Aug 1, 2019

ભાગવત રહસ્ય-૨૪

ગોકર્ણ આત્મદેવને કહે છે- 'પિતાજી બહોત ગઈ થોડી રહી. ગંગા કિનારે જઈ ઠાકોરજીની સેવા કરો.' મનને વિક્ષેપ થાય ત્યારે તેને કૃષ્ણ કથામાં લઇ જાવ. ભાવના કરશો તો હૃદય પીગળશે. પરદોષ દર્શન –એ સેવામાં,સત્કર્મમાં વિઘ્ન રૂપ છે-- માટે તેનો ત્યાગ કરો. ભગવાનમય જીવન ગાળવા માટે –ધ્યાન,જપ અને પાઠ અતિ આવશ્યક છે.

ઉત્તમ પાઠના છ અંગ છે. અક્ષરનો સ્પષ્ટ ઉચ્ચાર,પદચ્છેદનું જ્ઞાન,ધીરજ,લયનું સામર્થ્ય અને મધુર કંઠ,
પાઠ શાંત ચિત્તે કરવો,ઉતાવળથી સમજ્યા વગર ના કરવો.ગોકર્ણ કહે છે કે-'પિતાજી પ્રાતઃ કાળમાં તમે પરમાત્માની સેવા કરો,ધ્યાન કરો. ધ્યાન કરતાં કંટાળો આવે,મન છટકી જાય તો કિર્તન કરો.રોજ રાતે ભાગવતના દશમ સ્કંધ(કૃષ્ણ લીલા) નો પાઠ કરો. કૃષ્ણ લીલાનું ચિંતન કરો.,

આત્મદેવ ગંગા કિનારે આવ્યા છે. માનસી સેવા કરવા લાગ્યા. એકાંત,મનને એકાગ્ર કરે છે. ચંચળ મનને, વિવેકરૂપી બોધથી સાચવવું.અને ધ્યાનમગ્ન રાખવું, સંકલ્પ-વિકલ્પથી દૂર રાખવું, માનસિક સેવામાં મનની ધારા અતુટ રહેવી જોઈએ.સેવામાં દિવ્યતા રહેલી છે. ઉચ્ચ સ્વરથી જપ કરવાથી(પણ) મનની એકાગ્રતા થાય છે.નિરોધ થાય છે.આત્મદેવ સતત ભગવદધ્યાનમાં તન્મય બન્યા છે.
નિવૃત્તિમાં સતત સત્કર્મ થવું જોઈએ,નહીતર નિવૃત્તિમાં પાપ બહાર આવે છે.ભાગવતના દશમ સ્કંધનો નિત્ય પાઠ કરવાથી આત્મદેવ ખરેખરો દેવ બન્યો છે. આત્મા પરમાત્માને મળે ત્યારે દેવ બને છે. આજે જીવ અને શિવ એક બન્યા છે. જીવ અને ઈશ્વરનું મિલન થયું છે. જે ઈશ્વરનો થાય છે,તેને પરમાત્મા અનેક વાર પોતાના કરતાં પણ મોટો બનાવે છે.

પરમાત્માના બે સ્વરૂપો છે.-એક અર્ચા-સ્વરૂપ અને બીજું નામ-સ્વરૂપ.
સામગ્રીથી જેની સેવા થાય તે અર્ચા સ્વ-રૂપ. શ્રીમદ ભાગવત એ ભગવાનનું નામ-સ્વરૂપ છે.
પરમાત્માના બે બીજા પણ સ્વરૂપો કહે છે.-નિર્ગુણ(નિરાકાર) અને સગુણ(સાકાર).

પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ સર્વમાં છે. દુધમાં માખણ છે-પણ દુધમાં હાથ નાખવાથી માખણ-હાથમાં આવતું નથી.પણ જેમ,દુધના પ્રત્યેક અણું-પરમાણુમાં માખણ છે-તેમ,પરમાત્માનું નિરાકાર સ્વરૂપ પ્રત્યેક પદાર્થમાં છે. પ્રભુનું નિરાકાર સ્વરૂપ આંખને દેખાતું નથી,એટલે તેની સાથે પ્રેમ કરવો અઘરો છે.પરમાત્માનું નિરાકાર સ્વરૂપ બુદ્ધિગ્રાહ્ય(માત્ર બુદ્ધિ થી જ સમજાય તેવું) છે, એટલે બુદ્ધિ જયારે સંપૂર્ણ નિષ્કામ બને –
ત્યારે જ તેનો અનુભવ થાય છે.

