Oct 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-940

 

અધ્યાય-૬૧-સાંયમનિના (શલના) પુત્રનો વધ 


॥ संजय उवाच ॥ द्रौणिभूरिश्रवाः शल्यचित्रसेनश्वमारिषः I पुत्रः सांयमनेश्वैव सौभद्रं पर्यवारयन ॥१॥ 

સંજયે કહ્યું-અશ્વત્થામા,ભૂરિશ્રવા,શલ્ય,ચિત્રસેન તથા સાંયમનિનો પુત્ર-વગેરે યોદ્ધાઓએ,સુભદ્રાપુત્ર અભિમન્યુને ચારે બાજુથી ઘેરી લીધો.તે પાંચ મહારથીઓની સામે એકલા લડતા અભિમન્યુને સર્વ જોઈ રહ્યા.તે પાંચે યોદ્ધાઓમાં,અભિમન્યુ સમાન,લક્ષ્યને વીંધનારો,શૌર્યવાન,પરાક્રમી,અસ્ત્ર વાપરવામાં કુશળ એવો એક પણ નહોતો.અભિમન્યુનું ધનુષ્ય,અનેક પ્રકારનાં યુદ્ધચાતુર્ય ખેલતું,સૂર્યની કાંતિસમાન દેખાતું હતું.તે અભિમન્યુએ અશ્વત્થામાને એક બાણથી,શલ્યને પાંચ બાણોથી વીંધ્યા ને શલરાજાના પુત્રની ધ્વજાને આઠ બાણોથી છેદી નાખી.

Oct 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-939

 

અધ્યાય-૬૦-ચોથો દિવસ-ભીષ્મ ને અર્જુનનું દ્વંદ્વયુદ્ધ 


॥ संजय उवाच ॥ वयुष्टां निशां भारत भारतानामनिकिनांप्रमुखे महात्मा ययौ सपतान्प्रतिजातनापो वृतः समरेण बलेन भीष्मः ॥१॥ 

 સંજયે કહ્યું-હે ભારત,તે રાત્રિ વીત્યા પછી,પ્રભાતમાં કોપાયમાન થયેલા મહાત્મા ભીષ્મ,સમગ્ર સૈન્યથી યુક્ત થઈને કૌરવોની સેનામાં મોખરામાં રહીને શત્રુઓની સામે ગયા.ત્યારે તેની પાછળ,દ્રોણાચાર્ય,દુર્યોધન,બાહલીક,દુર્મર્ષણ,ચિત્રસેન એ જયદ્રથ વગેરે રાજાઓ પોતપોતાના સૈન્યો સાથે જવા લાગ્યા.ત્યારે તેમણે સામે કપિરાજના ચિહ્નિત ધ્વજવાળા રથમાં અર્જુને,વ્યાલ નામના વ્યૂહથી રચિત સેનાને જોઈ.પછી,અર્જુન શ્વેત ઘોડાઓથી જોડાયેલા રથમાં બેસીને સૈન્યના અગ્રભાગમાં,શત્રુઓના વધનો સંકલ્પ કરીને આગળ ધસી આવ્યો.રથ પર વિરાજમાન શ્રીકૃષ્ણ અને અર્જુનને જોઈને,તમારા પુત્રો ને તેમના પક્ષના યોદ્ધાઓ ખિન્ન થયા.તેમણે અર્જુનના રક્ષણ તળે ચારે દિશામાં ચારચાર હાથીઓની ગોઠવણી વાળા પાંડવોના સૈન્યને જોયું.

Oct 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-938

 

શ્રીકૃષ્ણે પોતાના હાથમાં ઘોડાની લગામ લીધી અને પાંચજન્ય નામનો શંખ વગાડીને તેના નાદથી સર્વ દિશાઓને ગજવી મૂકી.સર્વ સેનામાં સિંહનાદો થવા લાગ્યા.ને ત્યારે અર્જુને ગાંડીવનો ટંકાર કરીને સર્વ દિશામાં તીવ્ર બાણો છોડવા માંડ્યાં.

તે વખતે દુર્યોધન,હાથમાં ધનુષ્ય લઈને,ઘણા વેગપૂર્વક ભીષ્મ અને ભૂરિશ્રવા સાથે અર્જુનની સામે ધસી આવ્યો.

દુર્યોધને ઉગ્ર વેગવાળાં તોમરથી,શલ્યરાજાએ ગદાથી અને ભીષ્મે શક્તિથી અર્જુન પર પ્રહાર કર્યો.કે જેને અર્જુને અધવચ્ચે જ તોડી નાખ્યા ને ગાંડીવથી અનેક બાણો છોડીને દિશાઓને ઢાંકી દીધી.ગાંડીવના ટંકાર માત્રથી દુશ્મન સૈન્યના સૈનિકોના ગાત્રો શિથિલ થઇ જતા હતા.અને કોઈ પણ યોદ્ધો અર્જુન સામે આગળ ધસી શકતો નહોતો.અર્જુને અસંખ્ય-અગણિત યોદ્ધાઓનો સંહાર કરી નાખ્યો ત્યારે તે અને શ્રીકૃષ્ણ આનંદમાં આવી જઈને સિંહનાદો કરવા લાગ્યા.


