Nov 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-974

 

અધ્યાય-૯૧-આઠમો દિવસ (ચાલુ) દુર્યોધન અને ઘટોત્કચનું યુદ્ધ 


॥ धृतराष्ट्र उवाच ॥ इरावंतं तु निहतं द्रष्ट्वा पार्था महारथाः I संग्रामे किमकुर्वत तन्ममाचक्ष्व संजय ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,એ સંગ્રામમાં અર્જુનના પુત્ર ઈરાવાનને માર્યો ગયેલો જોઈને પાંડવોએ શું કર્યું? તે કહે.

સંજયે કહ્યું-હે રાજા,ઈરાવાનને સંગ્રામમાં મરણ પામેલો જોઈને ભીમપુત્ર ઘટોત્કચ,મોટા શબ્દોથી ગર્જના કરવા લાગ્યો,જે સાંભળીને તમારા સૈન્યના યોદ્ધાઓના શરીરમાં કંપારી છૂટી ગઈ.તેમનાં મન દીન થઇ ગયાં ને આમતેમ નાસવા લાગ્યા.

ઘટોત્કચે તે પ્રમાણે ગર્જના કરીને હાથમાં ઝળહળતું ત્રિશુલ ઊંચું કરીને મહાભયંકર રૂપ ધારણ કર્યું.ને અનેક પ્રકારના હથિયારો અને સ્વરૂપો ધારણ કરનારા રાક્ષસોથી વીંટાઇને તેણે તમારા સૈન્યનો સંહાર કરવા માંડ્યો.

Nov 6, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-973

 

અધ્યાય-૯૦-આઠમો દિવસ (ચાલુ) અર્જુનપુત્ર ઈરાવાનનો વધ 

॥ संजय उवाच ॥ वर्तमाने तथा रौद्रे राजन वारंवारत्रये I शकुनिः सौबलः श्रीमान्पांडवान्समुपाद्रवम ॥१॥

સંજયે કહ્યું-હે રાજન,એ મહાન યોદ્ધાઓનો નાશ કરનાર સંગ્રામ થઇ રહ્યો હતો ત્યારે શકુનિ અને યદુવંશમાં જન્મેલો હાર્દિકય પણ પાંડવોની સેના સામે ધસી ગયો.કામ્બોજ દેશના અને બીજા અનેક દેશના રાજાઓ પણ પોતાની સેના સાથે પાંડવો સામે ધસી જઈને તેમનો ઘેરો ઘાલવા લાગ્યા.ત્યારે પાંડવો તરફે અર્જુનપુત્ર ઈરાવાન શસ્ત્રોથી સજ્જ થઈને તેમની સામે આવ્યો.એ અર્જુનનો પુત્ર મહાપરાક્રમી હતો ને તે નાગરાજ ઐરાવતની પુત્રીથી ઉત્પન્ન થયેલો હતો.જયારે ગરુડે,એ નાગપુત્રીના ધણીને મારી નાખ્યો હતો ત્યારે પોતાને કોઈ સંતાન નહિ હોવાથી તે અતિ શોકાતુર થઇ હતી,તેથી નાગરાજ ઐરાવતે એ પોતાની પુત્રીને અર્જુન સાથે પરણાવી હતી.આ અર્જુનનો પુત્ર ઈરાવાન પરક્ષેત્રમાં જન્મેલો હતો,ને એના દુષ્ટ કાકા અશ્વસેને અર્જુન પરના દ્વેષને લીધે તેનો ત્યાગ કર્યો હતો જેથી તેની માતાએ,તેને નાગલોકમાં રાખીને ઉછેર્યો હતો.એક વખતે જયારે અર્જુન સ્વર્ગલોકમાં ગયો છે તેમ ઈરાવાનના સાંભળવામાં આવ્યું ત્યારે તે ઇંદ્રલોકમાં ગયો હતો ને તે જયારે અર્જુનને મળ્યો ત્યારે અર્જુને પોતાના પુત્રને કહ્યું હતું કે-'જયારે અમારે યુદ્ધ કરવાનો પ્રસંગ થાય ત્યારે તારે અમને સહાય કરવી' એટલે અર્જુનને આપેલા વચનને સંભારીને ઈરાવાન અહીં યુદ્ધ કરવા આવ્યો છે.તે અનેક ઈચ્છા પ્રમાણે વેગવાળા ને વર્ણવાળા અનેક ઘોડાઓથી વીંટાયેલો છે.

