Sep 19, 2019

ભાગવત રહસ્ય-૬૮

નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-નારદજીએ કહ્યું તે સમય આવ્યો હોય તેમ લાગે છે. મને કળિયુગની છાયા દેખાય છે. મારા રાજ્યમાં અધર્મ વધી ગયો છે. લોકો જુઠ્ઠું બોલે છે,અનીતિ અને ચોરી વધી ગઈ છે. લોકોને ઘર ના બારણા પર તાળાં મારવાં પડે છે. મને ઘણા અપશુકન થાય છે. મંદિરમાં ઠાકોરજીનું સ્વરૂપ મને આનંદમાં દેખાતું નથી. શિયાળ અને કૂતરાઓ મારી સમક્ષ રડે છે. લાગે છે કે હવે કોઈ દુઃખની વાત સાંભળવી પડશે. અર્જુન હજુ દ્વારકાથી આવ્યો નથી.તે આવી જાય પછી-આપણે જલ્દી હિમાલય તરફ પ્રયાણ કરીએ.

આમ વાતો કરતા હતા –તે જ વખતે –અર્જુન દ્વારકાથી આવ્યો. તેના મુખ પર જરાયે તેજ દેખાતું નહોતું. યુધિષ્ઠિરને ઘણી ચિંતા થઇ. તેમના મગજ માં જાતજાતના તર્કો આવી ગયા-છેવટે તેમણે-અર્જુનને –તેની ઉદાસીનતા અને તેજહીનતાનું કારણ પૂછ્યું.અર્જુન કહે છે-કે-મોટાભાઈ શું કહું ? મારા પ્રભુએ મારો ત્યાગ કર્યો છે. લાક્ષાગૃહમાં જેમણે આપણું રક્ષણ કર્યું-હતું –તે-પ્રભુ સ્વધામમાં પધાર્યા છે. અંતકાળે પ્રભુ મને સાથે લઇ ગયા નહિ.

મને કહ્યું-“તું સાથે આવ્યો નથી તો સાથે ક્યાંથી લઇ જાઉં ? મેં તને ગીતાનું જ્ઞાન આપ્યું છે-તે તારું રક્ષણ કરશે.” મોટાભાઈ હું શું કહું ? મારી આજ દિન કદી હાર થઇ ન હતી. પણ કૃષ્ણ વિરહમાં હું આવતો હતો ત્યારે કાબા લોકોએ મને લુંટી લીધો. મને ખાતરી થઇ છે કે-મારામાં જે શક્તિ હતી તે મારી ન હતી પણ મારા પ્રભુની પ્રસાદી હતી. તે શક્તિ દ્વારકાનાથની હતી-જે તેમના ચાલ્યા જવાથી ચાલી ગઈ છે. પ્રભુના અનંત ઉપકારો આજે યાદ આવે છે.પ્રભુએ અર્જુનને દ્વારકાથી હસ્તિનાપુર જવાની આજ્ઞા કરેલી. 

અર્જુનમાં અભિમાન હતું કે-મારા જેવો વીર જગત માં કોઈ નથી.ભગવાનને થયું કે આ અભિમાન તેનું પતન કરશે. અર્જુનનું અભિમાન દૂર કરવા-શ્રીકૃષ્ણ જ કાબા રૂપે ત્યાં ગયા હતા.
અર્જુન –શ્રીકૃષ્ણના ઉપકારો એક એક કરી યાદ કરે છે. અને ધર્મરાજાને કહે છે-“મોટાભાઈ –દ્રુપદ રાજાના દરબારમાં મેં મત્સ્ય વેધ કર્યો-તે શક્તિ દ્વારકા નાથની હતી.પ્રભુએ માત્ર આંખથી શક્તિનું પ્રદાન કરેલું.
કિરાતના યુદ્ધ વખતે હું શંકર સાથે યુદ્ધ કરી શક્યો પણ તેમના પ્રતાપે.

