Feb 14, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1046

 

અધ્યાય-૪૦-દુઃશાસન મૂર્છામાં 


II संजय उवाच II शरविक्षतगात्रस्तु प्रत्यमित्रभवस्थितम् I अभिमन्युः स्मयघ्निमान दुःशासनमथाब्रवीत II १ II

સંજય બોલ્યો-બાણોથી ઘવાયેલાં અંગોવાળા અભિમન્યુએ પોતાની સામે આવી ઉભેલા શત્રુ દુઃશાસનને હસતાં હસતાં કહ્યું કે-'આજના યુદ્ધમાં અભિમાની,ક્રૂર,ધર્મનો ત્યાગ કરનાર તથા હંમેશાં નિંદા કરવામાં તત્પર એવા તને હું મારી સામે આવેલો જોઉં છું તે બહુ સારું થયું.તેં પૂર્વે સભામાં રાજા ધૃતરાષ્ટ્રને કઠોર વાક્યોથી કોપાવ્યા છે.શકુનિના કપટદ્યુતનો આશ્રય લઈને,પોતાના વિજયથી ઉન્મત્ત થઈને તેં ભીમસેન અને મારા પિતાઓને પણ કોપાવ્યા છે.તેનું ફળ આજે તને મારા હાથે મરીને મળવાનું છે.


પારકાના દ્રવ્ય હરી લેવાનું,ક્રોધનું,અશાંતિનું,લોભનું,અજ્ઞાનનું,દ્રોહનું,અત્યાચારનું ને મારા પિતાઓના રાજ્યને છીનવી લેવાનું,ફળ તને,આજે મારા હાથે મૃત્યુ પામીને,મળશે.આજે હું આ સર્વ સૈન્યના દેખતાં મારાં બાણોથી તને શિક્ષા કરીશ અને તે રીતે મારા પિતાઓના કોપના ઋણમાંથી તું મુક્ત થઈશ.આજે તારા પર ક્રોધાયમાન થયેલી કૃષ્ણાના,મારા પિતાની ઈચ્છાના અને ભીમસેનના ઋણમાંથી હું આ યુદ્ધમાં તને મારી,મુક્ત થઈશ.આજે જો તું યુદ્ધ છોડી નહિ જાય તો અવશ્ય મરીશ જ.'


આમ કહી તે મહાબાહુ અભિમન્યુએ કાળ,અગ્નિ ને વાયુ સમાન તેજસ્વી બાણ ધનુષ્યમાં સાંધ્યુ,તે બાણે છૂટતાંની સાથે જ દુઃશાસનને હાંસડીના ભાગમાં અત્યંત ઘાયલ કર્યો.વળી,તુરત તેણે બીજાં પચીસ બાણોનો પ્રહાર કર્યો.કે જેથી દુઃશાસન અત્યંત વીંધાઈ ગયો અને વ્યથિત થવાથી રથની બેસની પર બેસી ગયો.બેભાન થયેલા એ દુઃશાસનને તેના સારથિએ સત્વર રણમાંથી દૂર કર્યો.તે જોઈને પાંડવો,દ્રૌપદીના પુત્રો,વિરાટરાજ,પંચાલો અને કેકયો સિંહનાદો કરવા લાગ્યા.અને આનંદમાં આવીને દ્રોણના સૈન્યનો નાશ કરવા તે સર્વ ત્વરાથી આગળ ધસ્યા.પરસ્પર તુમુલ યુદ્ધ થઇ રહ્યું.


ત્યારે દુર્યોધને કર્ણને,અભિમન્યુ સામે યુદ્ધ કરવાની સૂચના આપી.કે જેથી કર્ણે આગળ ધસીને અભિમન્યુ અને તેના અનુચરો પર બાણોનો વરસાદ કરીને તેમને તીક્ષ્ણ બાણોથી વીંધવા લાગ્યો.ત્યારે અભિમન્યુએ તોંતેર બાણોથી કર્ણને વીંધી નાખ્યો.સામે સર્વ ધનુર્ધરોમાં મુખ્યતાનું અભિમાન ધરાવનારો કર્ણ પોતાનાં ઉત્તમ અસ્ત્રોનો પ્રયોગ કરીને અભિમન્યુને પીડવા લાગ્યો.તે છતાં અભિમન્યુ જરા પણ વ્યાકુળ થયા વિના,ભલ્લ જાતિનાં અનેક બાણો છોડીને કર્ણનાં છત્ર,ધજા અને સારથિને વીંધી નાખ્યાં ને તેને એકદમ ગભરાવી મુક્યો.ને છેવટે એક જ બાણ વડે તેણે કર્ણના ધનુષ્યને કાપી નાખ્યું.કર્ણને સંકટમાં આવી પડેલો જોઈને તેનો નાનો ભાઈ પોતાનું ધનુષ્ય ઊંચું કરીને અભિમન્યુ પર ચડી આવ્યો.(37)

અધ્યાય-40-સમાપ્ત