Showing posts with label સંતો. Show all posts
Showing posts with label સંતો. Show all posts

Apr 30, 2012

શ્રીધર સ્વામી નું ચરિત્ર




સંશોધકો ના નિર્ણય મુજબ -શ્રીધર સ્વામી બોપદેવ –ઈ.સ.૧૦૦૦ થી ૧૧૦૦ સુધીમાં થઇ ગયેલા છે.
તેમનો જન્મ દક્ષિણ હિન્દુસ્તાન માં થયો હતો એમ કહેવાય છે. તેઓ એક ઉત્તમ પંડિત હતા.
તેમની વિદ્વતા જોઈ રાજાએ તેમણે આશ્રય આપ્યો હતો. એટલે સંસાર ના જીવન નિર્વાહ  ની ચિંતા નહોતી.
પણ તેમના ચિત્ત ને શાંતિ નહોતી. તેમનું મન ઈશ્વર તરફ લાગેલું હતું. તેમના મન માં ઈશ્વર પ્રાપ્તિ માટે
તીવ્ર ઈચ્છા પેદા થઇ હતી.

તેઓ પરણેલા હતા અને એક પુત્ર પણ હતો. પત્ની પ્રેમાળ અને પતિ પરાયણા હતી.
સંસાર ના ઐહિક સુખો પ્રત્યે ઉદાસી અને ઈશ્વર પ્રાપ્તિ ની આકાંક્ષા અને વૃત્તિ હોવા છતાં –
પત્ની અને બાળક ના ભરણપોષણ ની ચિંતા થી સન્યાસ લેવા માટે તેમનું મન રોકાતું હતું.

આ સમયે તેઓ ગીતાના ૧૩ માં અધ્યાય માં દર્શાવ્યા મુજબ-સંસારના દુઃખ અને દોષોનું નિરીક્ષણ
કરવાની ટેવ તેમણે પાડી હતી.
દૈવ યોગે તેમની પત્ની નું અકસ્માત મૃત્યુ થયેલું. ને નાના બાળકની જવાબદારી તેમના માથે આવી.
બાળ ઉછેર ની કઠિન જવાબદારી વચ્ચે તેઓ ગીતા,ભાગવત અને વિષ્ણુપુરાણ ના અધ્યયન માં નિમગ્ન રહેતા.

ઈશ્વર પ્રાપ્તિ ની અહર્નિશ આકાંક્ષા ને લીધે –સંસાર અને ગૃહસ્થાશ્રમ માં મન ચોંટતું નહોતું. અને સાથે-સાથે
“ઘર છોડીને ચાલ્યો જઈશ બાળક નું શું થશે ?રાજ્યાશ્રય છોડી દઈશ નો નિર્વાહ કેમ  થશે.? “
આવા વિચારો પણ આવતા રહેતા હતા. અને તેથી સંસાર ત્યાગ ના વિચારો માં થી પાછા હટતા હતા.

એક વખતે નદી કિનારે ગીતા નો પાઠ કરતાં -નવમાં અધ્યાયના બાવીસ માં શ્લોક-વાંચતા તે અટકયા.
“ મારા જે ભક્તો અનન્ય ભાવથી મારું ચિંતન કરી મને ઉપાસે છે,તેઓનો નિત્ય નો યોગ ક્ષેમ (જીવન નિર્વાહ),
હું જાતે વહન કરું છું.”

આ શ્લોક ના અર્થ વિષે વિચારતાં સ્વામીજી વિચારતાં હતા કે—શું હું અનન્ય ભક્ત નથી ?મને યોગક્ષેમ ની આટલી
ચિંતા શા માટે થાય છે ? ભગવાન તો કહે છે કે-મારા ભક્તોનો યોગક્ષેમ હું જાતે જ વહન કરું છું.
આ શ્લોક નું તાત્પર્ય તેમને સમજાતું નહોતું,કદાચ આ શ્લોક -ભક્તિ કરવા,પ્રેરવાને માટેજ લખાયેલો હશે!!કે કેમ ?
એવી શંકા તેમના મન માં થઇ.
આમ  મન નું કોઈ સમાધાન ના થતાં,પોથી બાંધી નદીએ થી ઘેર આવ્યા.

વળી પાછા એક દિવસ પોતાનો પુત્ર કોઈને સોંપી તથા તેના વિદ્યાભાસની અને રક્ષણની કંઈ ગોઠવણ કરી,વનમાં ચાલ્યા
જવાનો વિચાર કરતાં હતા અને ગીતાના ઉપલા શ્લોક નો વિચાર કરતાં મકાન ના ઓટલા પર બેઠા હતા, તેવામાં
એક કૌતુક તેમની નજરે પડ્યું. તેના નિરીક્ષણ માં તે મશગુલ થયા.

તેમનાથી થોડેક જ દૂર, છાપરા પરથી ગરોળીનું એક ઈંડું નીચે પડ્યું અને ફૂટી ગયું. તે ફૂટેલા ઇંડામાંથી થોડા
પ્રવાહી પદાર્થ માં એક નાનું સરખું ગરોળીનું બચ્ચું હાલતું,ચાલતું જણાયું. શ્રીધર સ્વામી ત્યાંથી ઉઠીને તેની
નજીક કુતુહુલ પૂર્ણ મનથી તે તરતના જન્મેલા બચ્ચાની હિલચાલ નિહાળવા માંડ્યા. બચ્ચું પોતાનું મોઢું એકસરખું
ઉઘાડ બંધ કર્યા કરતુ હતું,તે જોઈ સ્વામીએ એવું અનુમાન કર્યું અને તેમણે એવું લાગ્યું કે,-આ તરત વહેલા જન્મેલા
બચ્ચાને ઇંડામાંથી બહાર નીકળવાની શક્તિ હજુ આવી નથી –તો પછી એને ખાવાનું ક્યાંથી મળશે ? અને ખાવાનું
નહિ મળે તો પછી થોડીવારમાં ભૂખે થી મરી જશે.જો હું અન્ન ના દાન આપીશ તો તે કાચું ખાઈ પણ કેમ શકશે ?
હવે શ્રીકૃષ્ણ તેની શી વ્યવસ્થા કરે છે –તે તો જોઉં ?!!!

આવા વિચારો કરતાં તે –એકાગ્ર દ્રષ્ટિ થી –એ તરત જન્મેલા જીવ તરફ જોતા બેઠા હતા. એટલામાં  એક ચમત્કાર
થયો.એક માખી ગણગણતી તે ઈંડાના પાતળા પ્રવાહી તરફ આવી અને તે રસ પીવા બેઠી,પણ રસ માં તેની પાંખો ચોંટી
ગઈ એટલે તડફડવા છતાં તે ઉડી શકી નહિ. એટલે તે ગરોળીના બચ્ચા એ આપોઆપ ચાલી આવેલો કે જાણે ઈશ્વરે
મોકલેલો ભક્ષ્ય પદાર્થ (માખી) હડપ કર્યો,તેણે પોષણ મળ્યું,તે ટટ્ટાર થયું અને સુર્ય કિરણોમાં વધારે હાલવા-ચાલવા
લાગ્યું.અને ધીરે ધીરે ચાલતાં-ચાલતાં થાંભલાની કોર માં ભરાયું અને સાંજ પડતા છાપરાના ખૂણામાં લપાયું.