Nov 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-972

 

અધ્યાય-૮૯-ભીમ,નકુલ અને સહદેવનું પરાક્રમ


॥ धृतराष्ट्र उवाच ॥ द्रष्ट्वा मे निहतान्त्पुत्रान् बहुनेकेन संजय I भीष्मो द्रोणः कृपश्चैव किमकुर्वत संयुगे ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,મારા ઘણા પુત્રોને એકલા ભીમસેને મારી નાખેલા જોઈને,ભીષ્મ,દ્રોણ અને કૃપે યુદ્ધમાં શું કર્યું? મારા પુત્રોનો ક્ષય થયા કરે છે તેથી મારે માનવું પડે છે કે તેઓ સર્વથા દુષ્ટ દૈવની ઈચ્છાથી જ માર્યા જાય છે.ભીષ્મ,દ્રોણઆદિ રણમાંથી પાછા ન હટે તેવા અનેક યોદ્ધાઓના મધ્યમાં રહેલા મારા પુત્રો જયારે સંગ્રામમાં માર્યા જાય છે એમાં ભાગ્ય સિવાય બીજું શું સમજવું? મંદબુદ્ધિ દુર્યોધને,મોહથી અમારું કહેવું માન્યું જ નહિ,તેથી જ આજે આ ફળ આવેલું છે.

Nov 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-971

 

અધ્યાય-૮૮-આઠમો દિવસ-સુનાભ વગેરે કૌરવોનો સંહાર 


॥ संजय उवाच ॥ भीष्मं तु समरे कृद्वं प्रतपन्तं समंतत I न शेकुः पांडवा द्रष्टुं तपन्तमिव भास्कर ॥१॥

સંજયે કહ્યું-રણસંગ્રામમાં ક્રોધાયમાન થયેલા અને ચારે બાજૂથી સંતાપ પમાડતા ભીષ્મને પાંડવ યોદ્ધાઓ,જેમ,તપતા સૂર્યને જોઈ શકાય નહિ તેમ,જોઈ શકતા નહોતા.પછી,યુધિષ્ઠિરની આજ્ઞા થતાં સર્વ સૈન્યો,ભીષ્મ સામે ધસ્યા.સામે ભીષ્મે બાણો મૂકીને સોમક,સૃજય અને પંચાલ યોદ્ધાઓને પાડવા જ માંડ્યા.ભીષ્મના બાણોથી યોદ્ધાઓના મસ્તકો જમીન પર પડવા લાગ્યા.ભીષ્મે રથીઓને રથ વગરના કરી દીધા,ઘોડેસ્વારોને ઘોડાઓ પરથી ને હાથીસ્વારોને હાથીઓ પરથી પાડી દીધા.ભીષ્મના અસ્ત્રોથી મૂર્છા પામેલા અને માર્યા ગયેલા પર્વત જેવડા હાથીઓ રણભૂમિ પર પડેલા દેખાતા હતા ત્યારે ભીમસેન સિવાય બીજો કોઈ યોદ્ધો ત્યાં નજરે ચડતો નહોતો.ભીમસેન ભીષ્મ પાસે આવીને તેમના પર પ્રહાર કરી રહ્યો હતો.

Nov 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-970

 

અધ્યાય-૮૭-આઠમો દિવસ-સૈન્યોની વ્યૂહરચના 


॥ संजय उवाच ॥ परिणाना निशां तां तु सुखं प्राप्ताजनेश्वराः I कुरवः पांडवाश्चैव पुनर्युध्धाय निर्ययु:॥१॥

