અધ્યાય-૧૯૭-ભીમસેન અને ધૃષ્ટદ્યુમ્નનાં અર્જુન પ્રત્યે વચનો
II संजय उवाच II अर्जुनस्य वचः श्रुत्वा नोचुस्तत्र महारथाः I अप्रियं वा प्रियं वापि महाराज धनंजयम् II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,અર્જુનનાં એ વચનો સાંભળીને ત્યાં રહેલા સર્વ મહારથીઓએ અર્જુનને પ્રિય કે અપ્રિય કશું જ સામું કહ્યું નહિ પણ એ વચન સાંભળીને ભીમસેન કોપીને જાણે અર્જુનની નિંદા કરતો હૉય તેમ બોલી ઉઠ્યો કે-અરે પાર્થ,આ તો તું અરણ્યવાસી મુનિના જેવું ને તીક્ષ્ણ વ્રત આચરતા બ્રાહ્મણના જેવું ધર્મવચન કહે છે,પણ ક્ષત્રિયો તો સર્વ કોઈનું રખવાળું કરે છે.તું ક્ષત્રિયનાં સર્વ ગુણોથી યુક્ત છે ને આપણા કુળમાં ધુરંધર છે છતાં આજે આમ અજ્ઞાનીની જેમ બોલે છે તે તને શોભતું નથી.ખરે,તારું પરાક્રમ ઇન્દ્રના જેવું જ છે ને તું પણ કદી ધર્મનું ઉલ્લંઘન કરતો નથી,તો કયો પુરુષ તારી પૂજા નહિ કરે?કારણકે તેર વર્ષના ક્રોધ અને દુઃખને અંતે પણ તું આજે ધર્મની જ અભિકાંક્ષા રાખે છે !!





