અધ્યાય-૫૮-શિબિરાજાનું ચરિત્ર
II नारद उवाच II शिबिमौशिनरं चापि मृतं सृंजय शुश्रुम I य इमां पृथिवीं सर्वा चर्मवत पर्यवेष्टयत II १ II
નારદ બોલ્યા-હે સૃન્જય,ઉશીનરના પુત્ર શિબિરાજાને પણ અમે મરેલો સાંભળીએ છીએ.તેણે આખી પૃથ્વીને ચામડાની જેમ,પોતાની સત્તાથી ઘેરી લીધી હતી.એટલું જ નહિ તેણે પર્વત,બેટ,સમુદ્ર અને વન સાથેની આખી પૃથ્વીને પોતાના રથના ઘોષથી ગજાવી મૂકી હતી.તેણે પોતાના મુખ્ય મુખ્ય શત્રુઓનો સંહાર કરીને સંપૂર્ણ રીતે શત્રુજિત થયો હતો.તેણે સંપૂર્ણ દક્ષિણાવાળા અનેક જાતના યજ્ઞો કર્યા હતા.યુદ્ધમાં તે રાજા સર્વ રાજાઓમાં માનીતો થઇ પડ્યો હતો ને આખી પૃથ્વીનો વિજય કરીને ઘણા અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા.તે યજ્ઞોમાં તે જયારે દાન આપવા બેસતો,ત્યારે હાથી,ઘોડા,પશુઓ,ધાન્ય,ગાયો-આદિ સહીત પવિત્ર પૃથ્વીનું પણ તે દાન કરતો હતો.વરસાદની જેટલી ધારાઓ છે,આકાશમાં જેટલા તારાઓ છે,ગંગા નદીમાં જેટલી રેતી છે,મહાસાગરમાં જેટલાં રત્નો છે,તેટલી ગાયોનું દાન તે શિબિએ કર્યું હતું એમ કહેવાય છે.તે રાજાની સમાનતાની ધૂંસરીને વહી શકે તેવો ઉત્તમ નર,ભૂત,ભવિષ્ય કે વર્તમાનકાળમાં પ્રજાપતિને હજુ સુધી સૃષ્ટિમાં મળ્યો નથી.





