Oct 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-943

 

અધ્યાય-૬૪-ચોથા દિવસની સમાપ્તિ-ભીમનું યુદ્ધ 


॥ संजय उवाच ॥ ततो भूरिश्रवा राजन सात्यकी नवभि शरैः I प्राविध्यद्भृश संकृद्वस्तोत्रैरिवमहाद्विपः ॥१॥ 

સંજયે કહ્યું-પછી,અતિક્રોધાયમાન થયેલા ભૂરિશ્રવાએ,સાત્યકિને નવ બાણોનો પ્રહાર કરીને વીંધ્યો.ત્યારે સામે સાત્યકિએ પણ,ભૂરિશ્રવાને સર્વ લોકના દેખતાં,બાણોનો પ્રહાર કરીને તેને નિવાર્યો.પછી,દુર્યોધન પોતાના ભાઈઓને લઈને ભૂરિશ્રવાનું રક્ષણ કરવા આવી પહોંચ્યો,તો સામે પાંડવો પણ સાત્યકિનું રક્ષણ કરવા આવી પહોંચ્યા ને તેને વીંટળાઈને ઉભા રહ્યા.એ વેળા,ભીમસેન પણ પોતાની ગદા લઈને આવી પહોંચ્યો ને તમારા સર્વ પુત્રોને ઘેરી વળ્યો.તમારો પુત્ર નંદક,હજારો રથો લઈને આવ્યો અને તેણે ભીમસેનની છાતી પર નવ બાણોથી પ્રહાર કર્યો.એટલે ભીમસેન પોતાના શ્રેષ્ઠ રથ પર ચડી ગયો અને વિશોક નામના પોતાના સારથિને કહેવા લાગ્યો કે-

Oct 6, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-942

 

અધ્યાય-૬૩-ભીમનું ઘોર કર્મ-સાત્યકિ ને ભૂરિશ્રવાનો સમાગમ 


॥ संजय उवाच ॥ हते तस्मिन्गजानीके पुत्रो दुर्योधनस्तव I भीमसेनं घ्नतेत्येवं सर्वसैन्यान्यचोदयत ॥१॥ 

સંજયે કહ્યું-એ પ્રમાણે પોતાના હાથી સૈન્યનો નાશ થયો ત્યારે તમારા પુત્ર દુર્યોધને 'ભીમસેનને મારો' એમ સર્વ સૈન્યને આજ્ઞા આપી.તેની આજ્ઞા થવાથી સર્વ સૈન્યે ભયંકર શબ્દની ગર્જનાથી ભીમસેન સામે ધસારો કર્યો.અપાર સૈન્યને સામું આવતું જોઈને.ભીમસેને તેને રોકી રાખ્યું.તે વખતે ભીમસેનનું અતિ અદભુત કર્મ અમારા જોવામાં આવ્યું.જરાયે ગભરાયા વિના,ભીમસેને,અશ્વો,રથો અને હાથીઓ સહીત સર્વ રાજાઓને પોતાની ગદાથી આગળ વધતા અટકાવી દીધા.ને પોતે મેરુ પર્વતની જેમ સ્થિર થઈને ત્યાં ઉભો રહ્યો.તે વખતે,તેના પુત્રોએ,ભાઈઓએ,અભિમન્યુએ,શિખંડીએ અને ધૃષ્ટદ્યુમ્ને તેને જરા પણ વેગળો કર્યો ન હોતો.માત્ર લોઢાની બનાવેલ વિશાળ ગદા વડે ભીમે સૈન્યનો કચ્ચરઘાણ વાળવા માંડ્યો.