આ બનાવ જોઈ શ્રીધર સ્વામી ના હૃદય માં એકદમ પ્રકાશ થયો, અને ભગવાન ની ચિંતાને માટે –ધન્ય ધન્યતા ના
ઉદગારો નીકળી પડ્યા.
તે વિચારવા લાગ્યા કે-
પ્રભુને જીવાડવા હશે તો અન્ય શું કરી શકનાર છે ? આ ગરોળીનું બચ્ચું માબાપ વિનાનું હતું,પણ તેનું રક્ષણ કરવા માટે
કૃષ્ણ જો અચાનક મદદ મોકલે છે તો પછી –મારા પુત્ર નું શું થશે ?તેની સતત ચિંતા મારે રાખવી શું ડહાપણ ભરેલી છે ?
હું આટલો મોટો પંડિત કહેવાઉં,ઈશ્વરના જ્ઞાન સંબધી,આટલો મોટો ઘમંડ રાખું, પરંતુ નારાયણ ને ઓળખાતો જ નથી!!
એવી ખરેખર સ્થિતિ શું મારી નથી ??
પરમેશ્વરનો મહિમા હું ગાઉં છું,પણ તેના કર્તૃત્વ ની ઓળખાણ હૃદય –મન સાથે નહિ કરતાં –
મારા પોતાના કર્તૃત્વ ની કિંમત વધારે આંકુ છું, એથી શું પરમેશ્વર પર મારો વિશ્વાસ નથી, એવું નથી જણાતું ?

મારા બાળકની સંભાળ રાખવાનો બોજો મારા માથા પર છે તેવું મને લાગ્યા કરે છે,પણ અનાથ ના નાથ,દીનબંધુ,પરમેશ્વરને
મારા કરતાં શું વધુ ચિંતા નથી ?
બાળક માટે જે પરમાત્મા માતાના સ્તન માં દુધની ગોઠવણ પ્રથમથી જ કરી રાખે છે, તે પરમાત્મા ના શરણે જો હું
સર્વ ભાવે જાઉં તો તે મારા અનાથ બાળક નું સંરક્ષણ કરશે જ કરશે. મારે શા માટે નકામી કોઈ ચિંતા રાખવી.
આવા ગરોળીના બચ્ચા જેવાનો યોગક્ષેમ તે પરમાત્મા કરે છે ,તો ભક્ત જનોનો યોગક્ષેમ તે શા માટે જાતે ના વહન
કરે ? ધન્ય છે પ્રભુની લીલા !! મારા હૃદયની સર્વ ગાંઠો છૂટી ગઈ છે. મારા સર્વ સંશયો નષ્ટ થયા છે, હું સર્વ ધર્મો ને
ત્યજીને –તેને-એકને-જ શરણે જાઉં છુ.

આમ શ્રીધર સ્વામી ના મન નું સમાધાન થઇ ગયું. શ્રીકૃષ્ણ નું સ્મરણ કરી ગૃહત્યાગ કર્યો. અને પછી તેઓ કાશી ગયા.
ત્યાં તેમણે ભાગવત,ગીતા વગેરે ગ્રંથો પર ટીકા ઓ રચી. જે આજ લગી પ્રખ્યાત છે.

તેમણે સન્યાસ લીધા પછી,તેમના આશ્રયદાતા રાજાએ,તેમના પુત્ર ને રાજ દરબારમાં લાવી ,તેના પાલન અને શિક્ષણ ની
યોગ્ય વ્યવસ્થા કરેલી.

ઉપરોક્ત ગરોળીના બચ્ચા ના બનાવે –શ્રીધર સ્વામીને ઈશ્વર પ્રત્યે જે અતુટ –અટલ શ્રધ્ધા –ભક્તિ થયેલી તે- તેમના
ગ્રંથો માં અનેક વાર જોવા મળી આવે છે.

જ્ઞાનેશ્વર

વધુ વિગત થી જ્ઞાનેશ્વર ચરિત્ર વાંચવા અહી ક્લિક  કરો 

ટૂંક સાર........દિવ્યભાસ્કર માંથી સાભાર 
સંન્યાસાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં પુન:પ્રવેશ કરવાના અપરાધ બદલ પ્રાય‌શ્ચિ‌ત્તરૂપે મહારાષ્ટ્રના આળંદી ગામના જ્ઞાનવૈરાગ્યને વરેલા વિઠ્ઠલ પંત અને પત્ની રુક્મિણી (રખુમાબાઇ)એ સંતાનોનાં કલ્યાણાર્થે ગંગાજીમાં જળસમાધિ લઇ લીધી. આ દંપતીનાં ચાર સંતાનો પૈકી ત્રણ પુત્રો નિવૃત્તિનાથ, જ્ઞાનદેવ, સોપાનદેવ તથા એક પુત્રી મુક્તાબાઇ. માતા-પિતાના મૃત્યુ બાદ નિવૃત્તિનાથ અને જ્ઞાનદેવ ભિક્ષા માગીને નાનાભાઇ સોપાન અને બહેન મુક્તાની સંભાળ રાખતા હતા. સંન્યાસીનાં બાળકો ગણી તે સમયના, આજથી ૭૩૦ વર્ષ પહેલાંના સમાજે તેમનો બહિ‌ષ્કાર કર્યો, પરંતુ અધ્યાત્મના જન્મજાત ઓજસથી પ્રકાશિત બાળકોએ ધીમે-ધીમે લોકોને ભક્તિભાવથી ભરી દીધા.

આળંદી ગામના બ્રાહ્મણોએ આ અનાથ બટુકોને જનોઇ ના આપી અને બહિ‌ષ્કાર ચાલુ રાખ્યો. પૈઠણનગર વિદ્યાપીઠના બ્રાહ્મણો શુદ્ધિપત્ર આપે તો જ નિવૃત્તિનાથને આળંદી બ્રાહ્મણો જનોઇ આપે. તેથી ચારેય જણાં પૈઠણ ગયાં. બ્રહ્મસભાએ જનોઇ માટે બટુકોનો ઉપહાસ કરતાં એક બ્રાહ્મણે કહ્યું કે,' તમારે પવિત્ર થવું હોય તો પાડા પાસે વેદોની ઋચાઓ બોલાવો.’ પાડાના માથે જ્ઞાનદેવે હાથ મૂકતાં પાડો વેદની ઋચાઓ બોલવા લાગ્યો. પંડિતો કરતાં પાડો વધુ સમજુ હતો.

પૈઠણમાં જે બ્રાહ્મણને ઘેર જ્ઞાનદેવ ઊતર્યા હતા તે બ્રાહ્મણને ત્યાં શ્રાદ્ધ હતું પણ ત્યાં ભાઇ-બહેનો ઊતર્યાં હોવાથી બ્રાહ્મણોએ જમવા આવવાનો ઇનકાર કર્યો. આથી જ્ઞાનદેવે યોગબળના પ્રભાવથી ગયાના બ્રાહ્મણોના પિતૃઓને આહ્વાન કર્યું. બ્રાહ્મણો ન આવ્યા પરંતુ તેમના પિતૃઓ આવીને બેસી ગયા. આથી પૈઠણના બ્રાહ્મણોને થયું કે જ્ઞાનદેવ મહાન આત્મા છે. તેમને જનોઇ આપવાની મંજૂરી આપતું શુદ્ધિપત્ર આપ્યું.

