Nov 6, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૯

અત્રિ-ઋષિએ કરેલી રામજીની સ્તુતિ અતિ સુંદર છે.
અત્રિ-ઋષિના પત્ની અનસૂયા મહાન તપસ્વીની હતાં.તેમની તપસ્યા અદભૂત હતી.
એકવાર જયારે દેશમાં દશ વર્ષ સુધી લાગલગાટ,દુકાળ પડેલો,ત્યારે નદી-નાળાં સુકાઈ ગયા,
અનાજનો દાણો તો શું,ક્યાંય લીલું પાંદડું પણ જોવા મળતું નહોતું,મનુષ્યો અને પશુ-પંખીના દુઃખનો પાર નહોતો,જીવોને જીવવાનું મુશ્કેલ બની ગયું.

ઋષિ-મુનિઓ સર્વ ભેગા થયા,ને શું કરવું તેનો વિચાર કરવા લાગ્યા.
બધા એવા નિર્ણય પર આવતા હતા કે,આ ભૂમિ પર પ્રભુની કૃપા નથી,આ ભૂમિ અભિશપ્ત છે,માટે આ ભૂમિનો ત્યાગ કરીને ચાલ્યા જવું,એવે વખતે સતી અનસૂયા ત્યાં આવ્યાં.અને ઋષિઓની વાતો સાંભળી તે ચૂપ રહી શક્યા નહિ, અને તેમણે ઋષિ-મુનિઓ ને સીધો જ પ્રશ્ન કર્યો કે-તમારા જેવા ઋષિ-મુનિઓ અહીં રહે છે તો 
આ ભૂમિ હજી અભિશપ્ત કેવી રીતે રહી?પ્રભુની કૃપા આ જમીન પર કેમ નથી થઇ?દુનિયામાં કોઈ સ્થળે નથી 
એટલા તપસ્વીઓ અને ઋષિ-મુનિઓ જો આ ભૂમિ પર તપ કરે છે,યજ્ઞ-યાગ કરે છે,છતાં આમ કેમ?
સર્વનું તપ હજુ ઓછું છે? કે પછી સર્વ ના તપમાં કંઈ ખામી છે?

આ શબ્દો સાંભળી આખી સભા થરથરી ઉઠી.ત્યારે અનસૂયા આગળ કહે છે કે-હે મુનિવરો,હું કોઈનો યે દોષ કાઢવા માગતી નથી,હું પોતાના સિવાય કોઈનાયે દોષ જોતી નથી,પણ હું માત્ર એટલું જ કહેવા આવી છું કે-
આજે જીવ-માત્ર પર દૈવનો ભયાનક કોપ વરસી રહ્યો છે,એ કોપમાંથી તેમને બચાવવા એ આપણો ધર્મ છે,
એટલે હું આ સ્થાન છોડીને ક્યાં જવાની નથી,એ મારો નિશ્ચય છે.
વધુ,આકરું તપ,એ જ શબ્દ આજે મને સર્વ શક્તિમાન લાગે છે.

અનસૂયાના પતિ પણ સભામાં હાજર હતા,તેમણે પણ કહ્યું કે-અનસૂયાના વચન પર મને વિશ્વાસ છે,આ 
સંકટનો એક જ ઉપાય છે, “તપ” હવે બધા જ ઋષિઓ એક સાથે બોલી ઉઠયા કે-તપસ્વીને તપમાં ડર કેવો?
અને બધા જ તપમાં લાગી ગયા.અનસૂયાએ પણ ઉગ્ર તપશ્ચર્યા કરી,અને ભાગીરથીને પ્રાર્થના કરી.
છેવટે મા એ કૃપા કરી અને મા ભાગીરથી ત્યાં પ્રગટ થયા.ખળખળ કરતો મંદાકિનીનો પ્રવાહ વહેવા માંડ્યો.ખોબામાં જળ લઇ,અનસૂયા એ ભગવાન સૂર્યનારાયણને અંજલિ આપી અને 
ભગવાન શંકર નો જળાભિષેક કર્યો છે.સર્વ જીવોમાં પરમાનંદ થયો છે.