Oct 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-941

 

અધ્યાય-૬૨-ભીમનું યુદ્ધ 


॥ धृतराष्ट्र उवाच ॥ दैवमेय परं मन्ये पौरुषादपि संजय I यत्सैन्यं मम पुत्रस्य पांडुसैन्येन बाध्यते ॥१॥ 

ધૃતરાષ્ટ્ર કહ્યું-હે સંજય,પુરુષાર્થ કરતાં દૈવ જ બળવાન છે,એમ મારે કહેવું પડે છે.કારણકે મારા પુત્રના સૈન્યને પાંડવોનું સૈન્ય જીતી જાય છે.તું પણ,'મારા પુત્રો જ હંમેશાં માર ખાય છે અને પાંડવો હર્ષિત થાય છે'તેમ કહ્યા કરે છે.યથાશક્તિ લડતા અને જય મેળવવા માટે મથતા મારા પુત્રોનો,તું હંમેશા પરાજય જ કહે છે ને પાંડવોના જયનું વર્ણન કરે છે.મને એવો એકપણ ઉપાય દેખાતો નથી કે જેથી પાંડવોનો પરાજય થાય અને મારા પુત્રોનો વિજય થાય.

Oct 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-940

 

અધ્યાય-૬૧-સાંયમનિના (શલના) પુત્રનો વધ 


॥ संजय उवाच ॥ द्रौणिभूरिश्रवाः शल्यचित्रसेनश्वमारिषः I पुत्रः सांयमनेश्वैव सौभद्रं पर्यवारयन ॥१॥ 

સંજયે કહ્યું-અશ્વત્થામા,ભૂરિશ્રવા,શલ્ય,ચિત્રસેન તથા સાંયમનિનો પુત્ર-વગેરે યોદ્ધાઓએ,સુભદ્રાપુત્ર અભિમન્યુને ચારે બાજુથી ઘેરી લીધો.તે પાંચ મહારથીઓની સામે એકલા લડતા અભિમન્યુને સર્વ જોઈ રહ્યા.તે પાંચે યોદ્ધાઓમાં,અભિમન્યુ સમાન,લક્ષ્યને વીંધનારો,શૌર્યવાન,પરાક્રમી,અસ્ત્ર વાપરવામાં કુશળ એવો એક પણ નહોતો.અભિમન્યુનું ધનુષ્ય,અનેક પ્રકારનાં યુદ્ધચાતુર્ય ખેલતું,સૂર્યની કાંતિસમાન દેખાતું હતું.તે અભિમન્યુએ અશ્વત્થામાને એક બાણથી,શલ્યને પાંચ બાણોથી વીંધ્યા ને શલરાજાના પુત્રની ધ્વજાને આઠ બાણોથી છેદી નાખી.

Oct 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-939

 

અધ્યાય-૬૦-ચોથો દિવસ-ભીષ્મ ને અર્જુનનું દ્વંદ્વયુદ્ધ 


॥ संजय उवाच ॥ वयुष्टां निशां भारत भारतानामनिकिनांप्रमुखे महात्मा ययौ सपतान्प्रतिजातनापो वृतः समरेण बलेन भीष्मः ॥१॥ 

 સંજયે કહ્યું-હે ભારત,તે રાત્રિ વીત્યા પછી,પ્રભાતમાં કોપાયમાન થયેલા મહાત્મા ભીષ્મ,સમગ્ર સૈન્યથી યુક્ત થઈને કૌરવોની સેનામાં મોખરામાં રહીને શત્રુઓની સામે ગયા.ત્યારે તેની પાછળ,દ્રોણાચાર્ય,દુર્યોધન,બાહલીક,દુર્મર્ષણ,ચિત્રસેન એ જયદ્રથ વગેરે રાજાઓ પોતપોતાના સૈન્યો સાથે જવા લાગ્યા.ત્યારે તેમણે સામે કપિરાજના ચિહ્નિત ધ્વજવાળા રથમાં અર્જુને,વ્યાલ નામના વ્યૂહથી રચિત સેનાને જોઈ.પછી,અર્જુન શ્વેત ઘોડાઓથી જોડાયેલા રથમાં બેસીને સૈન્યના અગ્રભાગમાં,શત્રુઓના વધનો સંકલ્પ કરીને આગળ ધસી આવ્યો.રથ પર વિરાજમાન શ્રીકૃષ્ણ અને અર્જુનને જોઈને,તમારા પુત્રો ને તેમના પક્ષના યોદ્ધાઓ ખિન્ન થયા.તેમણે અર્જુનના રક્ષણ તળે ચારે દિશામાં ચારચાર હાથીઓની ગોઠવણી વાળા પાંડવોના સૈન્યને જોયું.