ત્યાર પછી,કિરણોને સમેટી લેતા સૂર્યને જોઈને,હવે રાત્રિ થવા આવી છે એમ માનીને શસ્ત્રોના પ્રહારથી અત્યંત ઘાયલ થયેલા શરીરવાળા ભીષ્મ,દ્રોણ ને દુર્યોધન આદિએ પોતાની સેનાને છાવણી તરફ પછી વળી.અર્જુન પણ પોતાના શત્રુઓનો પરાજય કરીને,કીર્તિ ને યશ મેળવીને,યુદ્ધ કર્મ સમાપ્ત કરીને,રાત્રિનો સમય થતાં પોતાની છાવણી તરફ પાછો ફર્યો.તે રાત્રિના આરંભમાં કૌરવોની છાવણીમાં તુમુલ કોલાહલ થઇ રહ્યો કે-'આજે તો રણસંગ્રામમાં અર્જુને દશ હજાર રથીઓ,સાતસો હાથીઓ અને અગણિત યોદ્ધાઓને મારીને ઘણું મોટું પરાક્રમ કરી બતાવ્યું છે.કે જે કરવાને બીજો કોઈ યોગ્ય નથી.આજના યુદ્ધમાં તો અર્જુને દ્રોણ,ભીષ્મ,જયદ્રથ,ભૂરિશ્રવા,શલ્ય આદિ અનેક યોદ્ધાઓને જીત્યા છે' આ પ્રમાણે વાતો કરતા કરતા ને અર્જુને ત્રાસ પમાડેલા કૌરવ સેનાના યોદ્ધાઓએ હજારો મશાલોથી પ્રકાશિત પોતપોતાની છાવણીમાં પ્રવેશ કર્યો.(139)

અધ્યાય-59-સમાપ્ત

Sep 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-937

 

સાત્યકિએ ભાગતા યોદ્ધાઓને વાર્યા.ત્યારે શ્રીકૃષ્ણ તેને કહેવા લાગ્યા કે-'હે સાત્યકિ,જે યોદ્ધાઓ નાસી જતા હોય તેમને સુખેથી નાસી જવા દે.જે ઉભેલા છે તેમને પણ જવું હોય તો જવા દે.આજે હું પોતે જ ભીષ્મ,દ્રોણનો-સૈન્ય સહીત નાશ કરીશ.કૌરવોમાં કોઈ પણ એવો યોદ્ધો નથી કે જે મારી પાસથી છૂટી શકે.માટે હું પોતે જ સુદર્શન ચક્ર લઈને ભીષ્મના પ્રાણ લઈશ.તેમના મુખ્ય રાજાઓનો પણ હું નાશ કરીશ અને યુધિષ્ઠિરને રાજ્ય આપાવીશ.'આમ કહીને શ્રીકૃષ્ણે ઘોડાઓની લગામ હાથમાંથી છોડી દીધી અને એક હાથે,સુંદર આરાઓ વાળું,સૂર્યસમા કાંતિવાળું,વજ્ર સમાન પ્રભાવવાળું ને તીવ્ર ધારવાળું સુદર્શન ચક્ર હાથમાં લીધું અને ઘણા વેગથી ભીષ્મની સામે દોડ્યા.

Sep 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-936

 

ત્યારે શ્રીકૃષ્ણે રથને ભીષ્મ સામે લીધો.ભીષ્મની સામે યુદ્ધ કરવા તત્પર થયેલો જોઈને સૈન્ય પાછું ફર્યું.

પછી સિંહની જેમ ગર્જના કરતા ભીષ્મે,અર્જુનના રથને બાણો વડે ઢાંકી દીધો.શ્રીકૃષ્ણ સહીત તે રથ જરા પણ દેખાતો નહોતો છતાં પણ વાસુદેવે ગભરાયા વિના ઘોડાઓને ભીષ્મ પ્રતિ હંકાર્યા કર્યા.અર્જુને પોતાનું ગાંડીવ હાથમાં લીધું અને તેમાં ત્રણ બાણ સાંધીને ભીષ્મના ધનુષ્યના ત્રણ કકડા કરી નાખ્યા.ભીષ્મે તરત જ બીજું ધનુષ્ય હાથમાં લીધું,કે જેને પણ અર્જુને તોડી નાખ્યું.

અર્જુનની ચતુરાઈના વખાણ કરતા ભીષ્મ કહેવા લાગ્યા કે-'હે અર્જુન,ધન્ય છે તને,હું તારા પર પ્રસન્ન છું આવ,ખુશીથી મારી સાથે યુદ્ધ કર' એમ કહીને ત્રીજું ધનુષ્ય હાથમાં લઈને તેમણે અર્જુનના રથ પર બાણો છોડવા માંડ્યાં .