Jun 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-200

 
અધ્યાય-૨૨૩-અગ્નિનો પરાભવ 

II वैशंपायन उवाच II सोSब्रवीदर्जुनं चैव वासुदेवं च सात्वतम I लोकप्रवीरौ विष्ठंतौ खाण्डवस्य समीपतः II १ II

વૈશંપાયન બોલ્યા-ત્યારે તે બ્રાહ્મણે,અર્જુન અને સાત્વત(યદુ) વંશી શ્રીકૃષ્ણને કે જેઓ સર્વલોકમાં શ્રેષ્ઠ એવા 

વીરો હતા,ને જેઓ (તે વખતે) ખાંડવ વનની સમીપમાં આવીને રહયા હતા,તેમને કહ્યું કે-

'હું બહુ ખાનારો બ્રાહ્મણ છું ને મારે અપરિમિત ભોજન જોઈએ છે.હું તમારા બંને પાસે ભિક્ષા માંગુ છું,

તો તમે મને એક વાર તૃપ્તિ થાય તેટલું અન્ન આપો' ત્યારે શ્રીકૃષ્ણ અને અર્જુને કહ્યું કે-'તમે કહો કે તમે કયા 

અન્નથી સંતોષ પામશો? તો અમે તે અન્ન માટે પ્રયત્ન કરીએ' ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો કે-(1-4)

'તમે મને 'અગ્નિ' તરીકે જ જાણો,હું સાધારણ અન્ન જમતો નથી,માટે મારા માટે જે અન્ન યોગ્ય થાય એમ છે 

તે મને આપો.આ ખાંડવવનનું,ઇન્દ્ર સદા રક્ષણ કરે છે,એટલે તેનાથી રક્ષાયેલા આ વનને હું બાળી શકતો નથી.

આ વનમાં તેનો મિત્ર તક્ષક નાગ પોતાના પરિવાર તથા મિત્રો સાથે રહે છે અને તેથી ઇન્દ્ર આ વનનું રક્ષણ કર્યા કરે છે.કે જેને લીધે હું આ વનને બાળવા ઈચ્છું છું છતાં તેને બાળી શકતો નથી.વનમાં હું પ્રજ્વલિત થાઉં કે તરત જ ઇન્દ્ર મેઘની જળધારાઓ વરસાવે છે.એટલે તમારા જેવા બે અસ્ત્રવિશારદ પાસે હું આવ્યો છું,તમારા બંનેની સહાયતાથી જ હું આ ખાંડવવનને બાળી શકીશ અને તે જ મારુ ઇચ્છિત અન્ન છે.તમે બંને,એ જળધારાઓને અને ત્યાંથી નાસી છૂટતાં પ્રાણીઓને ચારે બાજુથી સારી રીતે રોકશો તો જ મને સંતોષ થશે (5-11)


જન્મેજય બોલ્યા-'ઇન્દ્ર (મહેન્દ્ર) થી રક્ષતા અને વિવિધ પ્રાણીઓથી ભરેલા તે ખાંડવવનને,અગ્નિ શા માટે બાળવા ઇચ્છતા હતા? અત્યંત ક્રોધમાં આવી તા ખાંડવવનને બાળવા પાછળ કોઈ સામાન્ય કારણ હોય તેમ મને લાગતું નથી,માટે મને આ વાત યથાવત,તત્ત્વપૂર્વક ને વિસ્તારથી કહો. (12-14)


વૈશંપાયન બોલ્યા-હે રાજન,એવી એક  પુરાણશ્રુતિ છે કે-પૂર્વે ઇન્દ્ર સમાન,શ્વેતકિ નામે એક રાજા હતો,

રોજરોજ વિવિધ યજ્ઞો,ક્રિયાઓ,સમારંભો અને દાનો સિવાય બીજા કશામાં તેની બુદ્ધિ પ્રવૃત્તિ થતી નહોતી.

તે રાજા ઋત્વિજોને સદા સાથે રાખીને યજ્ઞો કર્યા કરતો હતો,જેથી લાંબા કાલે,એના ઋત્વિજોની આંખો 

ધુમાડાથી વ્યાપ્ત થઇ ગઈ,એટલે થાકીને ને ખેદ પામીને તે ઋત્વિજોએ તે રાજાને છોડી દીધો.

પછી,ફરીથી તે રાજાએ તે ઋત્વિજોને યજ્ઞ માટે ફરી પ્રેરણા કરી,પણ આંખો ખરાબ થઇ હોવાથી તે ઋત્વિજો આવ્યા નહિ ત્યારે તેમની અનુમતિ લઈને રાજાએ બીજા વિપ્રોને ઋત્વિજો કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરી.


ત્યાર બાદ કેટલાક સમયે તે રાજાને સો વર્ષનો યજ્ઞ કરવાની ઈચ્છા થઇ,ને ત્યારે તે યજ્ઞ કરાવવા કોઈ જ ઋત્વિજો તેની પાસે આવ્યા નહિ.ત્યારે રાજાએ,વિનવણીથી દાનથી અને રોષથી ફરીફરી પ્રયત્ન કર્યો.પણ તે ઋત્વિજો 

યજ્ઞકાર્ય કરાવવા આવ્યા નહિ અને તેઓ રાજાને કહેવા લાગ્યા કે-'તમારાં યજ્ઞકર્મો સતત કરાવીને અમે શ્રમને લીધે અમે થાકી ગયા છીએ,એટલે તમે અમને મુક્ત કરો એ જ યોગ્ય છે.તમે રુદ્ર પાસે જાઓ,તે તમને યજ્ઞ કરાવશે'