માત્ર છ વર્ષની વયથી જ પિતા પાસે વેદો-ઉપનિષદોનો અભ્યાસ કરનાર જ્ઞાનદેવે પોતાના મોટાભાઇ નિવૃત્તિનાથ પાસેથી દીક્ષા લઇ ચાર વર્ષના ગાળામાં ગુરુ પાસેથી જે સાધના અને શાસ્ત્રોનું અધ્યયન કરવું હતું તે કરી લીધું. બાર વર્ષની વયે 'ભાવાર્થ દીપિકા’ના નામથી જ્ઞાનેશ્વરી ગ્રંથની રચનાનો આરંભ કર્યો. તેમણે ગીતાગ્રંથની રચના મરાઠીમાં કરી. ભગવદ્ ગીતાના બાળ ભાષ્યકાર જ્ઞાનેશ્વરનો જન્મ જોગાનુજોગ ઇ.સ. ૧૨૭પમાં જન્માષ્ટમીના દિવસે થયો હતો. જ્ઞાનેશ્વરી ગીતા, અમૃતાનુભવ, ચાંગદેવ પાસષ્ઠિ‌, હરિગીત અને અભંગ જેવા ગ્રંથોની રચના તેમણે કરી.

૧૪૦૦ વર્ષ સુધી યોગસિદ્ધિથી જીવન ટકાવી રાખનાર ચાંગદેવનું ઘમંડ જ્ઞાનદેવે પોતાના યોગબળના પ્રભાવથી ઉતાર્યું હતું. ચાંગદેવ જ્ઞાનદેવને મળવા ઉત્સુક હતા. શિષ્યોના આગ્રહને માન આપીને ચાંગદેવ યોગસિદ્ધિથી હાથમાં સર્પના ચાબુક સાથે વાઘ પર સવારી કરી આળંદી જવા રવાના થયા. ચાંગદેવ મહાપુરુષ-મહાયોગી હોવાથી તેમનો સત્કાર કરવા આપણે સામે જવું જોઇએ એવો આદેશ નિવૃત્તિનાથને મળતાં ચારેય ભાઇ-બહેનો જે ઓટલા ઉપર બેઠાં હતાં તે ઓટલાને જ્ઞાનદેવે ચાલવાની આજ્ઞા કરતાં ઓટલો ચાલવા લાગ્યો.

એ દૃશ્ય જોઇને ચાંગદેવનું અભિમાન ઓગળી ગયું. આવા અખૂટ જ્ઞાનના ભંડારી જ્ઞાનદેવ વૃંદાવન, કાશી, મારવાડ, ગુજરાતમાં ગીતાનો પ્રચાર કરીને પંઢરપુર આવ્યા. તેમણે નાત-જાતના ભેદ છોડીને તમામ લોકો માટે ધર્મના દ્વાર ખોલવાનું ભગીરથ કાર્ય કર્યું. હિંદુ ધર્મની એકતામાં જ્ઞાનદેવનું યોગદાન ઉચ્ચ ગણાય છે. આવા સંતે કારતક વદ ૧૩ના રોજ ઇ.સ. ૧૨૯૬માં એકવીસ વર્ષની યુવાવયે સમાધિ લીધી હતી......................
દિવ્યભાસ્કર માંથી સાભાર 

વધુ વિગત થી જ્ઞાનેશ્વર ચરિત્ર વાંચવા અહી ક્લિક  કરો 

.............................................................................................................................
જ્ઞાનેશ્વરના પહેલા પુસ્તક-
ચાંગદેવ પાસષ્ટિ-ની વધુ માહિતી માટે -બુક ની નીચેની લીંક પર ક્લિક કરો 
અમૃતાનુભવ-હરિપાઠ-ચાંગદેવ-પાસષ્ટિ-જ્ઞાનેશ્વર-રચિત-ગુજરાતી
...............................................................................................................................
જ્ઞાનેશ્વર ના બીજા પુસ્તક “હરિપાઠ ના અભંગ”  માં છ પ્રકરણો છે.
(૧) જગતની ઉત્પતિ નો ક્રમ (૨) જીવ અને આત્મા ના ભેદ નું કારણ (૩) ચાર પ્રકાર ની વાણી ની ઉત્પત્તિ
(૪) ત્રણ પ્રકાર ના અહંકાર નું નિરૂપણ અને તેમાંથી ઇન્દ્રિયો ને વિષયો ની ઉત્પત્તિ.
(૫) શરીર માં ના છ ચક્ર અને દશ વાયુ નું વર્ણન (૬) ઈડા ,પિંગલા અને સુષુમણા નું વર્ણન
અમૃતાનુભવ-હરિપાઠ-ચાંગદેવ-પાસષ્ટિ-જ્ઞાનેશ્વર-રચિત-ગુજરાતી
................................................................................................................................
જ્ઞાનેશ્વર ના ત્રીજા પુસ્તક “અમૃતાનુભવ” નું ગુજરાતી ભાષાંતર સાથેની બુક માટે 
અમૃતાનુભવ-હરિપાઠ-ચાંગદેવ-પાસષ્ટિ-જ્ઞાનેશ્વર-રચિત-ગુજરાતી
................................................................................................................................
અને ચોથું “જ્ઞાનેશ્વરી ગીતા”-અથવા “ભાવાર્થ દીપિકા” વિષે આ બ્લોગ માં વિસ્તાર થી લખેલું છે.
નીચેની લીંક પર ક્લિક કરો
જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય
જ્ઞાનેશ્વરી ગીતા-મૂળ રૂપે

અનિલ શુકલ


માર્ચ-૨૦૧૩

Apr 2, 2012

ગંગા સતી અને પાન બાઈ


ગંગા સતી અને પાન બાઈ --સાસુ - વહુ હતા.
...
ગંગા સતી અહી પાનબાઈ ને કહે છે.અને પોતાને પણ કહે છે.
એટલે જાણે ઉપદેશ નથી લાગતો,પણ એક જાત નું માન પેદા થયા વગર રહેતું નથી.

અહી સતગુરુ એટલે સનાતન સત્ય ને પણ કહી શકાય ????
...................................................................

મેરુ તો ડગે,જેના મન નાં ડગે પાનબાઈ ,
માર ને ભાંગી પડે ને બ્રહ્માંડ જી,
વિપત્તિ પડે ને તોયે વણસે નહી,
સોઈ હરિજન ના પરમાણ જી.

ચિત્ ની વરતી જેની સદાય નિરમળ,
ને કોઈ ની કરે નહી આશ જી,
દાન દેવે પણ રહે અજાચી,
રાખે વચનુંમાં વિશ્વાસ જી.

હરખ અને શોક ની આવે નહિ હેડકી,
ને આઠે પહોર રહે આનંદ જી,
નીત રે નાચે સત્સંગ માં ને,
તોડે માયા કેરા ફંદ  જી.

તન મન ધન જેને પ્રભુ ને સમરપિયા
તે નામ નિજારી નર ને નાર જી
એકાંતે બેહીને આરાધના માંડે તો
અલખ પધારે એને દુવારજી.

