અધ્યાય-૧૬૯-રાત્રિયુદ્ધનું રૌદ્ર સ્વરૂપ
II संजय उवाच II नकुलं रमसं युद्धे निघ्नंतं वाहिनीं तव I अभ्ययात सौबलः कृद्वस्तिष्ठ तिष्ठेति चात्रवित II १ II
સંજય બોલ્યો-એ યુદ્ધમાં નકુલ વેગપૂર્વક તમારી સેનાનો સંહાર કરી રહ્યો હતો તે સમયે સુબલપુત્ર શકુનિ તેની સામે ધસ્યો.ને તેમની વચ્ચે યુદ્ધ શરુ થયું.તે બંને એકબીજા પર પ્રહાર કરી રહ્યા હતા ને બંને લોહીથી લથબથ થયા હતા.કોપિત શકુનિએ ત્યારે એક કર્ણઆકારનું બાણ મૂકીને નકુલના હૃદયને વીંધ્યું કે જેથી તે મૂર્છા પામીને રથની બેસણી પર બેસી ગયો.થોડીવારે જયારે તેને ભાન આવ્યું ત્યારે તે ફરીથી શકુની તરફ ધસ્યો ને તેના ધનુષ્યને કાપી નાખ્યું ને બાણો મૂકી તેનો સાથળોને ઘાયલ કર્યા.ઘણો ઘાયલ ને બેભાન થયેલો શકુની ધજાના દાંડાને પકડી રથની બેઠક પર બેસી ગયો.ત્યારે તેનો સારથિ તેને રણમાંથી દૂર લઇ ગયો.આમ,શકુનિને હરાવીને નકુલ સિંહનાદ કરવા લાગ્યો ને પછી તે દ્રોણાચાર્ય પ્રતિ ધસ્યો.