સંજયે કહ્યું-એ રાત્રિને વિતાવીને સુખ પામેલા કૌરવ અને પાંડવ પક્ષના રાજાઓ ફરી યુદ્ધ કરવા નીકળી પડ્યા.ત્યારે સમુદ્રના ઘુઘવાટા સમાન મહાન શબ્દ થઇ રહ્યો.દુર્યોધન,ચિત્રસેન,વિવીંશાંતિ,ભીષ્મ,દ્રોણ-વગેરે એકત્ર થઈને સાવધાનીપૂર્વક વિચાર કરીને ભીષ્મે મહાસાગર નામનો વ્યૂહ રચ્યો.તેઓ પોતે માલવો,આવંત્યો આદિ રાજાઓ સહીત મોખરે રહ્યા,તેમની પાછળ માલવ-આદિ યોદ્ધાઓ સાથે દ્રોણ રહ્યા.મગધ,કલિંગ-આદિ રાજાઓ સાથે ભગદત્ત તેમની પાછળ રહ્યો.તેની પાછળ મેકલ,ત્રૈપુર આદિ યોદ્ધાઓ સહીત બૃહદબલ ઉભો.તેની પાછળ કામ્બોજ અને યવન યોદ્ધાઓ સાથે સુશર્મા (ત્રિગર્ત) ઉભો.તેની પાછળ અશ્વત્થામા ને તેની પાછળ દુર્યોધન ભાઈઓથી વીંટાઇને કૃપાચાર્ય ઉભા હતા.

Nov 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-969

 

અધ્યાય-૮૬-સાતમો દિવસ સમાપ્ત-પાંડવોનો જય 


॥ संजय उवाच ॥ विरथं तं समासाद्य चित्रसेन यशस्विन I रथमारोपयासाम विकर्णस्तनयस्तन ॥१॥

સંજયે કહ્યું-એ પ્રમાણે રથ વગરના થયેલા તે ચિત્રસેન પાસે આવીને વિકર્ણે તેને પોતાના રથ પર બેસાડી દીધો.પછી,તે સંકુલયુદ્ધે અત્યંત તુમુલ સ્વરૂપ જયારે પકડ્યું ત્યારે ભીષ્મ એકદમ યુધિષ્ઠિર તરફ ધસી ગયા.તે વખતે સર્વ કંપી ઉઠ્યા ને યુધિષ્ઠિરને મૃત્યુના મુખમાં આવેલા માનવા લાગ્યા.યુધિષ્ઠિર પણ નકુલ અને સહદેવની સાથે ભીષ્મ સામે આવી જઈને હજારો બાણો મૂકી ભીષ્મને છાઈ દીધા.સામે ભીષ્મે પણ બાણોનો સમૂહ છોડીને યુધિષ્ઠિરને ચારે બાજુથી અદશ્ય કરી દીધા.યુધિષ્ઠિરે ભીષ્મ તરફ સર્પ સમાન ઝેરી નારાચ બાણ છોડ્યું,જેને ભીષ્મે ક્ષુરપ્ર બાણથી વચ્ચે જ છેદી નાખ્યું અને બીજા બાણોથી યુધિષ્ઠિરના ઘૉડાઓનો સંહાર કર્યો.ત્યારે યુધિષ્ઠિર નકુલના રથ પર ચડી ગયા.

Nov 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-968

 

અધ્યાય-૮૫-સાતમો દિવસ (ચાલુ) અર્જુનનું પરાક્રમ 

॥ संजय उवाच ॥ स तायमान्स्तु शरैर्धनंजयः पदाहतो नागइव श्वसन बली I बाणेन बाणेन महारथां विच्छेद चापानिरणे प्रसह्य ॥१॥ 

સંજયે કહ્યું-જયારે તમારા સૈનિકોએ બાણોનો પ્રહાર કરવા મંડ્યો,ત્યારે બળવાન અર્જુને પાદપ્રહારને પામેલા સર્પની જેમ ફૂંફાડો મારીને,એકેક બાણ મૂકીને સર્વ મહારથીઓને ધનુષ્યોને એકદમ કાપી નાંખ્યાં ને તેઓનો એક સાથે જ નાશ કરી નાખવાનો નિશ્ચય કરીને તેઓને બાણો વડે વીંધવા લાગ્યો.અર્જુનથી મરાયેલા રાજાઓના મસ્તકો રણભૂમિ પર પડવા લાગ્યા.ત્યારે ત્રિગર્ત રાજ સુશર્મા,પોતાના બત્રીસ પૃષ્ઠરક્ષકોથી ઘેરાઈ ત્યાં આવી પહોંચ્યો ને તે સર્વેએ અર્જુન પર બાણોની વૃષ્ટિ કરી.