સદગુરુ વચન માં શુરા થઇ ચાલે
ને શીશ તો કર્યા કુરબાન જી,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં
જે ને મેયલા અંતર ના માન જી.
...............................
More Info.On
http://aksharnaad.com/2010/12/24/santvani-vichar-gosthi-part-6/

વીજળીને ચમકારે


વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !
નહિતર અચાનક અંઘારા થાશે;
જોતજોતાંમાં દિવસ વયા ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે….

ભાઇ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
આ તો અધૂરિયાને નો કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય….

ભાઇ રે ! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ !
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત….

ભાઇ રે ! પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ પાનબાઇ !
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ….

- ગંગા સતી

નરસિંહ મહેતા



૧. આજ રે શામળિયે વહાલે – નરસિઁહ મહેતા
આજ રે શામળિયે વહાલે અમ-શું અંતર કીધો રે;
રાધિકાનો હાર હરિએ રુક્મિણીને દીધો રે. આજ….
શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેર ઘેર હીંડું જોતી રે;
રાણી રુક્મિણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે. આજ…
જાગતી તો લેવા ના દેતી, કર્મ-સંજોગે સૂતી રે;
વેરણ નિદ્રા મુને આવી, ‘હરિ હરિ’ કરીને ઊઠી રે. આજ…
ધમાણ મંગાવું ને ગોળો ધિકાવું, સાચા સમ ખવરાવું રે;
આજ તો મારા હર કાજે નારદને તેડાવું રે. આજ….
રાધાજી અતિ રોષે ભરાણાં, નેણે નીર ન માય રે;
આપો રે, હરિ ! હાર અમારો, નહિતર જીવડો જાય રે. આજ…
થાળ ભરી શગ મોતી મંગાવ્યાં, અણવીંધ્યાં પરોવ્યાં રે;
ભલે રે મળ્યો નરસૈંયાનો સ્વામી, રૂઠ્યાં રાધાજી મનાવ્યાં રે. આજ….
૨. સુખ દુ:ખ મનમા ન આણિયે
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.. સુખદુઃખ
નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી.. સુખદુઃખ
પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયને નિંદ્રા ન આણી.. સુખદુઃખ
સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી.. સુખદુઃખ
રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઇ ગયાં, બધી લંકા લુંટાણી.. સુખદુઃખ
હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી;
તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી.. સુખદુઃખ
શિવજી સરખા સતા નહીં, જેની પારવતી રાણી;
ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી.. સુખદુઃખ
એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;
જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે.. સુખદુઃખ
સર્વ કોઇને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી.. સુખદુ:ખ
૩. હળવે હળવે…
હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.
કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે,
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.
ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે,
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે,
ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે,
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.
પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે,
મળિયો મળિયો મળિયો, મુને નરસૈંયાનો સ્વામી રે.
૪. વારિ જાઉં સુંદર શ્યામ…
લટકે ગોકુળ ગૌ ચારિ, ને લટકે વાયો વંશ રે,
લટકે જઇ દાવાનળ પિધોં,લટકે માર્યો કંસ રે. વારિ જાઉં સુંદર શ્યામ…
લટકે રઘુપતિ રુપ ધરિને તાત ની આજ્ઞા પાળી રે,
લટકે રાવણ રણ માર્યો, લટકે ને લટકે સીતા વાળી રે. વારિ જાઉં સુંદર શ્યામ…
એવા એવા લટકા છે ઘનેરા,લટકા લાખ કરોડ રે,
લટકે મળે નરસિંહ નો સ્વામિ, હિંડે મોઢા મોઢ રે. વારિ જાઉં સુંદર શ્યામ…
૫. રામ સભામાં અમે
રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં
પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પુરણ પાયો.
પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો, બીજે પિયાલે રંગની રેલી
ત્રીજો પિયાલો મારાં રોમે રામે વ્યોપ્યો, ચોથે પિયાલે પ્રભુજી જેવી… રામ સભામાં
રસ બસ એકરૂપ થઇ રસિયા સાથે, વાત ન સુઝે બીજી વાટે
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે, તે મારા મંદિરીયામાં મ્હાલે રે… રામ સભામાં
અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં, અખંડ સૌભાગી અમને કીધાં રે
ભલે મળ્યા મહેતા નરસૈંઇના સ્વામી, દાસી પરમ સુખ પામી રે… રામ સભામા
૬. રાત રહે જ્યાહરે..
રાત રહે જાહરે પાછલી ખટ ઘડી
સાધુ પુરુષને સૂઇ ન રહેવું;
નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ,
‘એક તું’ ‘એક તું’ એમ કહેવું … રાત
જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવા;
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા … રાત
સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,
દાતાર હોય તેણે દાન કરવું;
પતિવ્રતા નારીએ કંથને પૂછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું … રાત
આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાં
ફરી નવ અવતરે નર ને નારી … રાત
૭. મેહુલો ગાજે ને માધવ નાચે
મેહુલો ગાજે ને માધવ નાચે,
રૂમઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે,
તાલ પખાજ વજાડે રે ગોપી,
વહાલો વજાડે વેણુ વાંસલડી રે. મે.
પહેરણ ચીર, ચરણા ને ચોળી,
ઓઢણ આછી લોબરડી રે;
દાદુર, મોર, બપૈયા બોલે,
મધુરી શી બોલે કોયલડી રે. મે.
ધન્ય બંસીવટ, ધન જમુનાતટ,
ધન્ય વૃંદાવનમાં અવતાર રે;
ધન્ય નરસૈયાની જીભલડીને,
જેણે ગાયો રાગ મલ્હાર રે..મેહુલો ગાજે ને માધવ નાચે….
૮. મારી હુંડી સ્વીકારો મહારાજ રે
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી
સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા,
વળી ધરીયું નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારીયો રે
હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી
ગજને વા’લે ઉગારીયો,
વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી
પાંડવની પ્રતિજ્ઞા પાળી,
વળી દ્રૌપદીના પૂર્યા ચીર,
નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે
તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી
રેહવાને નથી ઝુંપડી,
વળી ખાવા નથી જુવાર,
બેટો-બેટી વળાવીયા રે
મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી
ગરથ મારું ગોપીચંદન,
વળી તુલસી હેમ નો હાર,
સાચું નાણું મારે શામળો રે
મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી
તિરથવાસી સૌ ચાલીયા
વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણીકનો રે
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી
હૂંડી લાવો હાથમાં
વળી આપું પૂરા દામ,
રૂપીયા આપું રોકડા રે
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી
હૂંડી સ્વીકારી વા’લે શામળે
વળી અરજે કિધાં કામ,
મેહતાજી ફરી લખજો રે
મુજ વાણોત્તર સરખાં કામ રે, શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી
૯. ભોળી રે ભરવાડણ
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે,
ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે,
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી.
શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે
નાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી.
વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે
મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી.
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઊભા પેખે રે
ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી.
ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે
દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી
૧૦. ભૂતળ ભક્તિ પદારથ
ભૂતળ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે
હરિના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,
નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે
ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે
ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે
૧૧. બાપજી પાપ મેં..
બાપજી પાપ મેં કવણ કીધાં હશે,
નામ લેતાં તારું નિંદ્રા આવે;
ઉંઘ આળસ આહાર મેં આદર્યાં,
લાભ વિના લવ કરવી ભાવે … બાપજી
દિન પૂઠે દિન તો વહી જાય છે,
દુર્મતિનાં મેં ભર્યાં રે ડાળાં;
ભક્તિ ભૂતળ વિશે નવ કરી તાહરી,
ખાંડ્યાં સંસારનાં થોથાં ઠાલાં … બાપજી
દેહ છે જૂઠડી, કરમ છે જૂઠડાં,
ભીડ-ભંજન તારું નામ સાચું;
ફરી ફરી વર્ણવું, શ્રી હરિ તુજને
પતિત-પાવન તારું નામ સાચું …. બાપજી
તારી કરુણા વિના કૃષ્ણ કોડામણા
કળ અને અકળનું બળ ન ફાવે;
નરસૈંયા રંકને ઝંખના તાહરી,
હેડ બેડી ભાગ્યો શરણ આવે … બાપજી
૧૨. પ્રેમરસ..
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર,
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું કુશકે મન ચળે,
ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમ
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,
શુકજીએ સમજી રસ સંતાડ્યો;
જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો;
મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો. પ્રેમ
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને,
જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;
પ્રેમને જોગ તો વ્રજતણી ગોપિકા,
અવર વિરલા કોઈ ભક્ત ભોગી. પ્રેમ
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા,
હેતુના જીવ તે હેતુ તૂઠે;
જનમોજનમ લીલારસ ગાવતાં,
લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે. પ્રેમ
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો,
વાત બીજી નવ લાગે મીઠી;
નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની,
જતિ સતીને તો સપને ન આવે. પ્રેમ
૧૩. પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હરનિશ એને ધાવું રે,
તપ તીરથ વૈકુંઠ તજીને,
મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે… પ્રાણ થકી
અંબરીષ મુજને અતિઘણા વ્હાલા,
દુર્વાસાએ મન ભંગ કીધા,
મેં મારું અભિમાન તજીને,
દશવાર અવતાર લીધો રે… પ્રાણ થકી
ગજ તજી વહારે તમે પાદે ધાયા,
સેવકની સુધ લેવા,
ઊંચનીચ કુલ હું નવ જાણું,
મને ભજે સો મમ જેવા… પ્રાણ થકી
મારો બાંધ્યો મારો વૈષ્ણવ છોડાવે,
વૈષ્ણવનો બાંધ્યો વૈષ્ણવ છૂટે,
ક્ષેણું એક વૈષ્ણવ મુજને બાંધે,
તો ફિર ઉત્તર નવ સુઝે… પ્રાણ થકી
બેઠો ગાવે ત્યાં ઉભો સાંભળું,
ઉભા ગાવે ત્યાં નાચું,
વૈષ્ણવ જનથી ક્ષેણું ન અળગો,
માન નરસૈયા સાચું… પ્રાણ થકી
૧૪. પઢો રે પોપટ રાજા રામ ના
પઢો રે પોપટ રાજા રામ ના, સતી સીતાજી પઢાવે,
પાસે રે બંધાવી રુડું પાંજરુ, મુખ થી રામ જપાવે.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના….
પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું,
એનુ રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના….
પોપટ તારે કારણે શીશી રસોઇ રંધાવું,
સાકર ના કરી ને ચુરમા, ઉપર ઘી પિરસાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના….
પાંખ રે પીળી ને પગ એના પાડુંરા,
કોઠે કાઠલો કાળો, નરસૈયાના સ્વામી ને ભજો રાગ, તાણી ને રુપાળો…
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના….
૧૫. નાથને નીરખી..
આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,
સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.
જે રે મારા મનમાં હુતું તે વહાલાએ કીધું;
પ્રીતે-શું પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.
વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;
હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.
કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,
સ્વર પૂરે સરવ સુંદરી, અતિ આનંદ થાયે.
ધન્ય જમુનાના તટને, ધન્ય વ્રજનો રે વાસ;
ધન્યભાગ્ય આ ભૂમિનાં, વહાલો રમ્યા છે રાસ.
અમરલોક અંતરિક્ષથી શોભા જોવાને આવે;
પુષ્પવૃષ્ટિ તાંહાં થઈ રહી, નરસૈંયો વધાવે.
૧૬. નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ!
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
કાના! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી… નાગર નંદજીના લાલ !
નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા… નાગર નંદજીના લાલ !
નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય… નાગર નંદજીના લાલ !
વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર… નાગર નંદજીના લાલ !
નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર… નાગર નંદજીના લાલ !
૧૭. ધ્યાન ધર હરિતણું
ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ,
જે થકી જન્મનાં દુઃખ જાયે;
અવળ ધંધો કરે, અરથ કાંઈ નવ સરે
માયા દેખાડીને મૃત્યુ વહાયે.
સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં,
શરણ આવે સુખ પાર ન્હોયે;
અવળ વેપાર તું, મેલ મિથ્યા કરી,
કૃષ્ણનું નામ તું રાખ મોંએ.
પટક માયા પરી, અટક ચરણે હરિ,
વટક મા વાત સુણતાં જ સાચી;
આશનું ભવન આકાશ સુધી રચ્યું,
મૂઢ એ મૂળથી ભીંત કાચી.
અંગ-જોબન ગયું, પલિત પિંજર થયું,
તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના,
લીંબુ લહેકાવતાં રાજ લેવું.
સરસ ગુણ હરિતણા, જે જનો અનુસર્યા,
તે તણા સુજશ તો જગત બોલે;
નરસૈંયા રંકને, પ્રીત પ્રભુ-શું ઘણી,
અવર વેપાર નહીં ભજન તોલે.
૧૮. જ્યાં લગી આત્મા તત્વ
જ્યાં લગી આત્મા તત્વ ચીન્ધે નહિ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો
માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.
શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી
શું થયું ઘેર રહી દાન દીધે ?
શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,
શું થયું વાળ લોચન કીધે ?
શું થયું તપ ને તીરથ કીધા થકી,
શું થયું માળ ગ્રહી નામ લીધે ?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
શું થયું ગંગાજળ પાન કીધે ?
શું થયું વેદ વ્યાકરણ વાણી વદે,
શું થયું રાગ ને રંગ જાણ્યે ?
શું થયું ખટ દર્શન સેવ્યા થકી,
શું થયું વરણના ભેદ આણ્યે ?
એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
આતમારામ પરિબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,
રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.
૧૯. જે ગમે જગત ગુરુ..
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દ્રષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેહને તે પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સૂઝે
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
૨૦. જાગને જાદવા..
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને
દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને
૨૧. જળકમળ છાંડી જાને બાળા
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે
કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો
નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો
મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો
રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો
મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો
લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ
એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ
શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો
બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો
સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો
નાગણ સૌ વિલાપ કરે કે, નાગને બહુ દુઃખ આપશે
મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે
બેઉ કર જોડી વીનવે, સ્વામી ! મૂકો અમારા કંથને
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને
થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો
૨૨. જશોદા! તારા કાનુડાને
જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે ?… જશોદા.
શીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.
ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે;
મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.
વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે;
નિત ઊઠીને કેટલું સહીએ ? રહેવું નગર મુઝાર રે … જશોદા.
‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે ?
દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન લગાર રે … જશોદા.
શોર કરંતી ભલી સહુ આવી ટોળે વળી દશ-બાર રે !
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે’ …. જશોદા.
૨૩. ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ
ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ વસંત આવ્યો વન વેલ ફૂલી,
મૂલીયા અંબ કોકિલા-લ વે કદમ્બ, કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝુલી.
ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ…
પહેર શણગાર ને હાર ગજગામિની, ક્યારની કહું છું જે ચાલી ઊઠી,
રસિક મુખ ચુંબિએ, વળગિયે ઝુંબીએ, આજ તો લાજની દુહાઇ છુટી.
ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ…
હેતે હરિ વશ કરી લાહવો લે ઉર ધરિ, કરગ્રહિ કૃષ્ણજી પ્રિતે મળશે,
નરસૈયો રંગમા અંગ ઉન્મત થયો, ખોયેલા દિવસોનો ખંગ વળશે.
ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ…
૨૪. ઘડપણ કોણે મોકલ્યું?
ઘડપણ કોણે મોકલ્યું જાણ્યું જોબન રહે સૌ કાળ – ઘડપણ. – ટેક.
ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં રે પરદેશ, ગોળી તો ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ. — ઘડપણ
નહોતું જોઈતું તે શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ, ઘરમાંથી હળવા થયા રે, કહે ખૂણે ઢાળો એની ખાટ. — ઘડપણ
નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ, રોજ ને રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. — ઘડપણ
પ્રાતકાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય, ઘરના કહે મરતો નથી રે, તેને બેસી રહેતા શું થાય. — ઘડપણ
દીકરા તો જૂજવા થયા રે, વહૂઅરો દે છે ગાળ, દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ. — ઘડપણ
નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ, બૈરાંછોકરાં ફટ ફટ કરે રે, નાનાં મોટા મળી દે છે ગાળ.– ઘડપણ
આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર, પાંસળીએથી છોડી વાંસળી રે, લઈ લીધી તેણી વાર. — ઘડપણ
એવું જાણી સૌ હરી ભજો રે, સાંભળજો સૌ સાથ, પરઉપકાર કરી પામશો રે, જે કંઈ કીધું હશે જમણે હાથ. — ઘડપણ
એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો સૌ અહંકાર, ધરમના સત્ય વચન થકી રે મહેતો નરસૈં ઊતર્યો ભવપાર. – ઘડપણ
૨૫. ગિરી તળેટી ને કુંડ દામોદર
ગિરિ તળેટી ને કુંડ દામોદર. ત્યાં મેહતાજી ન્હાવા જાયઃ
ઢેઢ વરણમા દ્રઢ હરી ભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય… ગિરિ—-
કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિતણા બહુ વદ્યા રે વચનઃ
મહાંત પુરુષ અમારી અરજ એટલી, અમારે આંગણે કરો રે કીર્તન… ગિરિ –
પ્રેમ પદારથ અમો રે પામિયે, વામીયે જનમ મરણ જંજાળઃ
કર જોડતા કરુણા ઉપજી, મહેતાજી વૈશ્નવ પરમ દયાળ… ગિરિ—-
- નરસિંહ મહેતા

