“અંતકાળ સુધી મારો જપ ચાલુ હતો. અંતકાળ માં રાધા-કૃષ્ણનું ચિંતન કરતાં-મેં શરીરનો ત્યાગ કર્યો. મારું મૃત્યુ મેં પ્રત્યક્ષ જોયું. મને-મૃત્યુનું જરા પણ કષ્ટ થયું નહિ “

માખણમાંથી વાળ કાઢતા બિલકુલ ત્રાસ થતો નથી. સંતોને શરીર છોડતા બિલકુલ દુઃખ થતું નથી.
પણ સુકાયેલા માટીના ગોળામાં વાળ ફસાયેલો હોય-તો તેને કાઢતાં –જેવી દુર્દશા થાય- તેવી –દુર્દશા –સંસારી જીવ જયારે શરીર છોડે ત્યારે થાય છે. યમરાજા –તેને ત્રાસ આપતા નથી-ઘરની મમતા તેને ત્રાસ આપે છે.શરીર છોડવું તેને ગમતું નથી.

“તે પછી હું બ્રહ્માજીને ત્યાં જન્મ્યો. પૂર્વ જન્મના કર્મોનું ફળ-આ જન્મમાં મને મળ્યું. મારું નામ નારદ રાખવામાં આવ્યું.પૂર્વ જન્મ માં કરેલા ભજનથી મારું મન સ્થિર થયું છે. પૂર્વ જન્મમાં મારે મન સાથે બહુ ઝગડો કરવો પડ્યો હતો.મનને સમજાવું પણ તે માને નહિ.
ભક્તિ કરવી પણ સહેલી નથી.મનને વિષયો માંથી હટાવીને-તેને પ્રભુમાં લગાડવાનું હોય છે.

હવે મનને સમજાવવાની જરૂર પડતી નથી. હવે મારું મન સંસાર તરફ જતું નથી. હવે તો આંખ બંધ કરું છું ત્યાં- અનાયાસે શ્રીકૃષ્ણના દર્શન થાય છે. હવે હું સતત પરમાત્માના દર્શન કરું છું.
એકવાર ફરતો ફરતો –હું ગોલોકધામમાં ગયો.ત્યાં રાધા-કૃષ્ણના દર્શન થયા. હું કિર્તનમાં તન્મય હતો.
પ્રસન્ન થઈને રાધાજીએ મારા માટે-પ્રભુને ભલામણ કરી-કે –નારદને પ્રસાદ આપો. “

વ્યાસજી એ પૂછ્યું-ભગવાને તમને પ્રસાદમાં શું આપ્યું ?
નારદજી કહે છે કે-શ્રી કૃષ્ણે મને પ્રસાદમાં –આ તંબુરો(વીણા) આપ્યો.
અને મને કહ્યું-“કૃષ્ણ કિર્તન કરતો કરતો જગતમાં ભ્રમણ કરજે-અને મારાથી વિખુટા પડેલા અધિકારી જીવનેમારી પાસે લાવજે. સંસાર પ્રવાહમાં તણાતા જીવોને મારી તરફ લઇ આવજે.”

      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
   INDEX PAGE