Oct 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-938

 

શ્રીકૃષ્ણે પોતાના હાથમાં ઘોડાની લગામ લીધી અને પાંચજન્ય નામનો શંખ વગાડીને તેના નાદથી સર્વ દિશાઓને ગજવી મૂકી.સર્વ સેનામાં સિંહનાદો થવા લાગ્યા.ને ત્યારે અર્જુને ગાંડીવનો ટંકાર કરીને સર્વ દિશામાં તીવ્ર બાણો છોડવા માંડ્યાં.

તે વખતે દુર્યોધન,હાથમાં ધનુષ્ય લઈને,ઘણા વેગપૂર્વક ભીષ્મ અને ભૂરિશ્રવા સાથે અર્જુનની સામે ધસી આવ્યો.

દુર્યોધને ઉગ્ર વેગવાળાં તોમરથી,શલ્યરાજાએ ગદાથી અને ભીષ્મે શક્તિથી અર્જુન પર પ્રહાર કર્યો.કે જેને અર્જુને અધવચ્ચે જ તોડી નાખ્યા ને ગાંડીવથી અનેક બાણો છોડીને દિશાઓને ઢાંકી દીધી.ગાંડીવના ટંકાર માત્રથી દુશ્મન સૈન્યના સૈનિકોના ગાત્રો શિથિલ થઇ જતા હતા.અને કોઈ પણ યોદ્ધો અર્જુન સામે આગળ ધસી શકતો નહોતો.અર્જુને અસંખ્ય-અગણિત યોદ્ધાઓનો સંહાર કરી નાખ્યો ત્યારે તે અને શ્રીકૃષ્ણ આનંદમાં આવી જઈને સિંહનાદો કરવા લાગ્યા.


ત્યાર પછી,કિરણોને સમેટી લેતા સૂર્યને જોઈને,હવે રાત્રિ થવા આવી છે એમ માનીને શસ્ત્રોના પ્રહારથી અત્યંત ઘાયલ થયેલા શરીરવાળા ભીષ્મ,દ્રોણ ને દુર્યોધન આદિએ પોતાની સેનાને છાવણી તરફ પછી વળી.અર્જુન પણ પોતાના શત્રુઓનો પરાજય કરીને,કીર્તિ ને યશ મેળવીને,યુદ્ધ કર્મ સમાપ્ત કરીને,રાત્રિનો સમય થતાં પોતાની છાવણી તરફ પાછો ફર્યો.તે રાત્રિના આરંભમાં કૌરવોની છાવણીમાં તુમુલ કોલાહલ થઇ રહ્યો કે-'આજે તો રણસંગ્રામમાં અર્જુને દશ હજાર રથીઓ,સાતસો હાથીઓ અને અગણિત યોદ્ધાઓને મારીને ઘણું મોટું પરાક્રમ કરી બતાવ્યું છે.કે જે કરવાને બીજો કોઈ યોગ્ય નથી.આજના યુદ્ધમાં તો અર્જુને દ્રોણ,ભીષ્મ,જયદ્રથ,ભૂરિશ્રવા,શલ્ય આદિ અનેક યોદ્ધાઓને જીત્યા છે' આ પ્રમાણે વાતો કરતા કરતા ને અર્જુને ત્રાસ પમાડેલા કૌરવ સેનાના યોદ્ધાઓએ હજારો મશાલોથી પ્રકાશિત પોતપોતાની છાવણીમાં પ્રવેશ કર્યો.(139)

અધ્યાય-59-સમાપ્ત