ગંગા સતી અને પાન બાઈ


શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઇ !
જેના બદલે નહિ વ્રતમાન રે;
ચિત્તની વરતી જેની સદાય નિરમળી,
જેને મા’રાજ થયા મે’રબાન રે… શીલવંત.
ભાઇ રે ! શત્રુ ને મિત્ર રે એકે નહિ ઉરમાં,
જેને પરમારથમાં પ્રીત રે;
મન, કર્મ, વાણીએ વચનુંમાં ચાલે ને,
રૂડી પાડે એવી રીત રે… શીલવંત. ભાઇ રે !
આઠે પો’ર મનમસ્ત થૈ રે’વે,
જેને જાગી ગયો તુરીયાનો તાર રે;
નામ ને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું ને,
સદાય ભજનનો આહાર રે….શીલવંત. ભાઇ રે !
સંગત્યું તમે જ્યારે એવાની કરશો ને,
ત્યારે ઊતરશો ભવપાર રે;
ગંગાસતી એમ બોલિયાં રે,
જેને વચનુંની સાથે વે’વાર રે … શીલવંત.


3.અભયભાવ
ભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઇ !
રહે છે હરિની જોને પાસાં
ઇરે ભક્તિ ક્યારે ઉરમાં આવે,
જ્યારે થાય સદ્ ગુરુના દાસ… ભગતી
ભાઇ રે ! અભયભાવના લક્ષણ બતાવું પાનબાઇ !
તમે સુણો એકાગ્ર ચિત્ત થઇ;
એ વારે લક્ષણ સાંભળતાં પાનબાઇ !
અભયભાવ ચિત્તમાં પ્રગટાય… ભગતી
ભાઇ રે ! સદગુરુ વચનમાં સુરતાને રાખો,
તો તો હું ને મારું મટી જાય;
નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે,
ત્યારે અભયભાવ કહેવાય…. ભગતી
ભાઇ રે ! એવા અભયભાવ વિના
ભગતિ ન આવે પાનબાઇ !
મરને કોટિ કરે ઉપાય;
ગંગાસતી એમ બોલિયાં રે,
તે વિના જીવપણું નહિ જાય… ભગતી.

ગંગા સતી

કલેજા અમારા રે વીંધી રે નાખ્યાં બાઈજી
છાતી મારી ફાટ ફાટ થાય રે .
છૂટાં છૂટા તીર અમને ન મારીયે બાઈજી
મેંથી સહ્યાં નવ જાય જી.
બાણ રે વાગ્યા ને રૂંવાડા વીંધાણા
મુખથી કહ્યાં નવ જાયજી.
આપોને વસ્તુ મુને લાભ જ લેવાને
પરિપૂર્ણ કરોને કાય રે.
બાણ તમને પાનબાઇ વાગ્યાં નથી ને
બાણ રે વાગ્યાં ને હજુ વાર રે,બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં
ને દેહ રે દશા મટી જાય જી .
બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈજી
પરિપૂર્ણ વચનમાં વર્તાય જી,ગંગાસતી રે એમ બોલિયા પાનબાઇ
પૂર્ણ અધિકારી કહેવાય જો.
ગંગા સતી

Apr 1, 2012

Eknath-Jivan Charitra-એકનાથ જીવન ચરિત્ર

વધુ વિસ્તૃત (31 પેજ) થી વાંચવા અહીં ક્લિક કરો 

મહારાષ્ટ્રમાં પૈઠણ એક તીર્થસ્થળ ગણાય છે. ત્યાં એકસો આઠ સંતો થઈ ગયા એમ કહેવાય છે. 
મહાત્મા એકનાથનો જન્મ પૈઠણના એક બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ પરિવારમાં સંવત 1590માં થયો હતો. 

