અધ્યાય-૬૦-રાજા ભગીરથનું ચરિત્ર
II नारद उवाच II भगीरथम् च राजानं मृतं सृंजय शुश्रुम I येन भागिरथि गंगा चयनै: कांचनैश्चिता II १ II
નારદ બોલ્યા-હે સૃન્જયરાજ,રાજા ભગીરથને પણ અમે મરણ પામેલો સાંભળ્યો છે.તેણે ગંગાને પૃથ્વી પર લાવી તેનાં બંને તીરો ને યાજ્ઞિક મંડળોથી વ્યાપ્ત કરી દીધાં હતાં.વળી,તેણે સર્વ રાજાઓ અને રાજપુત્રોનું અતિક્રમણ કરીને સુવર્ણના અલંકારોથી સુશોભિત એવી એકેક હજાર કન્યાઓનું બ્રાહ્મણોને એક હજાર વાર દાન કર્યું હતું.એ રાજા જયારે ગંગા કિનારે બ્રાહ્મણોને દક્ષિણા આપવા બેસતો ત્યારે તે સ્થળે એટલાં બધા માણસો ઉભરાતાં કે ગંગાનો કિનારો જાણે એમના ભારથી નમી જતો ને ગંગાના પ્રવાહનું પાણી છેક તે રાજાના ખોળામાં આવી વહેતું.એ રીતે જયારે ગંગા રાજાના ખોળામાં આવી બેઠી ત્યારે તે ઉર્વશી સંજ્ઞાને પામી અને તે જ કારણથી તે એ રાજાની પુત્રી તરીકે થઇ.