દ્રૌપદીના પર તેમનો કેવો પ્રેમ હતો ?તેના ચીરહરણના પ્રસંગે -જયારે આપણે બધા નિસહાય હતા –તે વખતે એમણે જ અદશ્ય રૂપે ચીર પૂર્યા હતા.દુર્યોધને કપટ કરીને-આપણા નાશ માટે દુર્વાસાને દસ હજાર બ્રાહ્મણો સાથે મોકલ્યા હતા.ત્યારે અક્ષય પાત્રમાં બચેલા -ભાજીના માત્ર એક પાન પોતે આરોગી-તેમણે તે સર્વ બ્રાહ્મણોનેને તૃપ્ત કર્યા અને - દુર્વાસાના શાપમાંથી –સંકટમાંથી  ઉગાર્યા હતા.”

દુર્વાસાની કથા એવી છે કે-દસ હજાર બ્રાહ્મણોને જે જમાડે-તેના ઘરનું જમવું-એવો દુર્વાસાનો નિયમ હતો. દુર્યોધને ચાર મહિના સુધી –દસ હજાર બ્રાહ્મણો અને દુર્વાસાને જમાડ્યા. દુર્વાસા પ્રસન્ન થયા છે. કહે છે-કે –“ગઈકાલે નિર્જળા એકાદશી હતી-આજે પારણાં કરી-તને આશીર્વાદ આપી-અમે જઈશું.”
દુર્યોધને વિચાર્યું ઋષિના શાપથી –પાંડવોનો નાશ કરવાનો આ સારો અવસર છે. ઋષિનો ગઈકાલ નો અપવાસ છે.અત્યારે જો તેમને પાંડવોના ત્યાં ભોજન માટે મોકલીએ તો –તેમને પહોંચતા વાર લાગે. સૂર્યદેવે-દ્રૌપદીને અક્ષય-પાત્ર –આપેલું છે.પણ –દ્રૌપદીના જમી લીધા પછી તેમાંથી કશું નીકળતું નથી. આ બ્રાહ્મણો જો દ્રૌપદીનું ભોજન થયા પછી ત્યાં પહોંચે.તો તેમને –ભોજન કોઈ પણ રીતે કરાવી શકે નહિ. દુર્વાસા ને ભોજન નહિ મળતાં-ક્રોધથી પાંડવોને શાપ આપશે. અને તેમની દુર્ગતિ કરશે.

દુર્યોધને કપટ કર્યું છે.અને ઋષિઓને પાંડવો પાસે યુક્તિ-પ્રયુક્તિ કરી-દ્રૌપદી ભોજન કરી લીધા પછી જ –ત્યાં પહોંચે –તેવી ગોઠવણ કરી. દુર્વાસા –દૂર્યોધનનું આ કપટ સમજી શક્યા નહિ. અને દસ હજાર બ્રાહ્મણો સાથે-પાંડવો પાસે વનમાં આવ્યા છે.અને ધર્મરાજાને કહે-છે-કે- ગઈકાલની નિર્જળા એકાદશી કરી છે.અમને અતિશય ભુખ લાગી છે. ભોજન માટે આવ્યા છીએ.ધર્મરાજાએ દુર્વાસાનું સ્વાગત કર્યું છે. કહે છે કે-પધારો.બહુ કૃપા કરી છે.મને સેવાનો લાભ આપ્યો. માર્ગમાં પરિશ્રમ થયો હશે.આપ સહુ ગંગાસ્નાન કરી આવો.ત્યાં સુધી હું રસોઈની તૈયારી કરાવું છું.

