Oct 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-956

 

અધ્યાય-૭૫-છઠ્ઠો દિવસ-મકર વ્યૂહ ને ક્રૌંન્ચ વ્યૂહ 


॥ संजय उवाच ॥ ते विश्रग्नततो राजन सहिताः कुरुपांडवा I ततोतायं तु सर्वर्या पुनर्युद्वाय् निर्ययुः ॥१॥ 

સંજયે કહ્યું-હે રાજા,આખી રાત વિશ્રાંતિ લઈને,કૌરવોએ તથા પાંડવોએ તે રાત ગાળી.પછી,સવાર થતાં ફરી યુદ્ધ કરવા માટે નીકળી પડ્યા.તે વખતે,તમારાં તથા પાંડવોનાં સૈન્યોમાં સજ્જ કરતા રથોનો,તૈયાર કરાતા હાથીઓનો,કવચો ધારણ કરતા પાળાઓનો,તથા તૈયાર કરતા ઘોડાઓનો મહાન શબ્દ થઇ રહ્યો.ત્યારે યુધિષ્ઠિરના કહેવાથી,ધૃષ્ટદ્યુમ્ને મકરવ્યૂહ રચ્યો.

તે વ્યૂહના શિરોભાગમાં દ્રુપદરાજા અને અર્જુન,મુખસ્થાનમાં ભીમ ઉભો રહ્યો.અભિમન્યુ,દ્રૌપદીના પુત્રો,ઘટોત્કચ,સાત્યકિ ને યુધિષ્ઠિર ગ્રીવાસ્થાનમાં,વિરાટરાજા ને ધૃષ્ટદ્યુમ્ન પીઠના ભાગમાં,કેકેયદેશના પાંચ ભાઈઓ ડાબા પડખામાં,ધૃષ્ટકેતુ અને ચેકિતાન જમણા પડખામાં તથા કુંતીભોજ અને શતાનીક રાજા પગના સ્થાનમાં,શિખંડી અને ઈરાવાન પુચ્છ ભાગમાં ઉભા રહ્યા.

Oct 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-955

 

અધ્યાય-૭૪-પાંચમા દિવસની સમાપ્તિ-સાત્યકિના પુત્રોનો વધ 


॥ संजय उवाच ॥ अथ राजन महाबाहुः सात्यकिर्मुद्वदुर्मदः I विकृष्य चापं समरे भारसाहमनुत्तम ॥१॥ 

સંજયે કહ્યું-હે રાજન,ત્યાર પછી,મદોન્મત્ત થયેલો મહાબાહુ સાત્યકિ,પોતાના ઉત્તમોત્તમ ધનુષ્યને ખેંચીને,પોતાની અદભુત હાથચાલાકી બતાવતો ઘણી જ ત્વરાથી બાણોને ફેંકતો શત્રુઓની સેનાનો સંહાર કરતો હતો.આગળ ધસી આવતા સાત્યકિને જોઈને દુર્યોધને તેની સામે દશ હજાર રથીઓને મોકલ્યા.પરાક્રમી સાત્યકિએ તે સર્વેને દિવ્ય અસ્ત્રોથી મારવા માંડ્યા.ને અત્યંત દારુણ કર્મ કર્યા પછી તે ભૂરિશ્રવા સામે ધસ્યો.ભૂરિશ્રવા પણ તેની સામે ધસ્યો ને સર્પસમાન ઝેરી ને વજ્રસમાન તીક્ષ્ણ એવા બાણો છોડવા માંડ્યા.મૃત્યુના જેવા ઉગ્ર સ્પર્શવાળા તે હજારો બાણોને સાત્યકિના અનુનાયીઓ સહન કરી શક્યા નહિ ને તેઓ સાત્યકિને છોડીને નાસવા લાગ્યા.

Oct 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-954

 

અધ્યાય-૭૩-પાંચમો દિવસ (ચાલુ)-દ્વંદ્વ યુદ્ધ 


॥ संजय उवाच ॥ विराटोथत्रिभिर्बाणैर्भिष्ममार्च्छन्महारथम् I विव्याध तुर्गाश्वास्य त्रिभिर्बाणैर्महराथः ॥१॥ 

સંજયે કહ્યું-ત્યાર પછી,મહારથી વિરાટ રાજાએ,મહારથી ભીષ્મ પર ત્રણ બાણોનો પ્રહાર કર્યો અને બીજા ત્રણ બાણો મૂકીને તેમના ઘોડાઓને વીંધી નાખ્યા.ભીષ્મે પણ સામે તેને દશ બાણોથી વીંધ્યો.અશ્વત્થામાએ છ બાણોથી અર્જુનની છાતી પર પ્રહાર કર્યો તે જોઈ,અર્જુને તેનું બાણ છેદી નાખીને સામે તીક્ષ્ણ બાણોથી પ્રહાર કર્યો.ત્યારે અશ્વત્થામાએ બીજું ધનુષ્ય ગ્રહણ કર્યું અને નેવું બાણ મૂકીને અર્જુનને અને સિત્તેર બાણો મૂકીને કૃષ્ણને પણ વીંધ્યા.ક્રોધાતુર થયેલા અર્જુને ઘોર બાણો મૂકી,અશ્વત્થામાના કવચને તોડીને તેને લોહીલુહાણ કરી નાખ્યો.ને પછી અર્જુને 'આ બ્રાહ્મણ ગુરુપુત્ર મારે માન્ય છે' એવી બુદ્ધિથી તેના પર દયા કરી અને તેની સામે યુદ્ધ કરવું છોડી દીધું ને બીજાઓ સામે યુદ્ધ કરી સંહાર કરવા લાગ્યો.