પરમાત્માનું બીજુ સ્વરૂપ સાકાર સ્વરૂપ છે. તે તેજોમય હોવાથી –તે તેજ સહન કરવાની મનુષ્યમાં શક્તિ નથી.આપણા માટે પ્રભુના નિર્ગુણ અને સાકાર સ્વરૂપ દુર્લભ છે. પણ પરમાત્માએ આપણા માટે એક સ્વરૂપ સુલભ રાખ્યું છે,અને તે છે-નામ સ્વરૂપ. ભગવાનના નામ સાથે પ્રીતિ કરે,તેને એક વખત જરૂર પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે.

પ્રભુના નામમાં પ્રીતિ થતી નથી,ત્યાં સુધી ભગવાનમાં આસક્તિ થતી નથી. નામ સેવા વિના સ્વરૂપ સેવા ફળતી નથી.નામમાં જ્યાં સુધી નિષ્ઠા ના થાય ત્યાં સુધી સ્વરૂપ-સેવામાં પ્રીતિ થતી નથી. નામ સેવાથી મન શુદ્ધ થાય છે. પછી જ સ્વરૂપ સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.

સ્વરૂપ સેવા બરોબર થતી નથી –તેનું કારણ એ છે કે-મન શુદ્ધ નથી. મનની શુદ્ધિ વગર સ્વરૂપ-સેવામાં આનંદ મળતો નથી. સેવા કરવાવાળા સંસાર સાથે સ્નેહ કરે તો સ્વરૂપ સેવા કરવાનો આનંદ ક્યાંથી આવે ? સેવા કરવી હશે તો સંસારનો સ્નેહ છોડવો પડશે. સંસારના વિષયો સાથે સ્નેહ કદાચ કરો,પણ વિવેકપૂર્વક સ્નેહ કરો.અગ્નિ બાળે છે, પણ તેનો વિવેક પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો,તે ઉપયોગી થઇ શકે છે.
અગ્નિ ના હોય તો મનુષ્યનું પોષણ થઇ શકે નહિ.

સંસારમાં જ્યાં સુધી દેહનું ભાન છે,ત્યાં સુધી મનુષ્ય સંસાર છોડી શકતો નથી.
જે મન માયાને સ્પર્શ કરે ત મન મનમોહનની સેવામાં જઈ શકતું નથી. મન વારંવાર માયાના વિચાર કરે છે, ત્યારે તે મલિન(ગંદુ) બને છે. શ્રીકૃષ્ણના સ્મરણ વિના મન સંસારમાં રત રહે તો માનજો, મારું મન શુદ્ધ નથી.
નામ સ્વરૂપનો આશ્રય કર્યા વિના મન શુદ્ધ થતું નથી.

જ્યાં સુધી સ્વરૂપ સેવામાં મન એકાગ્ર ના થાય ત્યાં સુધી નામ સેવા કરો. તનથી નહિ મનથી ઠાકોરજી ના ચરણમાં રહેજો.જે પરમાત્માના ચરણ માં બેઠો છે,તેને આનંદ મળવો જોઈએ.અત્તર વાળાની દુકાને બેસો તો અત્તરની સુગંધ આવે છે. આનંદરૂપ પ્રભુના ચરણમાં રહેવાથી આનંદ મળે છે.

સ્વરૂપ સેવા કરતાં-હૃદય પીગળે,આંખો ભીની થાય,આનંદ આવે અને સાત્વિક ભાવ જાગે તો-સેવા સફળ થઇ છે –તેમ સમજજો. સેવા એ હૃદયનો ભાવ છે. જીવ શુદ્ધ થઇ પરમાત્માની સેવા કરે ત્યારે ઠાકોરજી પ્રેમ થી પ્રસન્ન થાય છે.

મન ને શુદ્ધ કરવા-નામ સેવાની જરૂર છે. મન શુદ્ધ કરે તે ભાગવત. કળિયુગમાં નામ સેવા પ્રધાન છે.
ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે.નામ એ જ બ્રહ્મ છે.નામ એ જ પરમાત્મા છે.
નામ એ પરમાત્મા કરતાં પણ શ્રેષ્ઠ છે.ઈશ્વર દેખાતા નથી. નામ સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે.
જે વ્યક્તિના પ્રત્યક્ષ દર્શન ના થયાં હોય,તેના નામને પકડી રાખો, તો જરૂર તેના દર્શન થશે.

       NEXT PAGE               
     INDEX PAGE