ઘરમાં એક ચોખાનો ય દાણો નથી. ખબર છે કે –દ્રૌપદીએ જમી લીધું છે-હવે અક્ષયપાત્રમાંથી કશું પણ મળશે નહિ.પણ ધર્મરાજ નું ધૈર્ય કેવું છે !! તેમને વિશ્વાસ છે-કે-“અતિદુઃખમાં પણ મેં કોઈ દિવસ પાપ કર્યું નથી-ભગવાનને ભૂલ્યો નથી-કે ધર્મ છોડ્યો નથી.તો ધર્મરૂપ પરમાત્મા મારી રક્ષા કરશે.” તે પરમાત્માનું સ્મરણ કરે છે. ભીમ –અર્જુન ગભરાયા છે.દ્રૌપદીની ચિંતાનો પાર નથી.હૈયું ભરાઈ આવ્યું અને દ્વારકાનાથને પોકાર પાડે છે. 

દ્રૌપદી કિર્તન કરતાં-કરતાં પ્રભુ ને વિનવે છે.“નાથ મારી લાજ જશે તો જગતમાં હાંસી તારી થશે. આજ દિન લાગી અનેક વાર મારી લાજ રાખી છે-તો આજે પણ રાખજે.આજે દસ હજાર બ્રાહ્મણો જમાડવાના છે.તે ભૂખ્યા રહેશે તો શાપ આપશે.” દ્રૌપદી ગભરાયાં છે.અરજ સુણી-શ્રીકૃષ્ણ ત્યાં દોડતા આવ્યા છે. દ્રૌપદીને કહે છે-તારી અરજથી દોડતો આવ્યો છું. પહેલાં મને કંઇ જમાડ.

દ્રૌપદી એ હાથ જોડ્યા છે. હાલ ઘરમાં કંઇ નથી. શ્રીકૃષ્ણ કહે છે-મને અક્ષયપાત્ર બતાવ. શ્રીકૃષ્ણના હાથમાં દ્રૌપદીએ અક્ષય પાત્ર આપ્યું. પરમાત્મા એ એંની અંદર થી ખૂણા પર ચોંટેલું ભાજીનું પાન ખોળી નાખ્યું. ભાજીનું પાન તો ત્યાં ક્યાં હતું? પણ પ્રભુ એ જ પોતાના યોગબળથી ભાજીનું પાન ત્યાં ઉત્પન્ન કર્યું છે.

ભગવાન ભાજીનું પાન આરોગે છે. ભગવાન તૃપ્ત થયા છે. ભાજીના પાનમાં નહિ પણ દ્રૌપદીના પ્રેમમાં શક્તિ હતી.“સર્વ માં અંતર્યામી રૂપે હું રહેલો છું.હું તૃપ્ત થયો એટલે જગતના સર્વ જીવો તૃપ્ત થઇ જાય છે.” શ્રીકૃષ્ણ દ્રૌપદીને કહે છે-કે-“આજે જગતના તમામ જીવોની તૃપ્તિ થશે.”
પાન આરોગે છે શ્રીકૃષ્ણ અને અજીર્ણના ઓડકાર આવે છે-દુર્વાસા અને બ્રાહ્મણોને.

ભીમ બધાને બોલાવવા જાય છે પણ બધા જમવા આવવાની ના પાડે છે. દુર્વાસા વિચારે છે કે આ કામ કૃષ્ણ નું લાગે છે.ભીમને તે પૂછે છે-કૃષ્ણ તો આવ્યા નથી ને ? ભીમ કહે છે-“તે તો ક્યારના ય આવ્યા છે-તમારી રાહ જુએ છે-કહેતા હતા કે-દુર્વાસા તો મારા ગુરુ છે. આજે મારે તેમને પ્રેમથી જમાડવા છે.”
દુર્વાસા કહે છે-કે- ભીમ-હું તેમનો ગુરુ નથી-એ તો મારા ગુરુના ય ગુરુ છે. તમારી અનન્ય કૃષ્ણ ભક્તિ જોઈ હું રાજી થયો છું.દુર્વાસાએ આશીર્વાદ આપ્યો-તમારો જય થશે-અને કૌરવોનો વિનાશ થશે.
       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
 INDEX PAGE