ત્યારે ક્રોધાયમાન થયેલા અર્જુને સાઠ બાણો છોડીને તે પૃષ્ઠરક્ષકોને હણી નાખ્યા.ને આગળ વધવા લાગ્યો.

Oct 31, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-967

 

અધ્યાય-૮૪-સાતમો દિવસ (ચાલુ) સુશર્મા અને અર્જુનનો સમાગમ 


॥ संजय उवाच ॥ ततो युधिष्ठिरो राज मध्यं प्राप्ते दिवाकरे I श्रुतयुषममिप्रेक्ष्य प्रेषयामास वाजिनः ॥१॥ 

સંજયે કહ્યું-સૂર્યનારાયણ જયારે આકાશના મધ્ય ભાગમાં આવી પહોંચ્યા ત્યારે યુધિષ્ઠિરે શ્રુતાયુષને જોઈને તેના તરફ પોતાના ઘોડાઓને હાંક્યા.ને તીક્ષ્ણ નવ બાણોથી પ્રહાર કરતા યુધિષ્ઠિર તેના તરફ ધસ્યા.સામે શ્રુતાયુષે પણ તેમના બાણોનું નિવારણ કરીને સાત બાણોથી યુધિષ્ઠિર પર પ્રહાર કર્યો કે જે બાણોએ યુધિષ્ઠિરનાં કવચોને તોડી નાખી તેમને લોહીલુહાણ કરી દીધા.

ક્રોધાયમાન થયેલા યુધિષ્ઠિરે વરાહના કાન જેવા આકારવાળા બાણથી તેના હૃદય પર પ્રહાર કર્યો ને બીજા બાણથી તેની ધ્વજાને તોડી નાખી.શ્રુતાયુષે સામે બીજાં સાત બાણ મૂકી યુધિષ્ઠિરને વીંધવા માંડ્યું.

Oct 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-966

 

અધ્યાય-૮૩-સાતમો દિવસ (ચાલુ) દ્વંદ્વયુદ્ધ 


॥ धृतराष्ट्र उवाच ॥ बहूनि हि विचित्राणि द्वैरथानिस्म संजय I पांडुनां मामकै: सार्धमश्रोषं तव जल्पतः ॥१॥ 

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,'પાંડવોનાં મારા પુત્રો સાથે વિચિત્ર એવાં ઘણાં દ્વંદ્વયુદ્ધો થયાં' એમ કહેતા તારી પાસેથી મેં સાંભળ્યું.પણ મારા પક્ષના યોદ્ધાઓમાં કોઈને આનંદ થયો-એમ તો તું કહેતો જ નથી અને પાંડવોને હંમેશા આનંદ પામેલા અને અપરાજિત કહ્યા કરે છે.તું મારા પુત્રોને તો સંગ્રામમાં હારેલા,ઉદાસીન મતવાલા અને નિસ્તેજ જ કહ્યા કરે છે,એનું કારણ પ્રારબ્ધ જ છે.

Oct 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-965

 

અધ્યાય-૮૨-સાતમો દિવસ (ચાલુ) દ્વૈરથ યુદ્ધ 


॥ संजय उवाच ॥ तथा प्रवृत्ते संग्रामे निवृत्ते च सुशर्मणि I भग्नेषु चापि वीरेषु पाण्डवेन महात्मना ॥१॥ 

સંજયે કહ્યું-એ પ્રમાણે સંગ્રામ ચાલતો હતો અને સુશર્મા જયારે પાછો હટ્યો ત્યારે ભીષ્મ અર્જુન સામે ત્વરાથી ધસી ગયા.અર્જુનનું પરાક્રમ જોઈને દુર્યોધને સર્વ રાજાઓને અને સુશર્માને,ભીષ્મનું રક્ષણ કરવાનું કહ્યું.એટલે તે સર્વ રાજાઓ ભીષ્મની પાછળ ગયા.સામે ધસી આવતા અર્જુનને જોઈને તમારા સર્વ સૈન્યમાં તુમુલ શબ્દ થયો.તે જ રીતે ભીષ્મને ધસી આવતા જોઈને પાંડવ સૈન્યમાં પણ અનેક પોકારો થયા.અર્જુન અને ભીષ્મ વચ્ચે ભયંકર યુદ્ધ શરુ થયું.