અધ્યાય-૭૪-પાંચમા દિવસની સમાપ્તિ-સાત્યકિના પુત્રોનો વધ
॥ संजय उवाच ॥ अथ राजन महाबाहुः सात्यकिर्मुद्वदुर्मदः I विकृष्य चापं समरे भारसाहमनुत्तम ॥१॥
સંજયે કહ્યું-હે રાજન,ત્યાર પછી,મદોન્મત્ત થયેલો મહાબાહુ સાત્યકિ,પોતાના ઉત્તમોત્તમ ધનુષ્યને ખેંચીને,પોતાની અદભુત હાથચાલાકી બતાવતો ઘણી જ ત્વરાથી બાણોને ફેંકતો શત્રુઓની સેનાનો સંહાર કરતો હતો.આગળ ધસી આવતા સાત્યકિને જોઈને દુર્યોધને તેની સામે દશ હજાર રથીઓને મોકલ્યા.પરાક્રમી સાત્યકિએ તે સર્વેને દિવ્ય અસ્ત્રોથી મારવા માંડ્યા.ને અત્યંત દારુણ કર્મ કર્યા પછી તે ભૂરિશ્રવા સામે ધસ્યો.ભૂરિશ્રવા પણ તેની સામે ધસ્યો ને સર્પસમાન ઝેરી ને વજ્રસમાન તીક્ષ્ણ એવા બાણો છોડવા માંડ્યા.મૃત્યુના જેવા ઉગ્ર સ્પર્શવાળા તે હજારો બાણોને સાત્યકિના અનુનાયીઓ સહન કરી શક્યા નહિ ને તેઓ સાત્યકિને છોડીને નાસવા લાગ્યા.





