Aug 21, 2026

ભાગવત રહસ્ય-૨૩૨-Bhgavat Rahasya-232

સીતાજીએ વરમાળા પહેરાવવા હાથ ઉંચા કર્યા છે-પણ રામજી માથું નીચું કરતા નથી.
વિશ્વામિત્ર દોડતા ત્યાં આવ્યા છે-રામજી કહે છે-કે લગ્ન થાય એવી મારી ઈચ્છા છે-
પણ માતપિતાની આજ્ઞા વગર મારાથી લગ્ન ન થાય.
વિશ્વામિત્ર:-મને કૌશલ્યા માએ કહ્યું છે-કે –મારા રામજીના લગ્ન થાય.
રામજી--પણ આ કન્યા સાથે લગ્ન થાય તેવી ક્યાં આજ્ઞા છે ?

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1200

 

વ્યાસજી બોલ્યા-તેં આશ્ચર્ય થઈને જે પ્રશ્ન પૂછ્યો છે તેનો ઉત્તર તું સાંભળ.જે આપણા પૂર્વજોના પણ પૂર્વજ ભગવાન નારાયણ છે,તે જ આદિદેવ,જગન્નાથ,લોકકર્તા અને પોતે જ બધું જ કરવામાં સમર્થ છે.તે આ સંપૂર્ણ જગતના આદિકારણ અને પોતે આદિ-અંતથી રહિત છે.પોતાની મર્યાદાથી કદી પણ ચ્યુત ન થવાને કારણે તે 'અચ્યુત' કહેવાય છે.શ્રુતિઓ અને મહર્ષિઓ તેમના જ તત્વની વિવેચન કરે છે.તે જગદીશ્વરને સમસ્ત પ્રાણી મનથી પણ જીતવાને અસમર્થ છે.તે વિશ્વવિધાતા ભગવાન એક વખતે કોઈ વિશેષ કાર્યને માટે ધર્મના પુત્રરૂપે અવતીર્ણ થયા હતા.તેમણે હિમાલય પર્વત પર રહીને પોતાની બે ભુજાઓ ઊંચે ઉઠાવી રાખીને કઠોર તપસ્યા કરી હતી.તે કમલનયન શ્રીહરિએ છાસઠ હજાર વર્ષો સુધી કેવળ વાયુ પીને પોતાના શરીરને સુકાવ્યું.ને પછી તેનાથી પણ બે ગણા કાળ સુધી તપસ્યા કરીને પોતાના તેજથી પૃથ્વી ને આકાશને ભરી દીધું.(60)

Aug 20, 2026

ભાગવત રહસ્ય-૨૩૧-Bhgavat Rahasya-231

મોટા મંડપની અંદર સીતાજીનો સ્વયંવર રચાયો છે.વિશ્વામિત્ર,રામ-લક્ષ્મણની સાથે પધાર્યા છે.
જનકજીએ જાહેર કર્યું-પૃથ્વીને નક્ષત્રી કરી,પરશુરામજીએ આ શંકર ભગવાનનું ધનુષ્ય 
મારા ઘરમાં રાખ્યું છે,હજાર યોદ્ધાઓ ભેગા મળે ત્યારે જ આને ઉઠાવી શકે છે. 
મારી દીકરી સીતા –ત્રણ વર્ષની હતી –ત્યારે આ ધનુષ્યનો ઘોડો બનાવીને રમતી હતી,
માટે જે કોઈ આ ધનુષ્યને ઉઠાવશે,અને તેની પણછ ચડાવશે-તેને હું મારી કન્યા પરણાવીશ.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1199

 

અધ્યાય-૨૦૧-અશ્વત્થામાનું આગ્નેયાસ્ત્ર-રણમાં વ્યાસજી(શતરુદ્રીય સ્તોત્રઆરંભ)