Oct 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-953

 

અધ્યાય-૭૨-પાંચમો દિવસ (ચાલુ)-સંકુલ યુદ્ધ 


॥ संजय उवाच ॥ शिखंडी सहमत्स्येन विराटेन विशांपते I भीष्ममशु महेष्वासममसद सुदुर्जयम् ॥१॥ 

સંજયે કહ્યું-હે રાજા,મત્સ્યરાજા અને વિરાટરાજાને સાથે લઈને શિખંડી,અતિ દુર્જય મોટા ધનુર્ધારી ભીષ્મ પાસે આવી પહોંચ્યો.અને અર્જુન,દ્રોણાચાર્ય,કૃપાચાર્ય,વિકર્ણ અને બીજા શૂરા રાજાઓની સામો યુદ્ધ કરવા આવ્યો.જયદ્રથ અને દુર્યોધન સામે ભીમસેન ચડી આવ્યો.પિતાપુત્ર શકુનિ અને ઉલૂક સામે સહદેવ ધસી આવ્યો.હાથીસેના સામે યુધિષ્ઠિર અને નકુલ ત્રિગર્તો સામે ધસ્યા.ક્રોધાયમાન થયેલા સાત્યકિ,ચેકિતાન અને મહારથી અભિમન્યુ,શાલ્વ અને કેકેયોની સામ આવી યુદ્ધમાં ઉભા રહ્યા.

અતિ દુર્જય એવા ધૃષ્ટકેતુ અને ઘટોત્કચ એ બંને કૌરવોના રથી યોદ્ધાઓની સેના સામે યુદ્ધ કરવા તૈયાર થયા. સેનાપતિ ધૃષ્ટધુમ્ન,ઉગ્ર પરાક્રમવાળા દ્રોણાચાર્યની સામે યુદ્ધ કરવા આવી ઉભો રહ્યો.આવી રીતે મહાધનુર્ધર એવા શૂરા ધનુર્ધરો સામસામા આવી જઈને પરસ્પર પ્રહાર કરવા મંડ્યા.

Oct 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-952

 

અધ્યાય-૭૧-પાંચમો દિવસ-સંકુલ યુદ્ધ (ચાલુ)


॥ संजय उवाच ॥ द्रष्ट्वा भीष्मेण संसक्तान्भ्रात्रुनन्यश्च पार्थिवान I समभ्यधावदांगेययुद्यतास्त्रो धनंजयः ॥१॥ 

સંજયે કહ્યું-ભીષ્મ પિતામહ સામે ધસી ગયેલા પોતાના ભાઈઓને તથા અન્ય રાજાઓને જોઈને અર્જુન પણ ભીષ્મ સામે ધસ્યો.ગાંડીવના ટંકાર ને શંખના નાદને સાંભળીને કૌરવ યોદ્ધાઓમાં ભય ઉતપન્ન થયો.જેમ,પ્રચંડ વાયુવાળો મેઘ વીજળીના ચમકારા અને ગર્જનાઓની સાથે ચારે બાજુ વરસી પડે,તેમ તે અર્જુન પણ બાણોનો વરસાદ વરસાવી સર્વ દિશાઓને છાઈ દેવા લાગ્યો.થાકી ગયેલાં વાહનોવાળા,હણાયેલા ઘોડાઓવાળા,અને ભયભીત થઈને બેભાન થયેલા તમારા યોદ્ધાઓ બધા સાથે મળીને ભીષ્મ પાસે જ ભરાઈ ગયા,કારણકે આ સંગ્રામમાં તેઓને ભીષ્મનું જ શરણ હતું.

Oct 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-951

 

અધ્યાય-૭૦-પાંચમો દિવસ (ચાલુ)-સંકુલ યુદ્ધ 


॥ संजय उवाच ॥ अकरोत्तुमुलं युद्धं भीष्मः शांतनवस्तदा I भीमसेनभयादिच्छन्पुत्रास्तारयितुं तव ॥१॥ 

સંજયે કહ્યું-તે દિવસે શાંતનુકુમાર ભીષ્મે,તમારા પુત્રોને ભીમસેનના ભયથી ઉગારાવાની ઈચ્છાથી તુમુલ યુદ્ધ કર્યું.

કૌરવો અને પાંડવોના મુખ્ય મુખ્ય યોદ્ધાઓનો નાશ કરનારું,બંને પક્ષના રાજાઓનું તે ભયંકર યુદ્ધ તે દિવસના પૂર્વભાગમાં શરુ થયું ત્યારે આકાશને ફાડી નાખે તેવો તુમુલ શબ્દ થઇ રહ્યો.વિજય મેળવવા માટે પરાક્રમ કરતા,મહાબળવાન યોદ્ધાઓ મોટા વૃષભની જેમ સામસામા ગર્જનાઓ કરતા હતા.તીક્ષ્ણ બાણોના પ્રહારથી રણભૂમિ પર પડતાં મસ્તકો,આકાશમાંથી પડતી પથ્થરોની વૃષ્ટિ સમાન જણાતાં હતાં.આખી યુદ્ધભૂમિ,કપાયેલાં શરીર ને શરીરના અવયવોથી છવાઈ ગઈ હતી.