અધ્યાય-૯૭-દ્રોણ અને ધૃષ્ટદ્યુમ્ન
II संजय उवाच II तथा तस्मिन् प्रवृत्ते तु संग्रामे लोमहर्षणे I कौरवेयास्त्रिधाभूतान् पांडवा: समुपाद्रवन् II १ II
સંજય બોલ્યો-આમ રુંવાં ઉભા થઇ જાય તેવો સંગ્રામ મચી રહ્યો હતો ત્યારે પાંડવોએ ત્રણ ભાગમાં વહેંચાઈ ગયેલા કૌરવ સૈનિકો સામે ધસારો કર્યો.એ યુદ્ધમાં ભીમસેન જલસંઘ સામે ને યુધિષ્ઠિર કૃતવર્મા સામે ચઢી ગયા.ધૃષ્ટદ્યુમ્ન,દ્રોણાચાર્ય સામે ધસ્યો અને બંને વચ્ચે ધમાસાણ સંગ્રામ થયો.તે બંનેએ સામસામાં બાણોનો વરસાદ વરસાવ્યો કે જેથી તે રણભૂમિ,સૈનિકોના મસ્તકોથી ભરચક થઇ ગઈ.બંને વચ્ચે નિર્મર્યાદ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ધૃષ્ટદ્યુમ્ને પોતાના ઘોડાઓને દ્રોણાચાર્યના ઘોડાઓ સાથે અથડાવી દીધા.ને દ્રોણાચાર્યને સમીપમાં જોઈને ધૃષ્ટદ્યુમ્ને ધનુષ્યનો ત્યાગ કરીને ઢાલ-તલવાર હાથમાં લીધી ને તેમના રથની ઇષ પર થઈને તેમના રથમાં દાખલ થયો.