એકનાથ ઘણાં વરસ સુધી ગુરુની સેવા કરી જ્ઞાનના અધિકારી થયા હતા. તેમણે પોતે કહ્યું છે` હું ગુરુસેવામાં એવો તલ્લીન થઈ જતો કે તરસ જળને ભૂલી જતી અને ભૂખ અન્નને ભૂલી જતી! આવી ગુરુભક્તિ હોય, પછી જ્ઞાન કેમ ન આવે?`

ભાગવત એ એકનાથનું પ્રિય પુસ્તક હતું. તેઓ તેની કથા કરતા અને તેનો અર્થ સૌને સમજાવતા. તેઆએ ભજનો પણ બનાવતા ને ગાતા. 
તેમનાં પત્ની ગિરિજાબાઈ પણ તેમના જ ભગવદ્ભક્ત હતા. અતિથિસેવા એ તેમનું મુખ્ય કાર્ય હતું.

એકવાર એકનાથને ત્યાં શ્રાદ્ધ નિમિત્તે બ્રાહ્મણો ભોજન કરવાના હતા. એવામાં કેટલાક હરિજનો તેમના ઘર આગળ થઈને નીકળ્યા. પકવાનની મીઠી સુગંધ આવતાં તેમનાથી બોલાઈ ગયું`કેટલાં પુષ્ણ કર્યા હોય ત્યારે આવું ખાવાનું મળે!
આ શબ્દો એકનાથના કાને ગયા. તેમણે તરત જ હરિજનોને કહ્યું` રસોઈ તેયાર છે, જમવા પધારો!
ગિરિજાબાઈએ એમાં ઉમેર્યુઃ`એકલા નહિ, સહકુટુંબ આવવાનું!`
અને ખરેખર, એમણે હરિજનોને સહકુટુંબ જમાડયા.

તે પછી ગિરિજાબાઈ બ્રાહ્મણો માટે ફરી રસોઈ કરવા બેઠાં. પણ એકવાર બ્રાહ્મણો માટે કરેલી રસોઈ હરિજનોને ખવડાવી દીધી, તેથી બ્રાહ્મણો ગુસ્સે થયા હતા. તેમણે જમવા આવવાની ના પાડી.

ત્યારે એકનાથના એક શિષ્ય શ્રીખંડે કહ્યું`પ્રભુ, આજે તમે એવું સત્કર્મ કર્યું છે કે પિતૃઓ પોતે આવીને ભોજન લેશે!
પાતળો નખાઈ ને ભાણાં પીરસાયાં. પછી ચમત્કાર થયો. સ્વર્ગમાંથી પિતૃઓ ઊતરી આવ્યાં ને ભોજન કરવા બેસી ગયા.
બ્રાહ્મણોએ છુપાઈને આ જોયું. હવે તેમને પસ્તાવો થયો કે ભોજન ખોયું ને સાથે આબરૂ યે ખોઈ.

કહે છે કે એકનાથની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન પોતે શ્રીખંડ નામ ધરી એમને ઘેર રહ્યા હતા ને બાર વરસ સુધી એમણે એમની સેવા કરી હતી.

એકનાથને ઘેર રોજ કથાકીર્તન ચાલતાં. એકનાથ કહેતાઃ` બધે પ્રભુનો વાસ છે. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ભંગી નથી, અથવા કહો તો બધા બ્રાહ્મણ છે, બધા ભંગી છે! બધા પરમાત્મા સ્વરૂપ છે.

રાણો હરિજન રોજ આ સાંભળે. એકનાથ મહારાજ પર એને એવી ભક્તિ કે એક દિવસ એણે કહ્યું` મહારાજ, એકવાર મારે ત્યાં જમવા પધારો!`
`કાલે જ !` એકનાથે કહ્યું.

બીજે દિવસે એકનાથ રાણા હરિજનને ઘેર ગયા. હરિજને આંગણું લીંપીગૂંથીને તૈયાર કર્યું હતું. તેમાં રંગોળી પૂરી પાટલા ઢાળ્યા હતા. તુલસી-ક્યારે દીવો કર્યો હતો, ને ધૂપથી વાતાવરણ મધમધતું હતું! હરિજન દંપત્તીએ ભક્તની પૂજા કરી, ભક્તે આનંદથી ભોજન કર્યું.

આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. બ્રાહ્મણો એકનાથને `ભ્રષ્ટ ચંડાળ` કહી ભાંડવા લાગ્યા. એકનાથ કહે` મારી નિંદા કરનારાઓ મારાં પાપ ધૂએ છે. તેઓ મારા ગુરુ છે. હું તેમને પ્રણામ કરું છું.`

એકનાથ કદી પણ કોઈના પર ગુસ્સે થતા નહિ. એકનાથના નિંદકોએ એક ગરીબ બ્રાહ્મણને ઉશ્કેર્યો`તું એકનાથને ગુસ્સે કરે તો અમે તને બસો રૂપિયા ઈનામ આપશું!`

બ્રાહ્મણ એકનાથના ઘેર ગયો. એકનાથ તે વખતે પૂજા કરવા બેઠેલા હતા. જોડા પણ કાઢયા વગર બ્રાહ્મણ પૂજાઘરમાં ઘૂસી ગયો ને ધબ દઈને એકનાથના ખોળામાં બેસી ગયો. આવે વખતે કોઈ પણ માણસ ગુસ્સે થઈ જાય, પણ એકનાથ ન થયા. તેમણે કહ્યું`આપનો મારા પર આ સ્નેહભાવ જોઈ મને બહુ આનંદ થાય છે.`
બ્રાહ્મણ ભોંઠો પડી ગયો. પણ તેને બસો રૂપિયાનો લોભ હતો. તેથી તેણે કહ્યું` મને ભૂખ લાગી છે.`

એકનાથ બ્રાહ્મણને લઈ જમવા બેઠા. ગિરિજાબાઈ પીરસવા નમ્યાં, ત્યાં બ્રાહ્મણ કૂદીને તેમની પીઠ પર સવાર થઈ ગયો. તોયે એકનાથ ગુસ્સે થયા નહિ. તેમણે ગિરિજાબાઈને કહ્યું`સાચવજો, બ્રાહ્મણ પડી ન જાય!`

ગિરિજાબાઈ કહે`પુત્રને આમ પીઠે વળગાડી ફરવાની મને ટેવ છે, એટલે ચિંતા ન કરો!`
કાપો તો લોહી ન નીકળે એવી બ્રાહ્મણની દશા થઈ. એકનાથ અને ગિરિજાબાઈના પગમાં પડી તેણે એમની માફી માંગી આંસુથી એમના પગ ધોયા. રોતાં રોતાં એણે કહ્યું` બસો રૂપિયાના લોભે તમને ગુસ્સે કરવા મેં આ પાપ કર્યું છે.`
એ સાંભળી એકનાથે કહ્યુ` તો પહેલાથી એવું કહેવું હતું ને, હું ગુસ્સે થાત.` બોલતાં બોલતાં એ હસી પડયા.

