અધ્યાય-૬૩-ભીમનું ઘોર કર્મ-સાત્યકિ ને ભૂરિશ્રવાનો સમાગમ
॥ संजय उवाच ॥ हते तस्मिन्गजानीके पुत्रो दुर्योधनस्तव I भीमसेनं घ्नतेत्येवं सर्वसैन्यान्यचोदयत ॥१॥
સંજયે કહ્યું-એ પ્રમાણે પોતાના હાથી સૈન્યનો નાશ થયો ત્યારે તમારા પુત્ર દુર્યોધને 'ભીમસેનને મારો' એમ સર્વ સૈન્યને આજ્ઞા આપી.તેની આજ્ઞા થવાથી સર્વ સૈન્યે ભયંકર શબ્દની ગર્જનાથી ભીમસેન સામે ધસારો કર્યો.અપાર સૈન્યને સામું આવતું જોઈને.ભીમસેને તેને રોકી રાખ્યું.તે વખતે ભીમસેનનું અતિ અદભુત કર્મ અમારા જોવામાં આવ્યું.જરાયે ગભરાયા વિના,ભીમસેને,અશ્વો,રથો અને હાથીઓ સહીત સર્વ રાજાઓને પોતાની ગદાથી આગળ વધતા અટકાવી દીધા.ને પોતે મેરુ પર્વતની જેમ સ્થિર થઈને ત્યાં ઉભો રહ્યો.તે વખતે,તેના પુત્રોએ,ભાઈઓએ,અભિમન્યુએ,શિખંડીએ અને ધૃષ્ટદ્યુમ્ને તેને જરા પણ વેગળો કર્યો ન હોતો.માત્ર લોઢાની બનાવેલ વિશાળ ગદા વડે ભીમે સૈન્યનો કચ્ચરઘાણ વાળવા માંડ્યો.




