અધ્યાય-૧૬૪-સંકુલ યુદ્ધ
II संजय उवाच II प्रकाशिते तदलोके रजसा तमसा वृते I समाजग्मुरथो वीराः परस्परवधैषिण II १ II
સંજય બોલ્યો-સર્વ સ્થળે દીવા પ્રગટાવ્યા,એટલે તુરત અંધકાર અને રજથી છવાઈ ગયેલા એ રણમાં પ્રકાશ પ્રકાશ થઇ રહ્યો.પછી,પરસ્પરનો વધ કરવા ઇચ્છતા સર્વ યોદ્ધાઓ યુદ્ધ માટે સામસામે ધસ્યા.ત્યારે,એ ઘોર રાત્રિના આરંભમાં તમારા પુત્રની આજ્ઞાથી વીર યોદ્ધાઓ સામસામે જુદાં જુદાં યુદ્ધ કરવા મચી પડ્યા હતા.હાથીસવારો હાથીસવારોની સામે,ઘોડેસ્વારો ઘોડેસ્વારોની સામે ને રથી યોદ્ધાઓ રથી યોદ્ધાઓ સામે લડવા લાગ્યા ને જોતજોતામાં તો ત્યાં તે ચતુરંગી સૈન્યનો મહાસંહાર થવા લાગ્યો હતો.સર્વ રાજાઓનો સંહાર કરીને અર્જુન કૌરવોની સેનાને છિન્નભિન્ન કરવા મંડી પડ્યો હતો.