II संजय उवाच II तत्प्रभग्नं बलं दष्ट्वा कुन्तीपुत्रो धनंजय I न्यवारयदमेयात्मा द्रोणपुत्रजयेष्मया  II १ II

સંજય બોલ્યો-પોતાના સૈન્યમાં એ પ્રમાણે ભંગાણ પડેલું જોઈને કુંતીપુત્ર અર્જુન અશ્વત્થામાનો પરાજય કરવાની ઈચ્છાથી પોતાના સૈન્યને પાછું વાળવા લાગ્યો.તે સૈનિકોને ઉભા રાખવા પ્રયત્ન કરરતો હતો છતાં તે રણમાં ઉભા રહ્યા નહિ એટલે એકલો અર્જુન,સોમક,મત્સ્ય યોદ્ધાઓને લઈને અશ્વત્થામા તરફ ધસ્યો,ને તેને કહેવા લાગ્યો કે-'અરે ઓ અશ્વત્થામા,તારામાં જે શક્તિ હોય,તને કૌરવો તરફ પ્રેમ હોય,તને મારા પ્રત્યે જે દ્વેષ હોય,તે બધું આજે તું મારી આગળ દેખાડી દે.જેણે દ્રોણાચાર્યનો વધ કર્યો છે તે ધૃષ્ટદ્યુમ્ન જ તારા ગર્વનો નાશ કરશે.પણ,તું અત્યંત છકી ગયો છે તો તારા ગર્વનો હું નાશ કરીશ'

Aug 19, 2026

ભાગવત રહસ્ય-૨૩૦-Bhgavat Rahasya-230

જનક મહાજ્ઞાની છે.સંસારમાં રહે છે-પણ જનકરાજાના “મન” માં સંસાર નથી.
સંસારમાં રહેવાથી પાપ થતું નથી પણ સંસારને મનમાં રાખવાથી પાપ થાય છે.
ગીતામાં બીજા કોઈ રાજાનાં વખાણ કર્યા નથી પણ શ્રીકૃષ્ણે જનકરાજાના વખાણ કર્યા છે-
લખ્યું છે-કે-“જનક રાજાએ કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી હતી.”
જનકરાજાની સતત આત્મદૃષ્ટિ હતી. સતત એક જ ભાવના હતી કે 
“હું શરીર નહિ-શુદ્ધ ચેતન આત્મા છું”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1198

 

અધ્યાય-૨૦૦-નારાયણાસ્ત્રની શાંતિ અને અશ્વત્થામાનું પરાક્રમ 


II संजय उवाच II भीमसेनं समाकीर्ण द्रष्ट्वास्त्रेण धनंजय I तेजसः प्रतिघाताय् वारुणेन समावृणोत II १ II

સંજય બોલ્યો-ભીમસેનને નારાયણાસ્ત્રથી ઢંકાઇ ગયેલો જોઈને અર્જુને તે અસ્ત્રના તેજનો વિનાશ કરવા માટે તેને વારુણાસ્ત્રથી ઢાંકી દીધો.પણ અર્જુનનું તે અસ્ત્ર નારાયણાસ્ત્રથી નાનું હતું,ને ભીમસેન તદ્દન દટાઈ ગયો હતો એટલે રણમાં કોઈને ય ખબર પડી નહિ કે અર્જુને ભીમસેનને વારુણાસ્ત્રથી ઢાંકી દીધો છે.ઘોડા,સારથી અને રથ સાથે ભીમસેન અશ્વત્થામાના તે અસ્ત્રમાં ઢંકાઈ ગયો હતો.તે વખતે સર્વ સૈન્ય બેભાન ને શસ્ત્રરહિત થયું હતું.ભીમસેનની દશા જોઈને અર્જુન ને વાસુદેવ,ભીમસેન તરફ દોડી ગયા.ને ત્યાં જઈને નારાયણાસ્ત્રના અસ્ત્રબળથી ઉત્પન્ન થયેલા તેજમાં માયાથી પ્રવેશ કર્યો.