આવો એક બીજો પ્રસંગ છે.
એકનાથ રોજ નદીએ નહાવા જતાં. રસ્તામાં એક મુસલમાનનું ઘર આવતું. કોઈ કોઈ વાર એ મુસલમાન એકનાથ નહાઈને ઘેર જતા હોય ત્યારે એમના પર થૂંકતો. એકનાથ ફરી નહાવા જાય. નહાઈને બહાર આવે એટલે ફરી એમના પર થૂંકે. કોઈ કોઈ વાર તો એકનાથને આવી રીતે ચારપાંચ વાર નહાવું પડતું, પણ એ કદી ગુસ્સે થતા નહિ.
એક દિવસ આ મુસલમાન હઠે ચડયો. બે પાંચ દશ વખત નહિ, પણ એકસો ને આઠ વાર એ એકનાથની ઉપર થૂંકયો.તોય એકનાથના મનની શાંતિ તૂટી નહિ. છેવટે મુસલમાન શરમાયો. એણે એકનાથના પગમાં પડી એમની માફી માંગી.

એકનાથના ઘરમાં અતિથિઓનું આઠે પહોર સ્વાગત થતું. એકવાર મઘરાતે અતિથિ આવી ચડયા. એમને માટે રસોઈ કરતાં બળતણ ખૂટયું તો એકનાથે ઘરના છાપરામાંથી વળીઓ ખેંચી કાઢી! એ વળીઓ બાળીને રસોઈ કરી ગિરિજાબાઈએ અતિથિઓને જમાડયા.

એકવાર એકનાથના ઘરમાં ચોરો ચોરી કરવા આવ્યા. તેમણે લેવાય તે લઈ લીધું. પછી બીજા ઓરડામાં ગયા, તો ત્યાં એકનાથ ઘીનો  દીવો કરી હરિસ્મરણ કરતા બેઠા હતા. તેમણે આંગળીઓથી પોતાની વીંટી કાઢી આપી ચોરોને કહ્યું` આ પણ લઈ જાઓ, કામ લાગશે!`
ચોરોએ એકનાથના પગમાં પડી માફી માંગી. એકનાથે ગિરિજાબાઈને જગાડી રસોઈ કરાવી ચોરોને જમાડયા ને પ્રસાદ બંધાવી વિદાય કર્યા.

એકનાથે આખા ભારતની યાત્રા કરી હતી. એકવાર કેટલાંક સંતો સાથે તેઓ કાશીથી કાવડમાં ગંગાજળ લઈ રામેશ્વર જતા હતા. ગંગાજળ ભગવાન રામેશ્વરને ચડાવવાનું હતું. રસ્તે જતાં એકનાથે એક ગધેડાને મરવા પડેલો જોયો. ઉનાળાના દિવસો હતા. ગધેડો પાણી વિના ભોંય પર તરફડતો હતો. એકનાથને દયા આવી. એમણે ખભેથી કાવડ ઉતારી બધું ગંગાજળ મરતા ગધેડાને પાઈ દીધું! ગધેડો બચી ગયો.

એકનાથના સાથીઓએ કહ્યું` આ શું કર્યું? ભગવાનનું ગંગાજળ ગધેડાને પાઈ દીધું? હવે રામેશ્વરને શું ચડાવશો?`
એકનાથે કહ્યું` ગંગાજળ મેં રામેશ્વરને જ ચડાવ્યું છે. ગધેડામાં પણ એ જ રામેશ્વર છે.

એકનાથ આવા દયાળુ અને સમદૃષ્ટિવાળા હતા.

એકનાથને હરિ નામે પુત્ર હતો. 
એ સંસ્કૃત ભાષાનો મોટો પંડિત હતો. એકનાથ મરાઠી ભાષામાં કથા કરતા ને ભજનો લખતા તે હરિ પંડિતને ગમતું નહિ. તે કહેતો `મરાઠી તે કંઈ ભાષા છે!`

એકવાર  પૈઠણની એક બાઈએ પતિની માંદગીમાં એક હજાર બ્રાહ્મણોને જમાડવાની બાધા લીધી હતી. પણ પછી પતિ ગુજરી ગયો અને ઘરની હાલત એવી ખરાબ થઈ ગઈ કે ચારે બ્રાહ્મણનેય ન જમાડી શકે. એણે કોઈ શાસ્ત્રાળની સલાહ લીધી. શાસ્ત્રાળએ કહ્યું`બાઈ, તું એક જ જ્ઞાની બ્રાહ્મણને જમાડે તો એ એક હજાર બ્રાહ્મણોને જમાડયા બરાબર છે.`

વિચાર કરી કરીને બાઈએ એકનાથને જમાડવાનું નક્કી  કર્યું. હરિ પંડિતે રસોઈ કરી અને એકનાથને જમ્યા. પિતા જમીને ઊઠયા એટલે પુત્રે તેમની એંઠી પતરાવળીઓ ફેંકી દેવા માટે ઉપાડી, તો નીચે બીજી દેખાઈ.બીજી ઉપાડી તો ત્રીજી દેખાઈ. ત્રીજી ઉપાડી તો ચોથી દેખાઈ. આમ પૂરી એક હજાર પતરાવળી થઈ. 

હરિ પંડિત વિચારમાં પડી ગયા. એમને ખાતરી થઈ કે પિતા સંસ્કૃતના પંડિત નથી, પણ એ ખરેખરા જ્ઞાની છે! માત્ર સંસ્કૃતના પંડિત થવાથી જ્ઞાની થવાતું નથી. હરિ પંડિતનો અહંકાર ઓગળી ગયો. 

એકનાથે શ્રીમદ્ ભાગવત ઉપર સુંદર ગ્રંથ લખ્યો છે. તે `એકનાથી ભાગવત` નામે વિખ્યાત છે. 

તેમણે અસંખ્ય ભજનો લખ્યાં છે. જ્ઞાનેશ્વર મહારાજ પ્રત્યે તેમને ખૂબ જ પૂજ્યભાવ હતો. જ્ઞાનેશ્વરી ગીતામાં લહિયાઓની બેદરકારીને લીધે ઘણી અશુદ્ધિઓ ધૂસી ગઈ હતી. એકનાથે તે બધી દૂર કરી પોતાના હાથે તેની શુદ્ધ પ્રત તૈયાર કરી, જે આજે આપણે વાંચીએ છીએ.

એકનાથે જોયું કે હવે મારું જીવનકાર્ય પૂરું થઈ ગયું છે. એટલે એમણે દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો અને દિવસ નક્કી  કરી મહિના અગાઉથી એની જાહેરાત કરી. ગામેગામથી લોકોનાં ટોળે ટોળાં એમનાં છેલ્લા દર્શન કરવા અને એમની છેલ્લી વાણી સાંભળવા આવ્યાં. 
એક નાથ હવે સૌની સાથે ભજન ગાતા ગાતા નદીએ ગયા. ત્યાં પણ ભજનોની ધૂન ચાલી. 
પછી એકનાથે નદીમાં સ્નાન કર્યું, ઊંચા આસન ઉપર પલાઠી વાળીને બિરાજ્યા, ને લોકોને ઉપદેશ આપ્યો`હવે હું જાઉં છું. ભાગવત ધર્મનું પાલન કરજો, હળીમળીને રહેજો, વિઠોબાના ચરણનું શરણ લેજો ને મનુષ્યજન્મ સાર્થક કરજો!
એમ કહી તેઓ આંખો મીંચી ધ્યાનમાં બેઠાં. તે જ ઘડીએ એમણે દેહનો ત્યાગ કર્યો. સંવત 1656 ચૈત્ર વદ છઠ. તે વખતે તેમની ઉંમર છાસઠ વર્ષની હતી.