ઋષિઓ અને અનસૂયાની જીવન દૃષ્ટિનો મોટો તફાવત એ છે કે-ઋષિમુનિઓ બીજાનો દોષ જુએ છે જયારે અનસૂયા પોતાનો દોષ જુએ છે.એમનામાં ઈર્ષા કે અસૂયા નથી એટલે જ તે અનસૂયા છે.અને એટલે જ તે તપમાં સિદ્ધિ મેળવે છે.અસૂયા ના હોવી એ જ મોટી તપસ્યા છે.અસૂયાવાળો જીવ ઈશ્વરની નજીક જઈ શકતો નથી,ભક્તિ કે તપસ્યા કરી શકતો નથી.જેનામાં દોષ-દૃષ્ટિ નથી,તે જ પ્રભુને નિહાળી શકે છે.
દોષ-દૃષ્ટિ વાળો બીજાઓના છિદ્રો-દોષો શોધવામાં પડે છે અને એમ કરીને પોતાની બુદ્ધિ ભ્રષ્ટ કરી મૂકે છે.
જે બીજાના દોષોનું ચિંતન કરે છે,તેને પ્રભુનું ચિંતન કરવાની રુચિ થતી નથી.

અસૂયાવાળી બુદ્ધિથી પ્રભુ દૂર રહે છે,પણ અનસૂયાવાળી બુદ્ધિના બારણાં આગળ આવીને ભગવાન જાતે 
દર્શન આપે છે,ભગવાન તેને ત્યાં અતિથી થઈને આવે છે.શ્રીરામ વગર આમંત્રણે,માર્ગ પૂછતા અત્રિના આશ્રમમાં આવ્યા છે,અત્રિ અનસૂયાના પતિ છે.અત્રિ-એટલે ત્રણે ગુણો (રાજસિક-સાત્વિક-તમસ) થી પર છે તે.
ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે-હે અર્જુન તુ ત્રણે ગુણોથી પર થા.
માનવ જો ત્રણે ગુણોથી પર થાય તો-જીવ અને શિવનું ઐક્ય થાય છે.

જીવ જયારે શિવને મળવા આતુર થાય,એના વિના તરફડે,એની દશે ઇન્દ્રિયો,મન,બુદ્ધિ અને અહંકાર –
એ બધું જ ઈશ્વરમાં સમર્પિત કરી નાખે- ત્યારે પ્રભુ તેને મળવા દોડે છે.
પ્રભુને પાર્થિવ શરીરથી મળવું શક્ય નથી. આ શરીર તો મલિનતાનો ભંડાર છે,નવ છિદ્રોવાળું આ શરીર
કદાચ બહારથી કોઈને રૂપાળું લાગે પણ જેનામાં જોવાની દૃષ્ટિ છે તેને તો એ ચીતરી ચડે એવું લાગે છે.
મળ,મૂત્ર,કફ,લીંટ,માંસ,રુધિર –એ બધા પદાર્થો જોઈ તેના તરફ માત્ર ધૃણા જ થાય છે.
પણ જીવ જયારે શરીરથી “પર” થાય ત્યારે પરમાત્માની તેના પર કૃપા થાય છે.

શરીરથી પર થવા માટે ત્રણે ગુણોથી પર થવાનું. અત્રિ થવાનું.
સાત્વિકતાથી પણ ઉંચે ઉઠવાનું,સાત્વિકતાથી પણ “પર” થવાનું.
સાત્વિકતા,સત્વગુણ પણ મનુષ્યને બાધક બને છે અને બંધનમાં નાખે છે.
ત્રણે ગુણોને ઓળંગીને મનનો સંબંધ પરમાત્મા જોડે કરવાનો છે.મનુષ્ય ત્રણે ગુણોથી “પર” બને,
ત્યારે જ બ્રહ્મ-સંબંધ થાય છે,બ્રહ્મ-સંબંધ એ મનની ક્રિયા છે,શરીરની ક્રિયા નથી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE