અધ્યાય-૬૨-રાજા માંધાતાનું ચરિત્ર
II नारद उवाच II मांधाता चेद्योवनाश्वो मृतः सृंजय शुश्रुम I देवासुरमनुष्याणां त्रिलोक्यविजयी नृपः II १ II
નારદ બોલ્યા-હે સૃન્જય,યુવનાશ્વનો પુત્ર માંધાતા પણ મરી ગયો છે એમ આપણે સાંભળીએ છીએ.તે રાજાએ દેવો,અસુરો ને મનુષ્યોનો જય કરીને ત્રણે લોક પર વિજય મેળવ્યો હતો.અશ્વિનીકુમારે તે રાજાને એના પિતાના પેટમાંથી બહાર કાઢ્યો હતો.એવું બન્યું હતું કે-એકવાર રાજા યુવનાશ્વ મૃગયા રમવા ગયો હતો ને ફરતાં ફરતાં તરસ્યો થયો હતો,ત્યારે રાજાએ પાણીની શોધ કરી.એટલામાં દહીં છાંટેલા ઘીનું પાત્ર તેના જોવામાં આવ્યું અને તે પોતે તે પી ગયો.મંત્રના પ્રભાવવાળા તે ઘીથી તે રાજાના પેટમાં ગર્ભ રહ્યો.આ વાતની વૈદ્યશ્રેષ્ઠ અશ્વિનીકુમારને જાણ થઇ,એટલે તેમણે રાજાનું પેટ ચીરીને બાળકને બહાર કાઢ્યો.ત્યારે પિતાના ખોળામાં સુતેલા તે બાળકને જોઈને દેવો માંહેમાંહે વાતો કરવા લાગ્યા કે 'આ બાળક કોને ધાવશે?'