પછી,તે શ્વેતકિ રાજા કૈલાસ પર્વત પર જઈને ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યો.ત્યારે ભગવાન શંકરે પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું.ત્યારે રાજાએ કહ્યું કે-'તમે પોતે મારો યજ્ઞ કરાવો' ત્યારે શંકર બોલ્યા-]હે રાજન,યજ્ઞ કરાવવો એ અમારો અધિકાર નથી,છતાં એક શરતે હું તારો યજ્ઞ કરાવીશ,જો તું બાર વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતમાં રહી,સ્વસ્થ ચિત્તે,અગ્નિને સતત ધૃતની ધારાથી તૃપ્ત કરશે,તો જે જે કામના કરે છે મારા તરફથી તને મળશે'


ત્યારે,રાજાએ તે પ્રમાણે બાર વર્ષ તપ કર્યું,એટલે ભગવાન શંકર ફરીથી ત્યાં આવ્યા અને તેને કહ્યું કે-'હે રાજન,તારા તપ અને કર્મથી હું પ્રસન્ન થયો છું,પણ યજ્ઞ કરાવવો એ બ્રહ્મનું કાર્ય છે,એટલે હું પોતે તને યજ્ઞ કરાવી શકીશ નહિ,પણ આ પૃથ્વી પર મારા જ અંશ રૂપી દ્વિજવર કે જેમનું નામ દુર્વાસા છે તે મારી આજ્ઞાંથી તારો યજ્ઞ કરાવશે,માટે હવે તું સર્વ યજ્ઞ સામગ્રી એકથી કરવા લાગ' એટલે પછી,રાજાએ સર્વ સામગ્રીઓ એકઠી કરી,

ને ફરી રુદ્ર પાસે પહોંચીને કહ્યું કે-'હે મહાદેવ,સર્વ સામગ્રીઓ એકથી થઇ ગઈ છે,હવે આપની કૃપાથી મને યગ્નદીક્ષા મળો' ત્યારે,શંકરે,દુર્વાસા ઋષિને બોલાવી ને યજ્ઞ કરવાની આજ્ઞા કરી.(15-55)


પછી,તે મહાત્માનો યજ્ઞસત્ર આરંભાયો.ને તે યજ્ઞ પૂરો થયે,દુર્વાસાની આજ્ઞા લઈને પોતાની રાજધાનીમાં ગયો.

કે જ્યાં સર્વે તેનો સત્કાર કારણે અભિનંદન આપ્યાં.ને લંબે ગાળે,સદવર્તન વાળો નૃપ શ્રેષ્ઠ,સ્વર્ગે ગયો.

અગ્નિ,તે રાજાના બાર વર્ષના તપ દરમિયાન,સતત ઘી ની ધારાઓને લીધે,પરિતૃપ્ત થયો હતો,એટલે તેથી તેણે બીજા કોઈનું પણ હવિષ લેવાની ફરી ઈચ્છા રાખી નહિ,તેથી તે ધીરે ધીરે કાંતિહીન થઇ ગયો ને હવે તે પહેલાંની જેમ પ્રકાશતો નહોતો.ઉંટલે તે બ્રહ્મા પાસે ગયો ને કહેવા લાગ્યો કે-'હે બ્રહ્મન,શ્વેતકિ રાજાએ મને પરમતૃપ્ત કરી પ્રસન્ન કર્યો છે,પણ મને હવે જે અરુચિ થઇ છે તે હું કાઢી શકતો નથી તેથી મારાં તેજ અને બળ હણાઈ ગયાં છે,

તમારી કૃપાથી મને મારી પહેલાની સ્થિર પ્રકૃતિ મળે તેમ હું ઈચ્છું છું.'


બ્રહ્મા બોલ્યા'હે અગ્નિ,પૂર્વે,દેવોના શત્રુઓના નિવાસસ્થાન જેવા ભયંકર ખાંડવવનને તેં દેવોની આજ્ઞાથી 

ખાખ કરી દીધું હતું,પણ ત્યાં હવે સર્વ પ્રકારનાં પ્રાણીઓ નિવાસ કરે છે,તેમની ચરબીથી તૃપ્ત થઈને તું તારી 

મૂળ પ્રકૃતિને પામશે.માટે તું તત્કાલ તે ખાંડવવનને બાળવા જા,એથી તારી ગ્લાનિ મટી જશે.'

બ્રહ્માના આવા વચન સાંભળીને,તે અગ્નિ દોડીને ખાંડવવન પહોંચ્યો ને તેને બાળવા માંડ્યું.ત્યારે ત્યાંના નિવાસીઓએ અગ્નિને શાંત કરવાનો પ્રયત્ન કર્યો.હાથીઓએ પોતાની સૂંઢોમાં,પાણી લાવી તે અગ્નિ પર છોડ્યું.

એવી જ રીતે બીજાં પ્રાણીઓએ પણ વિવિધ ઉપાયોથી અગ્નિનો અંત લાવવા પ્રયત્ન કર્યો.

આ પ્રકારે તે અગ્નિ (હુતાશન)સાત વખત ખાંડવવનમાં સળગ્યો,ને તે સાતે ય વાર ત્યાંના પ્રાણીઓએ 

પ્રયત્ન કરીને તેને શાંત કર્યો,જેથી તે અગ્નિ ઘણો નિરાશ થયો  (15-83)

અધ્યાય-223-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE